કીમમાં 15 દિવસમાં રહસ્યમય સંજોગોમાં 50થી વધુ ડુક્કરોનાં મોત, રોગચાળાની દહેશત

કીમ: (Kim) કીમ ગામમાં છેલ્લા ઘણા દિવસથી ટપોટપ ડુક્કરોનાં (Pigs) અકાળે મોત (Death) થઈ રહ્યાં છે. છેલ્લા ૧૫ દિવસમાં ૫૦થી વધુ ડુક્કરોનાં મોત નીપજવાની સાથે મૃત ડુક્કરોથી ફેલાતી તીવ્ર દુર્ગંધના કારણે લોકો બીમાર (Ill) પડી રહ્યા હોવાની સાથે લોકો પરેશાન થઈ ચૂક્યા છે.

ઓલપાડ (Olpad) તાલુકાના કીમ ગામમાં છેલ્લા ઘણા દિવસોથી સંખ્યાબંધ ડુક્કરો રહસ્યમય સંજોગોમાં મોત થઈ રહ્યાં છે. કીમ ગામના ઘણા વિસ્તારમાં એક બાદ એક ટપોટપ નાનાં બચ્ચાંથી લઈ મોટાં ડુક્કરો લોકોની આંખની સામે તરફડીને મરી રહ્યાં હોવાની વિગતો સામે આવી છે. છેલ્લા ૧૫ દિવસની અંદર ૫૦થી વધુ ડુક્કરોનાં મોત થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે. કીમ ગામના સફાઈકર્મીઓ (Sweeper) પણ રોજિંદા ૨થી ૩ જેટલા મૃતદેહનો નિકાલ કરી રહ્યા છે.

ઘણા ડુક્કરોના મૃતદેહો ગંદકીથી ખડબડતા વિસ્તારમાં પડ્યા હોવાથી ત્યાંથી અન્યત્રે સ્થળે નિકાલ કરવો કે ત્યાં જ મૃતદેહને સળગાવવાની નોબત આવી રહી છે. પરંતુ મૃતદેહોમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધથી લોકો બીમાર પણ પડી રહ્યા છે. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. મહત્ત્વનું છે કે, કીમ ગામમાં રહસ્યમય સંજોગોમાં ડુક્કરોનાં મોત અંગે હાલ કોઈ કારણ સામે નથી આવી રહ્યું. પણ લોક ચર્ચા એવી પણ છે કે, કોઈ ઝેરી પદાર્થ (Toxic substance) ખાવાના કારણે ડુક્કરો મોતને ભેટી રહ્યાં છે. મહત્ત્વનું છે કે, કીમ ગામમાં ડુક્કરો સિવાય અન્ય કોઈ જાનવરના આ પ્રકારે મોત નહીં થયા હોવાનું જાણવા મળ્યું છે.

મહત્ત્વની વાત એ છે કે, હાલમાં કોરોના (Corona) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના કારણે રોગચારો (Epidemiology) ફેલાવાની પણ દહેશત વર્તાઈ રહી છે. આરોગ્ય વિભાગ (Department of Health) દ્વારા આ બાબતે તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનો પગલાં લે એ ખૂબ જ જરૂરી બન્યું છે. નહીં તો ગામમાં કોરોનાની સાથે સાથે અન્ય રોગચારો ફેલાઈ તેવી દહેશત વર્તાય રહી છે.

કીમ ગામના ગંદકીથી ખડબડતા વિસ્તારમાં ડુક્કરોનાં મોત
કીમ ગામમાં અનેક વિસ્તારોમાં ડુક્કરોના રહસ્યમય મોત થઈ રહ્યા છે. જેમાં હળપતિવાસ, ખરાબા, ગુંડી ફળિયું, પટેલનગર-૨નો બાગ વિસ્તાર, કીમ-કઠોદરા રોડ સહિત અનેક વિસ્તારમાં ગંદકી છે. જેના કારણે ડુક્કરોએ પણ આ વિસ્તારમાં સામ્રાજ્ય જમાવ્યું છે. અને જ્યાં ડુક્કરોનાં મોત થઈ રહ્યાં છે.

Most Popular

To Top