Madhya Gujarat

સંતરામપુરમાં તસ્કરોનો તરખાટ વધુ ત્રણ મકાનના તાળા તુટ્યાં

સંતરામપુર : સંતરામપુરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ આતંક મચાવી દીધો છે. તસ્કરોએ શુક્રવારે મહંમદી સોસાયટી અને આસપાસના વિસ્તારના ત્રણ મકાનના તાળા તોડી રૂ.25 હજાર ઉપરાંતની મત્તા ચોરી ગયાં હતાં. સંતરામપુર નગરમાં આ અગાઉ થયેલી અનેક ઘરફોડ ચોરીને અટકાવવામાં અને પગેરું શોધવામાં પોલીસ નિષ્ફળ રહી છે. સ્થાનિક પોલીસની નિષ્કાળજી અને બેદરકારી ભર્યા વહીવટને કારણે નગરમાં ઉપરાછાપરી ચોરીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ઘરફોડીયા બિન્દાસ્ત તેમનો કસબ અજમાવીને ચોરીઓને અંજામ આપીને ફરાર થઈને પોલીસની આબરૂનું જાહેરમાં લીલામ કરી રહ્યાં છે. પોલીસ પેટ્રોલીંગની કામગીરીના ધજાગરા ઊડતાં જોવા મળી રહ્યાં છે.

આમ છતાં પોલીસની નિંદર ઊડતી નથી.  સંતરામપુરના કોલેજ રોડ પર આવેલી મોહંમદી સોસાયટીમાં અગાઉ બે મકાનોના તાળાં તોડીને તસકરોએ ચોરી કર્યાના બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી મોહંમદી સોસાયટીમાં રહેતા મહંમદઇલ્યાસ ઘાંચીના ઘર સહિત ત્રણ મકાનોને શુક્રવાર રાત્રિના તસ્કરોએ નિશાન બનાવીને તાળાં તોડીને રૂ. 25 હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. પોલીસ દ્વારા ઉપરા છાપરી બનતી ચોરીઓનો ભેદ નહીં ઉકેલાતાં નગરજનોમાં રોષની લાગણી વ્યાપી છે.  સંતરામપુરમાં વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા લોકસહકારથી સીસી ટીવી કેમેરા નાંખ્યા છે. આ સીસીટીવી કેમેરા પણ બંધ જોવાં મળે છે. જે પુનઃ કાર્યરત કરવાની માંગણી ઉઠી છે.

Most Popular

To Top