Charchapatra

કયાં છે રાષ્ટ્રભાવના?

આજનો માનવી બસ પોતાનો જ સ્વાર્થ  જુએ છે,પોતાનો જ વિચાર કરે છે,પોતાના જ પરિવારનું વિચારે છે, પણ રાષ્ટ્રનું કદી વિચારતો નથી. દરેકને પોતાની જરૂરિયાત પૂરી કરવી છે, પણ રાષ્ટ્રની પ્રગતિ નહિ. રાષ્ટ્રભાવના રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સુધી જ સીમિત છે, પણ રાષ્ટ્રીયતા માટે નહિ. પોતાની સમસ્યાઓ દૂર કરવા સૌ કોઈ  ચિંતાતુર  છે, પણ રાષ્ટ્રની સમસ્યાઓ દૂર કરવામાં કોઈને પણ રસ નથી. બસ આપણે આપણો જ વિચાર કરવાનો. દેશનું જે થવાનું હોય તે થાય. બિનસાંપ્રદાયિકતાની ફકત વાતો જ થાય છે. એની મૂળ ભાવનાને કોઈ જ સમજતું નથી. દરેક ધર્મોને પોતપોતાનું વર્તુળ મોટું કરવું છે, પણ કેટલાક ધર્મો દ્વારા કોમી એખલાસની ભાવનાનું વાતાવરણ ડહોળવું છે. ‘ધ કાશ્મીર ફાઇલ’ ફિલ્મ અને મૂળ કાશ્મીરી લોકોના આ મૂવી વિશેના અને જે ઘટના ભૂતકાળમા ઘટી એ વિશે ન્યૂઝ ચેનલો દ્વારા ભારતીય સમાજને તેની ભયાનકતા અને સચ્ચાઈ  આટલાં વર્ષો પછી જાણવા મળી એ સંવેદનાને સમજવા અનુભવવા જેટલી માનસિકતાના બદલે એમાં રાજકારણ  અને જુદા જુદા ધર્મો એને જુદી રીતે મૂલવવા તથા પોતાનો કક્કો જ સાચો પાડવા હવાતિયાં મારતાં હોય એવું વાતાવરણ સર્જવામાં આવ્યું.

રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાનુ ચીરહરણ થયું હોય એવું લાગ્યું. ચોક્કસ સમાજનાં લોકો આપણા જ દેશમાં એનો ભોગ બન્યા. જાણે એના ન્યાયની વાતો એક સમાચાર જ બની ગયા આટલાં વર્ષો  પછી પણ અંતમાં કોમી એકતા ત્યારે જ સંભવશે જયારે બધા જ  ધર્મના લોકો એકબીજાના ધર્મનો આદર કરશે અને ભારતીય  હોવાનો સાચો ધર્મ પાળશે.જુદા જુદા ધર્મોમાં જે રીતે અઠવાડિયે એક વખત સભા યોજવામાં આવે છે તેવી રીતે ભારતના દરેક રાજ્યમાં ,શહેરોમાં અને ગામડાંઓમાં જે ધર્મગુરુઓ  હોય એની એક સભા થવી જોઈએ અને દેશની પ્રગતિમાં આપણી શું ભૂમિકા  હોય એ નકકી કરી કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે એની સંપૂર્ણ  જવાબદારી જે તે ધર્મના વડાઓએ નિભાવવી જોઇએ. તો જ ગૌરવવંતા ભારતનું ગૌરવ અને ‘વિશ્વ  એક કુટુંબ છે.’ એ ભાવના સાચા અર્થમાં જળવાશે. હું શોધું છું એ લોકોને જેમાં ‘રાષ્ટ્ર ભાવના’ ભારોભાર ભરેલી હતી.
          – મુકેશ બળવંતરાય મેરાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top