SURAT

સુરતમાં વરસાદી માહોલ વચ્ચે કોઝવેનો અદભુત નજારો, જુઓ Video

સુરત: સુરત(Surat) શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદી(Rain) માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરનાં રસ્તા(Raod)ઓ પાણી-પાણી થઇ ગયા છે. વરસાદનાં પગલે સુરત શહેરનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસથી કાળઝાળ ગરમી અને બફારાથી અકળાઈ ઉઠેલા સુરતીલાલાઓને વરસાદથી રાહત મળી છે. વરસાદના પગલે વહેલી સવારે કામ-ધંધા અર્થે જતા લોકો તેમજ શાળાએ જતા બાળકોને થોડી તકલીફનો સામનો કરવો પડતો હતો. જો કે જે પ્રકારે સુરત શહેરમાં અવિરત મેઘ મહેર થઇ રહી છે તેના પગલે વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા દિવસમાં સમયે પણ રાત્રી જેવું અંધારું છવાઈ ગયું છે. સુરત શહેરમાં સવારના 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ખાડા- ખાબોચિયા ભરાઈ ગયા છે. જેના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.

સુરત શહેરમાં સવારનાં 8 વાગ્યા સુધીના વરસાદનાં આંકડા
સુરત શહેરમાં સવારે 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ(Rainfall) નોંધાયો છે. સૌથી વધુ શહેરના સાઉથ ઝોનમાં 36 મીમી વરસાદ નોંધાયો છે.

સેન્ટ્રલ ઝોન – 14 mm
વેસ્ટ ઝોન – 3 mm
નોર્થ ઝોન – 11 mm
ઇસ્ટ ઝોન (એ) – 34 mm
ઇસ્ટ ઝોન (બી) – 18 mm
સાઉથ ઝોન – 36 mm
સાઉથ વેસ્ટ ઝોન – 15 mm
સાઉથ ઇસ્ટ ઝોન – 34 mm

ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાયા
સુરતમાં અવિરત મેઘમહેરના પગલે શહેરનાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતનાં વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી

વરસાદના પગલે તાપીમાં નવા નીર આવ્યા, કોઝવેની સપાટીમાં વધારો
સુરત શહેરમાં ચોમાસુ શરૂ થતાં જ તાપી નદી(Tapi River)માં નવા નીર આવ્યા છે. તેમજ કોઝવે(Kozway)ની સપાટીમાં વધારો નોંધાયો છે. વહેલી સવારે કોઝવેની સપાટી 5.33 મીટર નોંધાઈ હતી. જ્યારે કોઝવે પર પાણી હાલ 5.49 મિટર પર વહી રહ્યું છે. વિયર કમ કોઝવેના અપસ્ટ્રીમ અને તાપી નદીના ઉપરવાસમાં વરસાદથી કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો છે. 1 જ દિવસમાં કોઝવેની સપાટી 5 મીટરથી વધીને 5.49 મીટર પહોંચી ગઇ છે. નોંધનીય છે કે, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જો આગાહી પ્રમાણે વરસાદ વરસતો રહેશે તો કોઝવે ઓવરફ્લો થતા બંધ કરવાની ફરજ પડશે. વરસાદી માહોલ વચ્ચે કોઝવે પર અદભુત નજરો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ગરમીનાં કારણે સુકાઈ ગયેલી તાપી નદીમાં પણ નવા નીર આવતા ખળખળ વહેવા લાગી છે.

કોઝવેની સપાટી : 5.49 મીટર
ઉકાઈની સપાટી : 315 ફૂટ

વરસાદનાં પગલે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
સુરતમાં છુટોછવાયા વરસાદી ઝાપટાં બાદ લિંબાયત, કતારગામ, વેડરોડ, પાલનપોર, પુણા સહિતના વિસ્તારોમાં પાણીના ખાડા- ખાબોચિયા ભરાઈ ગયા છે. જેના પગલે આ વિસ્તારોમાં મચ્છરના ઉપદ્રવની ફરિયાદો ઉઠી છે. મચ્છરોનાં ઉપદ્રવનાં કારણે સ્થાનીકોમાં ડેન્ગ્યૂ, તાવના પાણીજન્ય રોગો થવાનો ભય ફેલાઈ રહ્યો છે. જો કે વરસાદનાં કારણે ભરાતાં પાણીને દૂર કરી મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાનો શોધી નાબૂદ કરવા અને તાવના લક્ષણો જણાતાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા કમિશનરે અપીલ કરી છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, ઘરમાં લાર્વા મોટા થઈ ને મચ્છર બને તે પહેલાં જ આવા ઉત્પત્તિ સ્થાનોને શોધી નાબૂદ કરો,પાલિકાના વીબીડીસી વિભાગ પણ મચ્છર ઉત્પત્તિ સ્થાન શોધી નાબૂદ કરે છે. મચ્છરોની ઉત્પત્તિને રોકવા પીપ, કેરબા, ડોલ અને ડ્રમને કાથાની દોરી વડે ઘસી સુકવીને પછી જ પાણી ભરો, તાવનાં લક્ષણ જણાતાં નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લેવી તેવી અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top