Gujarat

સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચેના વિવાદી ભીંત ચિત્રો હટાવવા સાધુ-સંતોની માંગ

ગાંધીનગર: પ્રસિદ્ધ સાળંગપુર (Sarangpur) ધામ ખાતે 54 ફૂટની હનુમાનજીની (Hanumanji) પ્રતિમાના નીચેના ભાગે અજરામર હનુમાનજી મહારાજના કેટલાંક ભીંત ચિત્રો તૈયાર કરીને લગાવાયા છે. જેમાં અજરામર હનુમાનજી મહારાજને સ્વામીનારાયણ સંતોના દાસ તેમજ સંતોને વંદન કરતાં દર્શાવાયા છે, જેના પગલે સનાતન ધર્મીઓમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે. સનાતમ ધર્મી સાધુ સંતોએ આ ભીંત ચિત્રો હટાવવાની માંગ કરી છે. આ ઉપરાંત શિહોરની સનાતમ સેવા ધર્મ સેવા સમિતિ દ્વારા પોલીસ (Police) મથકે ફરિયાદ (FIR) દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

  • હનુમાનજી, સ્વામિનારાયણ સંતોને વંદન કરતાં હોય, દાસ હોય, એવું દર્શાવતાં ભીંતચિત્રો ફરતે વિવાદ
  • વિડીયો વાઈરલ થતાં ધાર્મિક લાગણી પર વજ્રાઘાત, એક ધાર્મિક સંસ્થા દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ

જો કે સાળંગપુર ધામ વડતાલ ગાદી હેઠળ આવતું હોઈ, વડલાત ગાદીના સંતોએ તાકિદની બેઠક બોલાવી છે, જેમાં સાળંગપુરના ભીંત ચિત્રો વિશે નિર્ણય લેવાય તેવી સંભાવના છે. કિંગ્સ ઓફ સાળંગપુરની 54 ફૂટની પ્રતિમાજીની નીચે ભીંત ચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં ચિરંજીવી હનુમાનજી મહારાજને સંતોના દાસ દર્શાવાયા છે. આ તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં સાધુ – સંતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ દ્વારા આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાધુ સંતોનો એવો સૂર છે કે આ ભીંત ચિત્રોમાં હનુમાનજી મહારાજને નીચા દેખાડવાનો પ્રયાસ થયો છે. હનુમાનજી મહારાજ પ્રભુ શ્રીરામને વંદન કરતાં હતાં, તેમાં સ્વામીનારાયણ સંતોને વંદન કરતાં હોય અથવા તો સ્વામીનાયારણ સંતોના દાસ હોય તેવો ભાવ કયાંથી આવ્યો? આ બાબત લાગણી દુભાય તેવી છે.

હનુમાનજીનું અપમાન ચલાવી નહીં લેવાય, આ સમગ્ર કૃત્ય કપટ : મોરારીબાપુ
સાળંગપુરમાં અજરામર હનુમાનજી મહારાજની 54 ફૂટની પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા ભીંત ચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામીનાયારણ સંતોના દાસ દર્શાવાયા હોવાથી મામલો હવે બીચકયો છે. પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુએ કહ્યું છે કે હનુમાનજીનું અપમાન ચલાવી નહીં લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે. તેમણે આ સમગ્ર કૃત્યને કપટ ગણાવ્યું છે.

હનુમાનદાદાનું અપમાન કરવાની કોઈની ઔકાત નથી, બધા રાક્ષસ છે: મણિધરબાપુ
મહંત હર્ષદ ભારતી બાપુએ કહ્યું હતું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે ક્યા શાસ્ત્રનું પ્રમાણ છે. આવા અનેક સવાલો હર્ષદ ભારતીએ કર્યા છે. આ ઉપરાંત તેમણે સંત સમાજને મેદાનમાં આવવાની અપીલ કરી છે. કબરાઉ ધામના મણિધરબાપુ બાપુએ ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધું મુકી દેશો. ‘કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. ‘દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે.

Most Popular

To Top