Comments

25 જૂન,1976 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એ જ છે

25 જૂનને ભારતની લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે છે.હાલના સત્તા પક્ષ ત્યારના વિરોધ પક્ષના અનેક નેતાઓ નેતા બન્યા એની પાછળનું કારણ પણ કદાચ આ જ કાળો દિવસ હતો. કોઈ પણ લોકતંત્ર માટે કટોકટી એ લોકશાહીની હત્યા સમાન જ છે.આજે લોકશાહી અને આઝાદીની વાતો કરતી સરકારે ફરીથી એ જ ચર્ચા કરવા મજબૂર કરી દીધા છે કે આખરે તે વખતે દેખાતી કટોકટી હતી અને આજે ન દેખાતી કટોકટી કે ન અનુભવાતી કટોકટી વચ્ચે ફેર શું છે? ત્યારે કટોકટીનો વિરોધ કરનાર નેતાઓ આજે પોતે દેખીતી કટોકટી તો નથી લાદી રહ્યા પણ ક્યાંક એવું લાગે છે કે કોઈક અદશ્ય શક્તિઓ આઝાદીના શ્વાસને રૂંધી રહી છે.ક્યાંક લખવા, બોલવા કે વિરોધ કરવાની આઝાદી છૂપી રીતે છીનવાઈ રહી છે.ક્યાંક કેટલાક પ્રશ્નો કરવાની આઝાદી છીનવાઈ રહી છે. આવી કટોકટીની વાત સમજવા પહેલાં ઇતિહાસમાં કાળા દિવસના નામે નોંધાયેલી કટોકટી સમજવી પડે.

નિત્ય ક્રમની જેમ ભારતના લોકો 26 જૂન, 1976 ના રોજ રેડિયો શરૂ કર્યો ને અચાનક એક અવાજ આવ્યો “ભાઈઓ ઔર બહેનો,રાષ્ટ્રપતિજીને આપાતકાલ કી ઘોષણા કી હૈ” આકાશવાણીના માધ્યમથી કહેવામાં આવેલા આ શબ્દો તત્કાલિન પ્રધાન મંત્રી ઈન્દિરા ગાંધીના હતા. આ નાનકડી લાઈનમાં મેસેજ સ્પષ્ટ હતો કે તાનાશાહી સરકાર ટકાવી રાખવાની ઈચ્છાથી, ભ્રષ્ટાચારમાં વધારો કરવા, પોતાનાં અન્ય ખોટાં કામો અને નિષ્ફળતાઓને છૂપાવવા માટે દેશમાં લોકશાહીને ‘કેદ’ કરી લેવાઈ છે.કટોકટીની જાહેરાત સાથે જ ઇન્દિરાજીએ તમામ સંચાર-માધ્યમો, અખબારી જગતને ગળે ટૂંપો દેવા માટે, અખબારી પ્રિ-સેન્સરશીપનો કાળો વટહુકમ પણ જાહેર કરી દીધો!  અડધી રાતે તત્કાલિન પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીએ પોતાની ડચકાં ખાતી પ્રધાન મંત્રીપદની ખુરશીને બચાવવા માટે,લોકશાહીની હત્યા કરીને દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી. લોકશાહી માટેની આ કાળ રાત્રી 21 માર્ચ 1977 સુધી રહી હતી. તે વખતનાં પ્રધાન મંત્રી ઇંદિરા ગાંધીએ પોતે પ્રધાન મંત્રીપદ ટકાવી રાખવા માટે ઇમર્જન્સીનો પ્રસ્તાવ તૈયાર કર્યો અને રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે તે પ્રસ્તાવ પર સહી કરી. ઇંદિરા સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિએ ભારતીય બંધારણની કલમ 252 હેઠળ દેશમાં ઇમરજન્સી લાદી દીધી.

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ સમય સૌથી વિવાદાસ્પદ સમય હતો. ઇમરજન્સીના કારણે ચૂંટણી સ્થગિત થઇ ગઇ હતી. લોકોના અધિકારો છીનવાયા હતા, તો બોલવાની પણ આઝાદી ન હતી. જે કારણે આ સમયને આઝાદ ભારતનો સૌથી વિવાદાસ્પદ સમય પણ માનવામાં આવે છે.

આજે આ કટોકટીની સ્થિતિને આટલાં વર્ષો પછી પણ યાદ એટલા માટે કરવી કે કરાવવી પડે છે કે દરેક શાસક હંમેશા એવું જ ઈચ્છતો હોય છે કે એમના શાસન સામે પ્રશ્નો ઓછા થાય, ઘણી વખત સત્તાને સવાલો ગમતા ના હોય ત્યારે પ્રજા અને  પ્રજા માટે લોકશાહીની રક્ષા કરનાર દરેક તંત્રની જવાબદારી બને છે કે લોકશાહીને જીવંત રાખવા માટે પ્રજા માટે પ્રશ્નો પૂછે,2014 થી 2021 ના સમયગાળામાં અનેક વખત એવી સ્થિતિઓ આવી,અનેક વખત એવી ઘટનાઓ બની જયારે લોકશાહીની ચોથી જાગીર ગણતા પત્રકારત્વને શાંત કરી દેવા માટે પ્રયત્નો થયા,( ઉત્તરપ્રદેશથી શરૂ કરીને ગુજરાતમાં અનેક પત્રકારો વિરુદ્ધ અ-કારણ પોલીસ કેસ થયા) અનેક વખત એવી ઘટનાઓ પણ બની કે એવું લાગે જાણે અઘોષિત કટોકટી છે.આવી સ્થિતિ કે ઘટનાઓ ત્યારે જ બનતી હોય છે જયારે લોકોનું સમર્થન આવી ઘટનાઓ સર્જનારા પ્રત્યે હોય.જયારે જયારે આવી ઘટનાઓ બને કે આવી સ્થિતિ અછડતી નિર્માણ પામે ત્યારે લોકોએ, પ્રજાએ એક વાર જેમણે કટોકટી જોઈ છે કે જેમણે કટોકટીનો અનુભવ કર્યો છે એવા લોકોને એક વખત મળી લેવું,સમજી લેવું,એમના વિષે વિચાર કરી લેવો કે 25 જૂન 1976 પછીનો સમયગાળો કેવો હતો? લોકો અને પ્રજાના પ્રશ્નો પૂછનાર પત્રકારત્વ કેવું હતું?

અહીં વાત એ નથી કે છેલ્લે 1975 માં કદાચ પહેલી અને છેલ્લી વાર કટોકટી લદાઈ ને કાયદાની રુએ મળેલા ભારતના બધા જ નાગરિકોના હક્કો છીનવાઈ ગયા.વાત એ પણ નથી કે કાયદાની રુએ ભારતના નાગરિકોને મળેલા અધિકારો ખરા અર્થમાં એમને કેટલા મળ્યા છે કે પછી દરેક દાયકામાં જે અભિવ્યક્તિની આઝાદીના પ્રશ્નો ઊઠે છે એની પણ વાત નથી.વાત કે પ્રશ્ન એ છે કે છેલ્લાં 75 વર્ષમાં ધીરે ધીરે એ પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે કે સતાધીશોએ કાયદા કે સંવિધાનને એટલો નબળો કરી નાખ્યો છે કે 75 વર્ષ પછી પ્રશ્નો થવા લાગ્યા છે કે કાયદો ને વ્યવસ્થા છે ક્યાં? આજે જે કાયદો અને વ્યવસ્થાના સોગંદ લઇને નેતાઓ સત્તા પર આવ્યા એ છડેચોક જયારે કાયદાનું પાલન નથી થતું ત્યારે ક્યાં ખોવાઈ જાય છે? એ કેમ પોતાને આજે સર્વસ્વ સમજવા લાગ્યા છે?

કેમ 1993 ની વોહરા કમિટીનો રિપોર્ટ દેશ સામે સાર્વજનિક નથી કરવામાં આવતો? કેવી રીતે અમીરો સાથેની સાંઠગાંઠ સત્તા મેળવવા માટે એક માફિયાની જેમ કામ કરે છે? કેવી રીતે આજે ક્રોની કેપિટલિઝમથી જ સત્તા ચાલે છે, કેવી રીતે 1984 માં એક મોટું ઝાડ પડતાં જે જગ્યા હલી એને સરખી કરવા માટે શીખોની કત્લેઆમ થઈ ને ઇન્દિરા ગાંધીની હત્યા સામે એને યોગ્ય ઠેરવાયું?  કેવી રીતે ગોધરાથી નીકળેલા રમખાણોના રાજકારણે આજે દેશની દિશા બદલી છે? આ સિવાય આઝાદીનાં 75 વર્ષ પછી આજે દેશમાં ક્યાંક બેચેની એટલે લાગે છે કે લોકોની હત્યા એટલા માટે થઇ જાય છે કેમ કે કોઈ ભ્રષ્ટ સિસ્ટમ સામે પ્રશ્નો કરે છે.

જે પહેલાં ગુનો ગણવામાં આવતો એ આજે સામાન્ય ઘટના કેમ લાગે છે? કદાચ એટલા માટે આવું લાગે છે કે લોકોને આજે એવું થઇ ગયું છે કે જો આવી ગુનાહિત ઘટનાઓમાં સામેલ નહિ થઈએ તો કદાચ સત્તા ન મળે.આજે સ્થિતિ એ છે કે ગુનેગારો એવી રીતે વર્તી રહ્યા છે જાણે પોતે જ ન્યાયાધીશ છે.આજે જે સ્થિતિ છે એ જોઈએ ને એવું લાગે છે કે જાણે સત્તા જ એવો મેસેજ આપી રહી છે કે આઝાદીનાં 75 વર્ષોમાં તમને શું મળ્યું? લૂંટ,બળાત્કાર ચોરી,હત્યા આ જ ને? આજે ગુનેગારોને જાણે સજા મળતી જ બંધ થઇ ગઈ હોય એવું લાગે છે. ગુનેગારોમાં 70 થી 80 ટકા લોકો પુરાવાના અભાવે છૂટી જ રહ્યાં છે,કન્વિકશન રેટ 27 થી ઘટી 21 થઇ ગયો છે. એટલે આજે સમાજની વચ્ચે ગુનાઈત ઘટનાઓ સામાન્ય લાગે છે.આજે ગુનાની પરિભાષા અને પોલીસ સ્ટેશન જ જાણે બદલાઈને ઇડી અને ઇન્કમટેક્ષમાં સમેટાઈ ગયું હોય એવું લાગે છે.

આજે કટોકટીને તો યાદ કરાય છે, પણ ક્યાંક વાણીસ્વાતંત્ર્ય કેટલું અને કેવું છે એની ચર્ચા ક્યાંય થતી જ નથી. 26 જૂને એક પક્ષ કટોકટીને કાળો કાળ ગણાવે છે તો બીજો પક્ષ હાલની સ્થિતિને કટોકટી ગણાવે છે, પણ આ પક્ષાપક્ષી ને સામસામે આક્ષેપબાજીના ખેલમાં ક્યાંક લોકશાહી અને આઝાદીનો શ્વાસ ગૂંગળાતો હોય એવું આજે લાગી રહ્યું છે.આજે દેખીતી આઝાદીમાં ફરીથી કટોકટી છુપાયેલી હોય એવો આભાસ થાય છે.

          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top