દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 21 દિવસથી અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરેલા પ્રખ્યાત શિક્ષણ સુધારક અને કાર્યકર્તા સોનમ વાંગચુકે હોસ્પિટલમાંથી સમર્થકો જોગ પોતાનો પ્રથમ સંદેશ મોકલ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા હોસ્પિટલ ખસેડવાની આ કાર્યવાહીને તેમણે ‘ગેરકાનૂની અટકાયત’ ગણાવી છે. આ સાથે જ તેમણે દેશમાં ચાલી રહેલા આ આંદોલનને ‘ભારતનું દ્વિતીય સ્વતંત્રતા આંદોલન’ ગણાવીને સોમવાર, 20 જુલાઈના રોજ યોજાનારી સંસદ કૂચને સફળ બનાવવા આહવાન કર્યું છે.
કાગળના ડૂચા પર લખાયો સંદેશ: પત્ની દ્વારા બહાર આવી વિગતો
ભૂખ હડતાલના 21માં દિવસે શનિવારે દિલ્હી પોલીસે તબિયત લથડવાનું કારણ આપીને વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. રવિવારે તેમની પત્ની ગીતાંજલિ જે. આંગમો દ્વારા તેમનો આ સંદેશ બહાર લાવવામાં આવ્યો છે.
- ચિઠ્ઠી દ્વારા સંદેશ: 59 વર્ષીય સોનમ વાંગચુકે હોસ્પિટલની અંદરથી જ કાગળના એક ડૂચા પર આ સંદેશો લખ્યો હતો, જેનો ફોટો તેમના સત્તાવાર એક્સ (X) હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.
- અન્યાય અને ડર સામે લડત: તેમણે દેશના યુવાનોને ‘ભયમુક્ત’ અને ‘અન્યાયમુક્ત’ ભારત બનાવવા માટે આગળ આવવા કહ્યું છે. પેપર લીક જેવા કૌભાંડોનો ઉલ્લેખ કરતા તેમણે શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા માટે ‘અન્યાયમાંથી મુક્તિ’ ની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
- સંસદ માર્ચ પર અનિશ્ચિતતા: વાંગચુકે કોકરોચ જનતા પાર્ટી (CJP) ની સોમવારની સંસદ કૂચને ટેકો આપવા અપીલ કરી છે. જો કે, દિલ્હી પોલીસના સોર્સ મુજબ આ રેલી માટે શનિવાર સુધી કોઈ સત્તાવાર મંજૂરી માંગવામાં આવી નથી, અને આગામી ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખતા મંજૂરી મળવાની શક્યતા નહિવત છે.
સોનમ વાંગચુક હેલ્થ અપડેટ: સારવાર લેવાનો ઇનકાર
રવિવારે સફદરજંગ હોસ્પિટલ દ્વારા સોનમ વાંગચુકનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ તેમની શારીરિક સ્થિતિ ચિંતાજનક હોવા છતાં તેઓ મક્કમ છે:
- રિપોર્ટ્સમાં ગરબડ: ડોક્ટરોના મતે હાલ તેમના તમામ મુખ્ય પેરામીટર્સ સ્થિર છે, પરંતુ લાંબા ઉપવાસના લીધે લોહીના રિપોર્ટ્સમાં થોડી ગરબડ જોવા મળી છે. તેમના શરીર પર લાંબા સમયની ભૂખ હડતાલની ગંભીર અસરો થઈ રહી છે.
- દવાઓ લેવાનો ઇનકાર: હોસ્પિટલના જણાવ્યા અનુસાર, શનિવારથી જ સોનમ વાંગચુકે ગ્લુકોઝ (IV Fluids), ORS કે કોઈ પણ પ્રકારની દવાઓ લેવાનો સાફ ઇનકાર કરી દીધો છે. AIIMS ના નિષ્ણાતો અને મેડિકલ ટીમના વારંવાર સમજાવવા છતાં તેઓ દવાઓ નથી લઈ રહ્યા અને તેમના પરિવારે પણ હજુ સુધી મેડિકલ ટ્રીટમેન્ટ માટે સહમતિ આપી નથી.
- શરીરનું વજન ઘટ્યું: શુક્રવારે રાત્રે જ વાંગચુકે જણાવ્યું હતું કે તેમણે પોતાના શરીરનું 20 ટકા જેટલું વજન ગુમાવી દીધું છે, તેમ છતાં તેઓ લડત ચાલુ રાખશે.
દિલ્હી પોલીસનું કહેવું છે કે દિલ્હી હાઈકોર્ટના આદેશો અને મેડિકલ એક્સપર્ટ્સની સલાહને માન આપીને જ તેમને જંતર-મંતરથી હોસ્પિટલ શિફ્ટ કરાયા છે. NEET પરીક્ષાની ગેરરીતિઓ બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ગત 28 જૂનથી શરૂ થયેલું આ આંદોલન હવે આરપારની લડાઈ તરફ આગળ વધી રહ્યું છે.