Gujarat

પીએમ મોદીએ દેશના હિતમાં સાહસપૂર્ણ નિર્ણયો લીધા : રાજનાથસિંહ

ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) આજે ગુજરાતના (Gujarat) બૌદ્ધિકો દ્વારા યોજવામાં આવેલા એક સમારંભમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ નામના પુસ્તકની (Book) ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું હતું. નરેન્દ્ર મોદીના નેતૃત્વના ગુણોના અનેક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ દેશમાં સાંસ્કૃતિક પુનર્જીવન લાવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સમારંભમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના સુશાસન અને તેમણે લીધેલા સાહસપૂર્ણ નિર્ણયોના પરિણામે ભારતને વૈશ્વિક સ્તરે ઊંચા મંચ પર મજબૂત સ્થાન પ્રાપ્ત થયું છે.

રાજનાથસિંહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી માત્ર વર્તમાનને બદલવા માટે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છે એવું નથી પરંતુ દેશના ભાવિ માર્ગને આકાર આપવા માટે તેમની દૂરંદેશી પર પણ તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી પછી, મોદી બીજા એવા નેતા તરીકે ઓળખાય છે કે જેમણે દેશના લોકો સાથે સીધો સંવાદ કરીને આપણા રાષ્ટ્રનો ધબકાર પારખ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પુસ્તક મોદીના નેતૃત્વમાં તેમની 20 વર્ષની કારકિર્દીમાં સુશાસનનો સાચો હિસાબ છે જેમાં મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ અને પ્રધાનમંત્રી તરીકે 8 વર્ષનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતુ કે, “પુસ્તક પ્રધાનમંત્રીની દૂરંદેશીને પણ ડીકોડ કરે છે અને આપણા લોકોના ભલા માટે તેઓ જે મોટા સપનાં જુએ છે, તે સમજવામાં મદદ કરે છે. મોદીજીએ આતંકવાદ સામે ભારતની ભૂમિકાની પુનઃ રચના અને ફરી પરિભાષા તૈયાર કરી છે”.

ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે આપેલી ટિપ્પણીમાં, એક સાચા નેતા તરીકે મોદીના અનન્ય ગુણો પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યએ મોદીજીના નેતૃત્વ હેઠળની નીતિઓ અને પહેલોને કારણે વિકાસના અનેક લક્ષ્યો સિદ્ધ કર્યા છે. જ્યારે દરેક અન્ય દેશોમાં મંદી ચાલી રહી છે ત્યારે ભારતની સારી કામગીરી અંગે IMF દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા લોકો માટેના મૈત્રીપૂર્ણ એવા કેટલાક નિર્ણયોને કારણે આ શક્ય બન્યું છે. આ સમારંભમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન તેમજ ગુજરાત સરકારના મંત્રીઓ, તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, લેખકો, કવિઓ, સંપાદકો અને કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top