SURAT

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી 45મુ અંગદાન, બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે

સુરત: ભાદરવી પૂનમના પાવન અવસરે સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલથી (New Civil Hospital) વધુ એક સફળ અંગદાન (Organ Donation) થયું છે. સુરત નજીક આવેલ સચીન જી.આઇ.ડી.સી. (Sachin GIDC) ખાતે રહેતા બ્રેઈનડેડ (Braindead) બિસ્માકર્મા અવધ મિસ્ત્રીના લિવર અને ફેફસાના દાનથી બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારના અહિયાપૂર ખુટહાના હસપુરાના વતની 42 વર્ષીય બિસ્માકર્મા અવધ મિસ્ત્રી સચીન જી.આઇ.ડી.સી. ખાતે બરફની કંપનીમાં કામ કરતા હતા અને કંપનીમાં જ રહેતા હતા. તા. 27 સપ્ટે. ના રોજ સાંજે રૂમ પર જમવાનું બનાવતાં હતા ત્યારે અચાનક ચક્કર આવી જતા સાંજે 6 વાગ્યા આસપાસ તત્કાલ 108 ઈમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમના મગજની નસ ફાટી જવાનું નિદાન થયું હતું. સઘન સારવાર બાદ તા.૨૯મીએ વહેલી સવારે 2:17 વાગ્યે ડો.જય પટેલ તથા ડો.કેયુર પ્રજાપતિ, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

મિસ્ત્રી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ બિસ્માકર્માના કાકાએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. તેમના પરિવારમાં પત્ની મમતાદેવી તથા દીકરી ખુશ્બુ અને પુત્ર અમિત છે, જેઓ વતનમાં રહે છે.

આજે તા.29મી સપ્ટે.એ બ્રેઈનડેડ બિસ્માકર્માના લીવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે તથા ફેફસાને ડી.વાય.પાટીલ હોસ્પિટલ એન્ડ રીચર્સ સેન્ટર-પુણે ખાતે લઇ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૪૫મું અંગદાન થયું છે.

Most Popular

To Top