Gujarat

કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનો આજથી ગાંધીનગરથી આરંભ

ગાંધીનગર: કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના (Technology) ઉપયોગ કરવાવ હવે ગુજરાત (Gujarat) આગળ વધી રહ્યું છે. સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી- કૃષિ વિમાનના મહત્તમ ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧.૪૦ લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરીયા, FCO માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરના છંટકાવની કામગીરી બે પધ્ધતિ દ્વારા અમલમાં મૂકવાનો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કૃષિક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગની ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૦૫મી ઓગસ્ટે રોજ સવારે ૯.૦૦ કલાકે ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી કરવામાં આવશે. કૃષિ રાજય મંત્રી મુકેશ પટેલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામેથી શુભારંભ કરાવશે.જયારે ડાંગ જિલ્લા સિવાય બાકીના તમામ જિલ્લાઓમા આજ દિવસે શુભારંભ કરવામાં આવશે. કૃષિ મંત્રી પટેલે ક્હ્યું હતું કે, પ્રથમ યોજનામાં એટસોર્સ પદ્ધતિમાં કુલ 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ઇફ્કો સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.જેના થકી ૧૫૦૦ એકરના બે થી ત્રણ ગામોના ક્લસ્ટર બનાવી નેનો યુરીયાનો છંટકાવ કરવામાં આવશે.

જ્યારે બીજી યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ પદ્ધતિમાં કુલ રૂ.23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આઈ-ખેડૂત પોર્ટલ મારફત લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ ગત તા.૨૮ જુલાઈ ૨૦૨૨થી એક માસ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે, આ યોજનામાં સહાયનું ધોરણ ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે તેમજ જમીન ખાતા દીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે.

કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની સહાયકારી યોજનાથી ખુબ જ મોટા પ્રમાણમાં ફાયદાઓ થશે તેમ જણાવતાં પટેલે કહ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી -કૃષિ વિમાનના ઉપયોગથી ફકત ૨૦ મીનીટમાં ૧ હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે.જેમાં રસાયણનો ૯૦% થી વધુ અસરકારક ઉપયોગ કરી શકાય છે. ખાતર અને જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં ૪૦% વધારો તથા પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે. આ ઉપરાંત ખેત મજૂરની સમસ્યાનું નિવારણ લાવી ખેડૂતોનું સ્વાસ્થ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની તકો ઊભી કરી શકાશે.


Most Popular

To Top