Comments

પ્રતિબંધથી નહીં, પ્રતિબદ્ધતાથી ઊકેલવા જેવી સમસ્યા

શાળાના કોઈ વિદ્યાર્થીની સ્કૂલબૅગમાં શું હોય? નોટબુક, પુસ્તકો, કમ્પાસ, લંચ બૉક્સ કે નાનીમોટી ખાદ્યચીજ હોવી સામાન્ય બાબત ગણાય. બીડી, સીગારેટ કે લાઈટર હોવું અસામાન્ય ગણાય. નશીલી દવા નીકળે એ જાખમી કહેવાય. પણ એમાં કોન્ડોમ કે ગર્ભનિરોધક ગોળીઓ જાવા મળે તો? પહેલી પ્રતિક્રિયા આઘાતની હોય. સમાજનું અધઃપતન આ હદે થઈ ગયું હોવાના વિચારો આવે. એ પછી શું? એ કેમ થયું, અને એને રોકવા શા પગલાં લેવાં એ વિશે વિચારણા કરવામાં આવે ખરી?

સામાન્ય રીતે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત હોય છે. નવેમ્બર, ૨૦૨૨માં કર્ણાટકની એક શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન પોતાની સાથે રાખતા હોવાની ફરિયાદને પગલે તેમની સ્કૂલબૅગો તપાસવામાં આવી. તપાસમાં ધો.૮, ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ ફોન અને વધુ પડતી રોકડ રકમ મળી આવી. પણ એ ઉપરાંત સિગારેટ, લાઈટરની સાથોસાથ કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓ મળી આવતાં શાળાના સંચાલકો આઘાત પામી ગયા. તેમણે એ વિદ્યાર્થીઓ પર કશાં પગલાં લેવાને બદલે તેમનાં માવતરને પત્ર લખીને તેમને સમજાવવાની વાત કરી.

આ ઘટના પ્રકાશમાં આવી અને થોડા સમયમાં કર્ણાટકના ડ્રગ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (ડી.સી.ડી.) દ્વારા એક હુકમનામું બહાર પડાયું હોવાના સમાચાર પ્રસર્યા. એ મુજબ ફાર્મસિસ્ટ અને મેડીકલ સ્ટોરને અઢારથી ઓછી વયના લોકોને કોન્ડોમ, ગર્ભનિરોધક અને એન્ટિ ડિપ્રેસન્ટ દવાઓ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દૈનિક ‘બેંગ્લોર મીરર’માં કર્ણાટકના ઔષધ નિયામક ભગોજી ટી. ખાનપુરેના નામે એક નિવેદન પ્રકાશિત થયું, જેમાં તેમણે કહેલુંઃ ‘કોન્ડોમ શાળાનાં બાળકો માટે નથી. આથી પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે સગીર વયનાં બાળકોને વેચવાના નથી.’જા કે, ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ‘ડી.સી.ડી.’દ્વારા ચોખવટ કરવામાં આવી કે તેના દ્વારા આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. તેને બદલે વિભાગે ફાર્માસિસ્ટો સગીર વયનાં બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરે એમ જણાવ્યું છે. આ આખો મુદ્દો અતિશય નાજુક છે. જે ઘટના પ્રકાશમાં આવી છે એ હીમશિલાની ટોચ હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. યોગ્ય ઈચ્છાશક્તિ હોય તો આ મુદ્દે મહત્ત્વની ચર્ચાવિચારણા કરીને યોગ્ય નીતિ નિર્ધારીત કરી શકાય એવી સ્થિતિ છે.

શાળાના વિદ્યાર્થીઓ એટલે કે તરુણ-તરુણીઓ દ્વારા આ સાધનોનો ઉપયોગ ચિંતા પ્રેરે એવો છે, પણ તેને પગલે એ વિચારવા જેવું છે કે તેઓ આ સાધનોના યોગ્ય ઉપયોગ વિશે બરાબર માહિતગાર છે. આપણા દેશમાં જાતીય સમસ્યાઓ બાબતે કોઈ પણ સ્તરે ખુલીને ચર્ચા કરવામાં આવતી નથી. શિક્ષણમાં જાતીય જ્ઞાનનો સમાવેશ કરવો કે ન કરવો? આ મુદ્દો સદાય ગરમાગરમ દલીલોથી ચર્ચાય છે, અને સરવાળે એમાં આગળ કશું થઈ શકતું નથી. મૂળ વાત એ છે કે વિદ્યાર્થીઓમાં શારિરીક પરિવર્તનની ઉંમર સતત ઘટતી રહી છે. એવે સમયે તેમને એ ફેરફારો વિશે વૈજ્ઞાનિક ઢબે, સુયોગ્ય જાણકારી પ્રા થાય તો તેમની સમજણ કેળવાય. એ રીતે કેળવાયેલી સમજણ તેમના જીવનને સુખી બનાવે. પણ જાતીય સમસ્યાઓ પ્રત્યે સૂગ કેળવાયેલી રહે તો એ બીજી અનેક સમસ્યાઓરૂપે દેખા દઈ શકે.

કોઈ પણ સમસ્યાના ઊકેલ માટે પહેલાં એ સમસ્યાની વાસ્તવિકતાનો સ્વીકાર જરૂરી બની રહે છે. આપણે ત્યાં શાળામાં કે ઘરમાં જાતીય બાબતો અંગે યોગ્ય માહિતી આપવાનો શિરસ્તો સામાન્યપણે નથી. આટલી મહત્ત્વની જાણકારી, કુતૂહલવશ હોવાની વયે તરુણો અન્ય સ્રોત દ્વારા મેળવવાનો પ્રયત્ન કરે છે, જે વિશ્વસનીય હોવા બાબતે શંકા હોય છે. આ કારણે સાવ શરૂઆતના તબક્કે અનેક ગેરમાન્યતાઓ તેમના મનમાં ઘર કરી જાય એવી પૂરેપૂરી શક્યતા છે.

કર્ણાટકમાં સલામત જાતીય સંબંધ માટેનાં સાધનો ખરીદવા આવતા વિદ્યાર્થીઓને સમજાવવાનું ફાર્માસિસ્ટોને જણાવવામાં આવ્યું એ કદાચ પ્રાથમિક પગલું હશે એમ માનીએ. કેમ કે, આવી મહત્ત્વની બાબત કંઈ એ સાધનો વેચતા ફાર્માસિસ્ટ પર ન છોડી શકાય. તેના માટે વિષયનિષ્ણાતો સાથે યોગ્ય ચર્ચાવિચારણા કરીને યોગ્ય શિક્ષણનીતિ ઘડવી જરૂરી છે. કમનસીબે આપણી શિક્ષણનીતિ સાવ ટૂંકી દૃષ્ટિની અને બિનવ્યવહારુ હોવાનું સતત પુરવાર થતું આવ્યું છે અને વર્તમાન સમયમાં આ બાબત તેની ચરમસીમા પર છે. દેશના આશાસ્પદ વિદ્યાર્થીઓ દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવા માટે દોટ મૂકી રહ્યા છે. પશ્ચિમના વિવિધ દેશો આ વિદ્યાર્થીઓને આવકના સ્રોત તરીકે જાઈ રહ્યા છે. વિદ્યાર્થી અભ્યાસમાં તેજસ્વી હોય, મધ્યમ હોય કે સરેરાશ, એ હકીકત છે કે દેશમાં પ્રા કરેલા શિક્ષણ થકી તેને ઉજ્જ્વળ ભવિષ્યની આશા નથી.

શિક્ષણમાં વ્યાપાર અને રાજકારણ બન્ને ભળે એ પછી કાગળ પર ગમે એવી ઉજ્જ્વળ દેખાતી શિક્ષણનીતિની ઘોર ખોદાતાં વાર લાગતી નથી. હજી અનેક નક્કર બાબતો અને ભાવિ આયોજનને બદલે ધર્મ, પ્રદેશ, ભાષા, જાતિ સહિતના અનેક મુદ્દે વિભાજીત કરવાનું રાજકારણ જ ચાલી રહ્યું છે અને સફળ થઈ રહ્યું છે. લોકોપયોગી કાર્યોને બદલે લોકરંજક કાર્યોની પરંપરા એવી પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે મોટા ભાગના લોકો આભાસી ગૌરવમાં કે વાસ્તવિક દ્વેષમાં રાચ્યા કરે. કર્ણાટકની શાળામાં જે થયું એ કંઈ અપવાદ નહીં હોય.અન્ય રાજ્યોની શાળામાં પણ એ થઈ શકે. આટલા મહત્ત્વના મુદ્દાને પ્રતિબંધથી નહીં, પણ તેને પ્રતિબદ્ધ શિક્ષણ દાખલ કરીને ઉકેલવાનો પ્રયાસ થવો જાઈએ. એ અંગે વિચારવાનો, એની પહેલ કરવાનો આ સૌથી યોગ્ય સમય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top