Charchapatra

સમાજ અને શિક્ષક

શિક્ષક સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ. ચાણક્ય એ આવું કહ્યું જ નથી. સાધારણ વ્યક્તિ ક્યારેય શિક્ષક ન હોય શકે. જે શિક્ષક વિદ્યાર્થીઓને નીતિમત્તાના પાઠ ભણાવે છે એ આટલો મજબૂર ક્યારેય ન હતો. શિક્ષકનો અવાજ  તો સમાજ ને રાહ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકને પંડિત તરીકે સંબોધતા હતા. જ્યારે આજનો શિક્ષક એક કર્મચારી કારકુન બનીને રહી ગયો છે એના માટે જે તે વખતની સરકાર સાથે સાથે સમાજ પણ એટલો જ જવાબદાર છે. માતા પિતા પછી જો કોઈ એવું ઉચ્ચ સ્થાન હોય તો એ શિક્ષકનું છે. સરકારની પણ જવાબદારી છે મૂલ્યો અને સંસ્કાર નિષ્ઠ સમાજના નિર્માણમાં શિક્ષણને પ્રથમ હરોળમાં મૂકવું એ આજના સમયની માંગ છે. બજેટમાં શિક્ષણની વાત પ્રથમ સ્થાને હોવી જોઈએ.

કોર્ટમાં ન્યાયાધીશનું જે સ્થાન છે એનાથી ઉપર શિક્ષકનું સ્થાન હોવું જોઇએ. પ્રાચીન કાળમાં સમગ્ર વિશ્વમાં ભારતનું  શિક્ષણ પ્રથમ સ્થાને હતું. ગુરુકુળ શ્રેષ્ઠ વિશ્વ વિદ્યાલયો હતા. ગુરુકુળ નું સંચાલન તે સમયે સરકાર દ્વારા નહિ સામાજિક સંગઠનો દ્વારા સંચાલિત હતું. સામાજિક સંસ્થાઓ માત્ર ગુરુકુળ નાં સંચાલનમાં સહાયભૂત થતી. ક્યાંય પણ રાજકારણ જોવા મળતું નહીં. ગુરુકુળનાં શિક્ષકો – આચાર્યો પંડિત તરીકે ઓળખાતા અને સ્વતંત્ર હતા. શિક્ષક એનું માન સન્માન સમાજમાં જળવાઈ રહે બસ એટલું જ ઈચ્છે છે. નવી શિક્ષણ નીતિની વાતો થાય છે ત્યારે શિક્ષણ અને શિક્ષકનું સ્થાન શું? શિક્ષકને એક કર્મચારી તરીકે નહીં પણ રાષ્ટ્ર નિર્માતા તરીકે એનું સ્થાન ગૌરવપૂર્વક આપવું પડશે તો જ મૂલ્યનિષ્ઠ સમાજ રાષ્ટ્રનું નિર્માણ થશે. જય હિન્દ!!!
અડાજણ          – મુકેશ મેરાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top