Gujarat

CM ભૂપેન્દ્ર પટેલના PROનાં પુત્રનું વડોદરા નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા મોત

વડોદરા: ગતમોડી રાત્રિએ CM ભૂપેન્દ્ર પટેલના PRO ઉદય વૈષ્ણવના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. વશિષ્ઠ અન્ય યુવકો સાથે કાર (Car) લઇને ભરૂચથી ગાંધીનગર આવી રહ્યા હતા તે દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે નેશનલ હાઇવે પર વશિષ્ઠ વૈષ્ણવની કારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મોત (Death) નિપજયું હતું. આ અકસ્માતમાં અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત થતા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ સીએમને થતાં તેમણે ઉદય વૈષ્ણવ અને તેઓના પરિવારનાં સભ્યોને શાંતવના પાઠવી હતી

મળતી માહિતી મુજબ શનિવારની મોડી રાત્રિના લગભગ 11:30 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના PRO ઉદય વૈષ્ણવના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવ સહિત 3 યુવાનો કાર લઇને ભરૂચ નોકરી પરથી ગાંધીનગર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે તેઓએ કાર હાઇવેની સાઈડ પર ઉભી રાખી હતી. આવા સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે કાર સાથે 3 યુવાનોને ટક્કર મારી અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો. જેમાં વશિષ્ઠ વૈષ્ણવનું ધટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે તેની સાથેનાં બે યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પોલીસે મૃતક વશિષ્ઠ વૈષ્ણવના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. રવિવારે સાંજે 5.30 કલાકે મૃતક વશિષ્ઠની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. સેકટર-30ના મુકિતધામ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Most Popular

To Top