SURAT

1લી અને 2જી એપ્રિલે રાંદેર અને અઠવા ઝોનમાં પાણી કાપ

સુરત: (Surat) એક બાજુ કાળઝાળ ગરમી વધવા લાગી છે. ત્યારે બીજી બાજુ મનપાના પાણી વિભાગના (Water Department) કામો તેમજ મેટ્રોના કારણે લાઇન શિફ્ટિંગ થઇ રહી હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અવાર નવાર પાણી કાપ મુકવામાં આવી રહ્યો છે. ત્યારે હવે રાંદેર ઝોન સ્થિત વોટર વર્કસ ખાતેની નડતરરૂપ 1420 વ્યાસની પાણીની લા‌ઇન શિફ્ટ કરવાની હોવાથી પહેલી એપ્રિલ તેમજ બીજી એપ્રિલના રોજ મનપાના રાંદેર અને અઠવા ઝોનના ચોકકસ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે. તેથી જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે.

મનપાના સૂત્રોએ જણાવ્યા મુજબ રાંદેર વોટર વર્કસ ખાતે નડતરરૂપ 1420 મી.મી. વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી તેમજ 600 મી.મી. વ્યાસની લાઇન પણ તારીખ બદલવાની કામગીરી કરવાની હોવાથી 1 એપ્રિલ સોમવારે સવારે 9 થી રાંદેર વોટર વર્કસના બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રહેશે તેથી 2જી એ‌િપ્રલના મંગળવારના રોજ સવારે 9 કલાક સુધી રાંદેર વારીગૃહથી પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડી શકાશે નહીં. ઉપરાંત 2જી તારીખે પણ દિવસ દરમિયાનનો પાણી પુરવઠો ઓછા પ્રેશરથી તેમજ નહીંવત માત્રામાં મળવાની શક્યતા છે.

પહેલી એપ્રિલના રોજ કયા કયા પાણી કાપ રહેશે ?
પશ્ચિમ(રાંદેર) ઝોન વિસ્તારમાં- એલ.પી.સવાણી રોડની બંને તરફનો વિસ્તાર, ગોરાટ રોડ, પાલનપુર પાટિયાનો પાર્ટ વિસ્તાર, પરશુરામ ગાર્ડનની આસપાસનો વિસ્તાર રાંદેર ગામતળ, પાલનપુર ગામ તથા આસપાસનો વિસ્તાર, રોયલ પ્લેટેનિયમથી ગણેશકૃપા સોસાયટી પાલનપુર કેનાલ રોડ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ, ગૌરવપથ રોડ પાલનપુર વિસ્તાર, કબુતર સર્કલથી પાલ પાટિયા-રાજહંસ કેમ્પર્સ વિસ્તાર, મોનાર્ક થી પાલ હવેલી સુધીનો ગૌરવપથ પાલ વિસ્તાર, ઈસ્કોન મંદિર રોડ, પાલ ગામ, મોરા ભાગળ, રામનગર, ભેંસાણ તેમજ સમ્રગ રાંદેર ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ સંલગ્ન તમામ વિસ્તાર, સોસાયટી, વસાહતોમાં સવારે ૯:૦૦ થી રાત્રે ૧૨:૦૦ દરમ્યાન જુદા-જુદા સમયે વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો પુરો પાડી શકાશે નહીં.

સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોન વિસ્તારમાં- સિટીલાઇટ રોડ, પીપલોદ ગામ, ઉમરા ગામતળ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવસર્ટીએસ.વી.એન.આઈ.ટી. કેમ્પસ તથા સદર વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો પુરો પાડી શકાશે નહીં.

૨જી એપ્રિલના રોજ કયા વિસ્તારમાં અસર જોવા મળશે.
સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોન વિસ્તારમાં- અઠવાગેટ, લાલ બંગલો, ઘોડદોડ રોડ, ભટાર રોડ તથા સદર વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં સવારે ૫:૦૦ થી ૮:૦૦ દરમ્યાન વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો બંધ રહશે.

પશ્ચિમ(રાંદેર) ઝોન વિસ્તારમાં- પૂજા ફલેટસ થી સંત તુકારામ વિભાગ ૨ તથા ૬ પાલનપુર વિસ્તાર, પાલ વિસ્તાર, ઝગડીયા ચોકડી થી ગીરધર નગર થી ટવીન ટાવર થી સિદ્ધિ વિનાયક રેસિડેન્સી સુધીના રોડનો બંને બાજુનો વિસ્તાર, હેપ્પી હોમ્સ, SMC આવાસ વિગેરેને સંલગ્ન તમામ વિસ્તાર, પાલ-પાલનપુર યોજના અંતર્ગત ESR- 4, માંથી વિભાગીય ધોરણે સવારે ૯:૦૦ વાગ્યા સુધી અપાતો પાણી પુરવઠા નો વિસ્તાર પુરો પાડી શકાશે નહીં. અડાજણ ગામતળ, અડાજણ પાટિયા, આનંદમહલ રોડ, હનીપાર્ક રોડ, જોગાણીનગર, પ્રાઈમ આર્કેડ, પાલનપુર પાટિયાનો પાર્ટ વિસ્તાર, તાડવાડી, પાલનપુર જકાતનાકા તથા સંલગ્ન તમામ વિસ્તારમાં જોગાણીનગર વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનથી વિભાગીય ધોરણે સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમ્યાન અપાતો પાણી પુરવઠા નો વિસ્તાર પાણી સપ્લાય થઇ શકશે નહીં એવી જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top