Dakshin Gujarat

તિલકવાડા પોલીસ સ્ટેશનમાં PSI સહિત અન્ય 3 લોકોએ ભીલ સમાજના યુવાનને ઢોર માર માર્યો!

રાજપીપળા: (Rajpipla) તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ચોરમોહડી ગામના ભીલ સમાજના યુવાન મનોજને ઢોર માર માર્યો (Beaten Up) હોવાના આક્ષેપ સાથે નર્મદા (Narmada DSP) ડીએસપીને રજૂઆત કરાઈ છે. પીડિત યુવાનના પરિવારે તિલકવાડા પીએસઆઈ સહિત અન્ય 3 લોકો વિરુદ્ધ કોર્ટમાં (Court) પણ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે નર્મદા ડીએસપી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, કેવડિયા ડીવાયએસપીને (DYSP) આ મુદ્દે તપાસ સોંપાઈ છે, એમની તપાસ બાદ આગળની કાર્યવાહી થશે.

  • તિલકવાડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સહિત અન્ય 3 લોકોએ યુવાનને ઢોર માર માર્યો!
  • ચોરમોહડીનો યુવાન ગામની જ યુવતીને ભગાડી ગયો હોવાની ફરિયાદ થઈ હતી
  • તિલકવાડા પીએસઆઈએ ધમકી આપી હોવાનો પણ પરિવારનો આક્ષેપ

નર્મદા ડીએસપીને કરેલી લેખિત રજૂઆત મુજબ તિલકવાડાના ચોરમોહડી ગામનો દિલીપ તા.8/03/2023ના રોજ ક્યાંક જતો રહ્યો હતો. દરમિયાન ગામના જ દિનેશ છગનભાઈએ દિલીપ એમની દીકરીને ભગાડી ગયો હોવાની તિલકવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે પોલીસે બોલાવતાં તા.13/03/2023ના રોજ દિલીપના પરિવારના મહેશ રશિક ભીલ, મનોજ, સુમિત્રાબેન, ઊર્મિલાબેન, ભીખાભાઈ અને સંતોકબેન તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગયા હતા. મનોજના પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે, મનોજને પોલીસ સ્ટેશનના ધાબા પર અન્ય 3 પોલીસકર્મી દ્વારા માર મરાયો હતો. આ બાબતે ફરિયાદ કરતાં મનોજના પરિવારે તિલકવાડા પીએસઆઈએ ધમકી આપી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.

સાંજે 6 કલાકે ઘરે ગયા બાદ મનોજે જણાવ્યું હતું કે, પોલીસે મને બહું માર્યો છે અને જો મારવાની વાત કોઈને કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આવતીકાલે પણ મને ફરી બોલાવ્યો છે ત્યારે પણ મને મારશે એટલે મારે ઝેરી દવા પી ને મરી જવું છે. જો કે, મનોજને 108માં ગરુડેશ્વર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. તો ત્યાં તિલકવાડા પોલીસના કર્મીઓએ સમાધાન માટે મનોજનો બળજબરીથી અંગૂઠો લીધો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. આ ઘટના બાબતે મનોજના પરિવારે ભાવેશ લંબુ કાઠિયાવાડી, નરેન્દ્ર જમાદાર, મયૂરભાઈ અને તિલકવાડા પીએસઆઈ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવા કોર્ટમાં ફરિયાદ પણ કરી છે.

Most Popular

To Top