SURAT

બ્રહ્માકુમારીમાં સત્સંગ કરવા ગયેલી સુરતની પરિણીતાને જુઠ્ઠું બોલી લંપટે ફસાવી, ઘરે જઈ..

સુરત(Surat): લોકો સત્સંગમાં પ્રભુ ભક્તિ કરવા, શાંતિ મેળવવા માટે જતા હોય છે, પરંતુ એક લંપટ યુવકે કતારગામના (Katargam) બ્રહ્માકુમારીના (BrahmaKumari) સેન્ટરમાં સત્સંગ કરવા ગયેલી પરિણીતાને જુઠ્ઠું બોલી ફસાવી બ્લેકમેઈલ (BlackMail) કરી બળાત્કાર (Rape) ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.

  • સિંગણપોરના યુવકે બ્લેકમેઈલ કરી સલાબતપુરાની પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું
  • પાલિકાનો અધિકારી હોવાનું જુઠ્ઠું બોલી પરિણીતા સાથે મિત્રતા કેળવી હતી
  • ફોટા પતિને બતાવી દઈશ, દીકરીને મારી નાંખીશ એવી ધમકી આપી દુષ્કર્મ કર્યું
  • પરિણીતાએ સલાબતપુરા પોલીસ મથકમાં લંપટ ભીખુ અંજારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપી

પ્રાપ્ત માહિતી અનુસાર સલાબતપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતા થોડા સમય અગાઉ કતારગામ ખાતે આવેલા બ્રહ્માકુમારી સંસ્થામાં જઈ ઓમ શાંતિ સત્સંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં પરિણીતાની મુલાકાત સિંગણપોર ચાર રસ્તા પાસે ભગવાન નગરમાં રહેતા ભીખુ મૂળજી અંજારા સાથે થઈ હતી. પોતે સુરત મનપાનો અધિકારી છે તેવી ઓળખ ભીખુએ આપી પરિણીતા સાથે મિત્રતા કેળવી હતી.

મિત્રતા આગળ વધતા બંનેએ એકબીજાને પોતાના ફોટાની આપ-લે કરી હતી. દરમિયાન દિવાળી બાદ રાત્રિના સમયે ભીખુ પરિણીતાના ઘરે ગયો હતો અને તારા ફોટા મારી પાસે છે, તારા પતિને બતાવી દઈશ કહી ધમકાવી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. કોઈને જાણ કરશે તો તારી દીકરીને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો.

ત્યાર બાદ બળાત્કારનો સિલસિલો આગળ વધ્યો હતો. અવારનવાર ભીખુ અંજારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લઈ જઈ પરિણીતા સાથે શરીર સંબંધ બાંધતો હતો. ક્યારેક ધમકાવતો તો ક્યારેક નોકરી અપાવવાની લાલચ આપતો હતો. લગ્નનના પણ વાયદા કર્યા હતા.

આખરે ભીખુના ત્રાસથી કંટાળી પરિણીતાએ સઘળી હકીકતની પતિને જાણ કરી હતી. પતિએ હિંમત આપતા આખરે પરિણીતાએ સિંગણપોર પોલીસ મથકમાં ભીખુ અંજારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ભીખુ અંજારા વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top