ખાનગી લકઝરી બસ પ્રચંડ ધડાકા સાથે સળગી, એક મહિલા ભડથું, 11ને ઈજા

સુરત શહેરના માતાવાડી વિસ્તારથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસમાં રાત્રે પ્રચંડ ધડાકાભેર આગી ફાટી નીકળતાં એક મહિલા મુસાફર ભડથું થઇ ગઈ હતી. ઉપરાંત એક મુસાફરને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
શહેરના માતાવાડી વિસ્તારમાં આવેલી રાજધાની ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ નં.(જીજે-04-18-એપી-9963)માં મંગળવારે મોડી રાતે દસેક વાગ્યે આગ ભભૂકી ઊઠી હતી. માતાવાડી ખાતેથી બસ અલગ અલગ પિકઅપ પોઇન્ટ ઉપરથી પેસેન્જર લઇ ભાવનગર જવા નીકળી હતી. એ અરસામાં હીરાબાગ સર્કલ પાસે અચાનક લક્ઝરી બસની ડીકીના ભાગેથી આગ લબકારા લેવા લાગી હતી. સ્થાનિક હાજર લોકોએ કહ્યું હતું કે, આ ખાનગી લક્ઝરી બસ પેસેન્જર બેસાડતી હતી, એ વખતે બસના પાછળના ભાગે ડીકી અને ટાયર વચ્ચેની ભાગમાંથી ગેબી ધડાકો થયો હતો.

આ ધડાકા સાથે બસમાં આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી. અને જોતજોતામાં આખી બસ આગમાં હોમાઇ ગઇ હતી. બસમાં લાગેલી આગને પગલે મુસાફરોએ જીવ બચાવી ભાગદોડ મચાવી હતી. ઘણા પેસેન્જર બારીમાંથી કૂદી પડ્યા હતા. તો ઘણા પેસેન્જર સીટ ઉપરથી સામાન પડતો મૂકી સીધા દરવાજા તરફ ધસી જઇ સડસડાટ ઊતરી ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. દરમિયાન કાપોદ્રા, કતારગામ તેમજ નાના વરાછાના ફાયર લાશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવી બસની જ્વાળાઓ શાંત પાડી હતી. આ ઘટનામાં એક મહિલા ભડથું થઇ ગયેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનામાં અન્ય એક ભાવનગરના મુસાફર વિશાલ નારાયણ નવલાણી દાઝી ગયો હતો. ઘાયલ થયેલા આ મુસાફરને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. બસમાં કુલ 12 પેસેન્જર બેઠા હતા. સદનસીબે બસ આખી ભરેલી નહોતી. નહીંતર સુરતમાં વધુ એક ભયંકર દુર્ઘટના આકાર લેત.

ગોવા ફરવા ગયેલા કપલને વતન જતી વખતે આગ શિકાર બનાવી ગઈ
ફાયર ઓફિસર બસંત પરીખે કહ્યું હતું કે, રાજધાની ટ્રાવેલ્સની બસમાં ગોવાથી ફરી પરત આવેલું કપલ પણ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ કપલ ગોવાથી પરત ફરી સુરતમાં સંબંધીને ત્યાં રોકાઇ ગયું હતું. મંગળવારે ભાવનગર મૂળ વતન પરત ફરવા બસમાં નીકળ્યું હતું, એ અરસામાં બસ આગની ચપેટમાં આવી ગઇ હતી. મોડી રાતે ભડથું થઈ ગઈ મહિલાની ઓળખ વિશાલની પત્ની તરીકે થઈ હતી.

એસી કોમ્પ્રેસરમાં આગ લાગી
રાજધાની ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવા પાછળ એસી મશીનના કોમ્પ્રેસરમાં ફોલ્ટ હોવાનું જણાવાઇ રહ્યું છે. આ બસમાં એસીમાં કોમ્પ્રેસરમાં આગ બાદ આખી બસમાં આગ ફાટી નીકળી હતી.

મેયર બોઘાવાલાએ સ્મીમેર દોડી જઈ ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી, કેન્દ્રીય મંત્રી જરદોશે દુ:ખ વ્યક્ત કર્યું
આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા સ્મીમેર ખાતે દોડી ગયા હતા અને તેમણે ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશે ઘટના અંગે ફેસબુક પર પોસ્ટ મુકીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. બંને નેતાઓ દ્વારા ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે તાકીદ કરવામાં આવી હતી.


બસમાંથી ધુમાડો નીકળતાં ડ્રાઈવરને મેં જાણ કરીને બસ ઊભી રખાવી હતી: મુસાફર છગનભાઈ

જે બસમાં આગ લાગી તેમાં મુસાફરી કરી રહેલા 55 વર્ષિય ભાવનગરના છગનભાઈ મનહરભાઈ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, હું બે દિવસ પહેલા ભાવનગરથી સુરત આવ્યો હતો અને પરત જવા માટે બસમાં સીટ નં.6 પર બેઠો હતો. દરમિયાનમાં હીરાબાગ પાસે બસમાંથી ધૂમાડો નીકળતાં મેં તુરંત ડ્રાઈવરને જાણ કરી અને ‘બસમાંથી ઉતરો આગ લાગી છે’ તેવી બૂમો પાડીને અમે તાત્કાલિક બસમાંથી ઉતરી ગયા હતા.


બસમાં બ્લાસ્ટ થયો : મુસાફર હંસાબેન
બસના મુસાફર હંસાબેન ભાવેશભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે , હું મારા ભાઈના છોકરાના લગ્ન હોવાથી ભાવનગર જવા માટે બરોડા પ્રિસ્ટેજ રાજધાની ટ્રાવેલ્સમાં સીટ નંબર 1 પર બેઠી હતી. બાદમાં બસ હીરાબાગ પાસે પહોંચતા અચાનક બસના પાછળના ભાગે ધૂમાડો નીકળતા ડ્રાયવરે બસ સાઈડમાં પાર્ક કરી દેતા હું ઉતરી ગઈ હતી. ઉતરવાની સાથે જ બસમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. ગણતરીની મિનિટોમાં સંપૂર્ણ બસમાં આગ ફેલાય ગઈ હતી.

મુસાફરો ની યાદી

  • હંસાબેન ભાવેશભાઈ કાપડિયા
  • મુકેશભાઈ 3
  • કેવલભાઈ
  • છગનભાઇ
  • નયનભાઈ
  • વિશાલભાઈ
    અન્ય 4 સાથે ડાઈવર અને કંડકટર મળીને કુલ 14

ભેગા થયેલા ટોળા એ મહિલાને બચાવવા બસનો કાચ તોડયો છતાં ન બચાવી શક્યા

આગ લાગવાની સાથે જ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા, બસાવો બસાવો ની બૂમ સભરાતા ભેગા થયેલા લોકોએ બસના કાચ તોડી ને મુસાફરોને બસાવવા દોડી ગયા હતા. જોકે આગ વિકરાળ બનતા મહિલા લોકોની સામે જ મહિલા નું આગમાં બળી ને ભડથું થઈ ગયું હતું.

Most Popular

To Top