Gujarat

125 બેઠકો જીતવાના સંકલ્પ સાથે ચૂંટણી જંગમાં ઉતરવાની કોંગ્રેસની રણનીતિ

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓ (Election) હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના (Congress) એક પછી એક મોટા નેતાઓ પાર્ટી (Party) છોડી જઈ રહ્યા છે. તેવામાં આજે પ્રદેશ કોંગ્રેસના એઆઈસીસીના નિરીક્ષક ટી. એસ. સિંહ દેવ અને મિલિંદ દેવરાની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીને લઇ મેરોથોન બેઠકોનો દોર યોજાયો હતો. જેમાં વિધાનસભામાં 125 બેઠકો જીતવાના સંકલ્પ સાથે ચૂંટણી જંગમાં ઉતરવાનું રણનીતિ નક્કી કરાઈ હતી.

લોકસભા નિરીક્ષકોની બેઠકને સંબોધન કરતાં છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ. સિંહ દેવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સારૂ કામ કરતી હશે તેવું હું માનતો હતો. પરંતુ ગાંધી – સરદાર સાહેબના ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે, ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાય છે, ૧૪ થી વધુ વખત પેપર ફુટે છે, એક જ જિલ્લામાં ૨૫૦૦૦થી વધુ ગાયોનું મૃત્યુ થાય છે, વગેરે સહિતની વિગતોથી ભાજપ મોડલની નિષ્ફળતા ઉજાગર થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ જીવંત, મજબુત અને બળવાન છે. આવનારા દિવસોમાં કેવુ ગુજરાત બનાવવા માંગીએ છીએ એ વાતને લઈને કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈશું. અમારો ચૂંટણી ઢંઢેરો નવા ગુજરાતનો આધાર હશે.

મંત્રી ડૉ. રઘુ શર્માએ નિરીક્ષકોની બેઠકમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ૧૨૫થી વધુ બેઠકો સાથે વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી જીતશે. ગુજરાતમાં શહેરી વિસ્તારો માટે વિશેષ પ્લાનિંગ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા જનજનને સાંકળીને ૨૦૦૦થી વધુ બેઠકો યોજી ચૂંટણી ઢંઢેરો – સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ચારેય ઝોનમાં કોંગ્રેસની જનસરકાર લાવવામાં આવશે તેવો નિર્ધાર કર્યો હતો.

‘મારુ બુથ મારુ ગૌરવ’ કાર્યક્રમ અંતર્ગત બુથ મેનેજમેન્ટનું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવશે
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય, ગાયોની હત્યા થાય, મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ અંગે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમ યોજશે. નોર્થ, સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર અને સાઉથ એમ ચારેય ઝોનમાં ‘મારુ બુથ મારુ ગૌરવ’ કાર્યક્રમ અંતર્ગત બુથ મેનેજમેન્ટનું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવશે. ગુજરાતના ચારેય ઝોનમાં મોંઘવારી, બેરોજગારી, દારૂ-ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર, મોંઘુ શિક્ષણ, કથળતુ આરોગ્યતંત્ર અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે યાત્રા શરૂ કરવામાં આવશે. ૨૬ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ લોકસભા નિરીક્ષકો, તમામ જિલ્લા પ્રમુખઓ, પ્રદેશ લોકસભા નિરીક્ષકો, વિધાનસભા પ્રદેશ નિરીક્ષકો અને સ્થાનિક ધારાસભ્યો સાથે બુથ મેનેજમેન્ટ, મેનીફેસ્ટ્રો, કેમ્પેઈન, આંદોલનાત્મક કાર્યક્રમો સહિતના મુદ્દે ઝોન દીઠ વિશેષ મેરથોન બેઠક યોજાઈ હતી. નિમાયેલા સિનિયર નિરીક્ષકો આવતીકાલથી પોતાના વિસ્તારમાં જશે. ૧૦ થી ૧૫ દિવસ બાદ ફરી રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવશે. ગાંધી સરદારના ગુજરાતમાં ૧૨૫ બેઠકો સાથે જનજનની સરકાર બનાવવામાં આવશે.

Most Popular

To Top