Madhya Gujarat

જળસંકટના એંધાણ : ડેમમાં પાણીનો જથ્થો અડધો થયો

સંતરામપુર : ચરોતરની જીવાદોરી કડાણા ડેમમાંથી એક જ મહિનામાં પાણીની સપાટીમાં સાત ફુટનો ધરખમ ઘટાડો નોંધાતા આગામી સમયમાં સમસ્યાના એંધાણ દેખાય રહ્યા છે. શુક્રવાર સવાર સુધીમાં ડેમમાં પાણીની સપાટી 397 ફુટ 5 ઈંચ હતી. જોકે, ગત વરસે એપ્રિલમાં 403 ફૂટ 9 ઇંચ સપાટી હતી. આમ ગત વરસ કરતાં ઓછું પાણી હોવાના કારણે સિંચાઇ અને પીવાના પાણી પર કાપ મુકવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કડાણા ડેમમાં પાણીની સપાટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ડેમમાં પાણીનો જથ્થો 52 ટકા બચતા આવનારા દિવસોમાં મહિસાગર, પંચમહાલ, દાહોદ જીલ્લામાં પીવાનાં પાણીની અને આણંદ, ખેડા જિલ્લા તથા સંતરામપુર, કડાણા, લુણાવાડા તાલુકામાં સિંચાઈના પાણીની ગંભીર સમસયા ઉદ્દભવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.

કડાણા બંધમાં હાલ પાણીની આવક માત્રને માત્ર 1540 કયુસેક છે અને ડેમમાંથી પાણીની જાવક 570 કયુસેક છે. કડાણા બંધમાંથી ડાબા કાંઠાની નહેરમાં 310 કયુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં 30 કયુસેક પાણી જમણાં કાંઠા નહેરમાં 50 કયુસેક પાણી અને દાહોદ પાઈ પલાઈન માટે 180 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે બંધમાં હાલ માત્ર 52 ટકા જ પાણીનો જથ્થો છે. આથી આ ડેમનું પાણી અન્ય જીલ્લાઓને સિંચાઈ માટે આપવાનું અગાઉની જેમ ચાલુ રખાશે, તો કડાણા બંધમાં પાણીની સપાટી ધટતી જશે અને ડેમમાંથી મહીસાગર, પંચમહાલ, દાહોદ જીલ્લા અપાતાં પીવાનાં પાણી માટે પણ ગંભીર સમસ્યા ઉદ્દભવે તેવી શકયતાઓ જોવાય છે.

કડાણા ડેમમાંથી માર્ચ 2022માં 90,000 કયુસેક પાણી નડિયાદ મહી સિંચાઈને અને 24,000 કયુસેક પાણી સુજલામ સુફલામ યોજનામાં છોડાવામાં આવ્યું છે. મહિસાગર, પંચમહાલ, દાહોદના લોકોને પીવાનાં પાણીની યોજના હેઠળ ડેમનું પાણી યોજનામાં સમાવિષ્ટ ગામોને અપાય છે. સંતરામપુર, કડાણા, લુણાવાડા તાલુકાના ખેડુતોને સિંચાઈ માટે અપાય છે. ઉનાળાની શરુઆતથી જ ડેમમાં પાણીની સપાટી ઘટતા આગામી સમયમાં ખેતી માટેના પાણીની અને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્દભવે તેવી શકયતાઓ જોવાય છે. કડાણા ડેમમાં પાણીનું જરૂરી લેવલ નહીં જળવાય તો કડાણા જુથ પાણી પુરવઠા યોજનામાં સમાવિષ્ટ મહિસાગર, પંચમહાલ, સંતરામપુર, કડાણા, લુણાવાડા તાલુકાના અંદાજીત 156 જેટલાં ગામોને પાણી ન મળે તેવી શકયતાઓ છે.

કડાણા ડેમમાં ગત વર્ષ કરતાં ઓછું પાણી
કડાણા ડેમમાં માર્ચ 2021માં પાણીની સપાટી 406 ફુટ 10 ઈંચ હતી અને એપ્રિલ 2021માં 403 ફુટ. 9 ઈંચ હતી. જ્યારે જુન 2021માં કડાણા ડેમમાં પાણીની સપાટી 397.2 ફુટ હતી. આ વરસે એપ્રિલ 2022માં કડાણા ડેમમાં પાણીની સપાટી 397 ફુટ 5 ઇંચ હતી અને માર્ચ 2022 માં કડાણા ડેમમાં પાણીની સપાટી 404 ફુટ 3 ઇંચ હતી. આમ કડાણા બંધમાં પાણી ની સપાટીમાં સાત ફુટ નો ધટાડો થયેલ છે. જો વરસાદ ખેંચાયો તો આ વરસે ચરોતરમાં પણ પાણી ખેંચનો અનુભવ થશે.

ચરોતરને સિંચાઇ અને સૌરાષ્ટ્રને પીવા માટે પાણીનો જથ્થો ઘટે તેવો ભય
આણંદ – ખેડા જિલ્લામાંથી પસાર થતી મહી નદી આધારિત કેનાલના પગલે વર્ષમાં ત્રણ વખત પાક લેવામાં આવે છે. આ ઉપરાંત નહેર વાટે કનેવાલ અને પરિયેજ તળાવ ભરવામાં આવે છે, જે પાણી સૌરાષ્ટ્ર સુધી પીવા માટે પહોંચાડવામાં આવે છે. કડાણા ડેમમાં સતત ઘટી રહેલા પાણીના જથ્થાના કારણે ગમે ત્યારે પાણી કાપ મુકવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્રને પણ પીવા માટે પાણીનો જથ્થો ઓછો મળે તેવો ભય ઉભો થયો છે.

Most Popular

To Top