Gujarat

વાઈબ્રન્ટ સમિટ નજીક આવી અને ગુજરાતમાં કોરોનાના નવા 13 કેસ

  • ગાંધીનગર: એક તરફ રાજયમાં વાઈબ્રન્ટ સમિટ નજીક આવી રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના નવા 13 કેસો નોંધાયા છે. જોકે રાજ્યમાં JN.1 વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. અલબત્ત, નવા વેરીએન્ટમાં પણ હોમ આઈસોલેશનમાં દર્દીની સારવાર થઈ શકે છે. હાલમાં જે 13 જેટલા નવા કોરોના કેસો છે, તે દર્દીઓની સારવાર હોમઆઈસોલેશનમાં ચાલી રહી છે. જો વિદેશના મહેમાનો અથવા તો ડિપ્લોમેટસમાં કોરોનાના નવા વેરીએન્ટના લક્ષણો દેખાશે તો તેમને જરૂરથી ટેસ્ટ કરાવવો પડશે, બાકી રાજય સરકારે સ્કિનિંગ તેજ બનાવ્યું છે. આ મુદ્દે આજે સવારે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પેટલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં ચર્ચા થવા પામી હતી.
    ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે જણાવતા કેબીનેટ પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલ JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ધાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલ કેસની સંખ્યા ઓછી છે. હાલ રાજ્યામાં 13 જેટલા એક્ટીવ કેસ છે. જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. રાજ્યમાં કોરોના પોઝીટીવ તમામ કેસોનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે . આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય સેક્રેટરી સાથે યોજેલ વીડિયો કોન્ફરન્સ સંદર્ભે જણાવ્યું હતું કે, આ વીડિયો કોન્ફરન્સમાં સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રિવ્યુ કરાયો હતો. દેશમાં કેટલાક રાજ્યોમાં જોવા મળી રહેલ કોરોનાના કેસ સંદર્ભે તેમણે સતર્કતા રાખવા સૂચના આપી હતી. નાગરિકોને ગભરાવવું નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખવા પણ જણાવ્યું હતું. સાથે કોરોના સંદર્ભે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટેની તાકિદ પણ કેન્દ્રીય મંત્રી મનસુખ દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રાજ્યની 5700થી વધુ હોસ્પિટલ્સમાં કોવિડને પહોંચી વળવા પૂર્વ તૈયારી
કેબીનેટ પ્રવકત્તાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 13 થી 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યની 5700 થી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરાયું હતુ. જેમાં સમગ્ર વ્યવસ્થા, તૈયારીઓ, બફર સ્ટોકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાઇ છે. હાલ રાજ્યમાં નોંધાતા કોરોના પોઝીટીવ કેસમાં તેમનું જીનોમ સિકવન્સીંગ પણ કરવામાં આવી રહ્યું છે. શિયાળાની ઋતુ દરમ્યાન સામાન્ય રીતે શરદી, તાવ, ઉધરસ વગેરેના કેસોમાં વધારો જોવા મળે છે જેથી અગમચેતીના ભાગરૂપે હાલ કોવિડ-૧૯ના કેસો ન વધે તેની તકેદારી રાખવા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.

Most Popular

To Top