Dakshin Gujarat

સેલવાસમાં ધનવાન અને પાવરફૂલ બનવાની લાલચમાં તાંત્રિક વિધિ માટે બાળકની બલિ ચઢાવી દીધી

સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહના સેલવાસમાં આદિવાસી બાળકની (Tribal Child) થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અંધશ્રધ્ધામાં (Superstition) નાણાંકીય લાભ મેળવવા પાવરફૂલ બનવાના લાલચમાં તાંત્રિકે ધાર્મિક વિધિ માટે બાળકની બલી ચઢાવી હોવાનું પોલીસ સમક્ષ ખુલવા પામ્યું છે. પોલીસે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા એક કિશોરને સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવાની કાર્યવાહી કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારને કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

30 ડિસેમ્બર 22 ના રોજ સેલવાસ પોલીસ મથકે સાયલીમાં રહેતા વારલી સમાજના ગણેશ માહલા કોલાએ પોતાના 9 વર્ષિય પુત્ર ચૈતા ગણેશ માહલા કોલાની ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ પોલીસે શોધખોળ આદરી હતી. બીજા દિવસે 31 ડિસેમ્બર 22 ના રોજ વાપીના કરવડની દમણગંગા નહેરમાંથી એક બાળકની શિરચ્છેદ થયેલી હાલતમાં મૃતદેહ તણાયેલો જોવા મળતા વાપી ડુંગરા પોલીસની સાથે સેલવાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી. જ્યાં બાળકના મૃતદેહનું નિરીક્ષણ કરતા હત્યા કરાયેલો બાળક સેલવાસનો ગુમ થયેલો આદિવાસી બાળક હોવાનું સામે આવ્યું હતું. દાનહ પોલીસ અધિક્ષક પિયુષ ફૂલઝેલના નેતૃત્વમાં સેલવાસ પોલીસ વિભાગના પીઆઈ આર.કે. ગાંવિત, પીઆઈ એચ.સી. રાઠોડ, પીઆઈ. અનિલ ટી.કે., પીએસઆઈ જીજ્ઞેશ પટેલ તથા અન્ય પોલીસ કર્મચારીઓ મળી 100 પોલીસની ટીમ બનાવી આરોપીઓને ઝબ્બે કરવા સીસીટીવી કેમેરા તથા ઔદ્યોગિક વિસ્તારના કામદારો અને દુકાનદારોનું વેરિફિકેશન, મોબાઈલ કોલ રેકોર્ડનું વિશ્લેષણ કર્યું હતું. બાળકના પરિવાર તથા તેમના સંબંધીઓનું પણ કાઉન્સિલિંગ કરવાની સાથે શંકાસ્પદ લોકોની ચકાસણી કરાઈ હતી.

તપાસ દરમ્યાન 1 જાન્યુઆરી-2023 ના રોજ સાયલીની ચીકન શોપમાં કસાઈ તરીકે કામ કરતો એક કિશોર શંકાના દાયરામાં આવ્યા બાદ તેની આ હત્યાના પ્રકરણમાં સંડોવણી હોવાનું ખુલતા પોલીસે તેની અટક કરી પૂછપરછ કરતા તેણે આ હત્યાના પ્રકરણ પરથી પડદો ઉંચક્યો હતો. એણે કબૂલ્યું હતું કે તેણે તેના સાથી મિત્રો સાથે મળીને આર્થિક ફાયદાની લોભ લાલચમાં આવી તાંત્રિક વિધિના રૂપે ધાર્મિક વિધિ માટે એક બાળકની બલી આપવાની હોવાથી આદિવાસી બાળકનું અપહરણ કરી તેની નરબલી આપવાના ભાગરૂપે તેના મિત્ર શૈલેષની મદદગારીથી હત્યા કરી હતી. તેનું શિરચ્છેદ કરેલું માથું અને પગ જે જગ્યાએ દાટ્યા હતા તથા નરબલી માટે જે હથિયાર જ્યાં ફેંક્યા હતા, એ જગ્યાનું વિવરણ કિશોરે પોલીસને આપ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પકડાયેલા કિશોરને સી.સી.એલ. (ચાઈલ્ડ ઈન કોન્ફ્લિક્ટ વિથ લો ) અંતર્ગત અટકાયત કરી જે જગ્યાએ બાળકની બલી આપવામાં આવી હતી. એ જગ્યાએથી હથિયારો અને બાળકના અન્ય અંગો પોલીસે રિકવર કર્યા હતા. આ હત્યાના ગુનામાં પોલીસે કિશોર વયની ઉંમરના તરૂણ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

એક માસુમ બાળકની બલી શા માટે ચઢાવાઈ..?
પોલીસના હાથે પકડાયેલા કિશોરે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે, આર્થિક તંગીને દૂર કરવા અને અઢળક પૈસા મેળવવા માટે તાંત્રિક ધાર્મિક વિધિના ભાગરૂપે નરબલીના કાવતરા માટે સેલવાસના અથાલમાં રહેતો રમેશ સાંવરે તેને ઉશ્કેરતો હતો. જેને લઈ તેણે મિત્ર શૈલેષ સાથે આ નરબલી ચઢાવવાનું કાવતરું રચ્યું હતું. ત્યારે પોલીસે આ હત્યાના ગુનામાં દાનહના અથાલમાં રહેતો 53 વર્ષિય રમેશ ભાડિયા સાંવરે તથા વાપીના ડુંગરી ફળિયાના કરાડ ખાતે રહેતો અને સુબીરના ઉપલા મહલ ખાતે રહેતો 28 વર્ષિય શૈલેષ અફાન કોહકેરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે તરૂણને સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવાની કાર્યવાહી કરાઈ છે.

Most Popular

To Top