Gujarat

13માં રાષ્ટ્રીય અંગદાન દિવસે ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી માટે પાંચ એવોર્ડ મળ્યા

ગાંધીનગર : રાજ્યમાં થઇ રહેલા અંગદાન (Organ donation) અને ટ્રાન્સપ્લાન્ટની (Transplant) શ્રેષ્ઠ કામગીરીનું આજે રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું છે. 13મા રાષ્ટ્રીય અંગદાન દિવસ (National Organ Donation Day) 3જી ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે NOTTO (National Organ and Tissue Transplant Organisation) દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને વિવિધ કેટેગરીમાં પાંચ એવોર્ડ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના (Mansukh Mandvia) હસ્તે ગુજરાતને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલને વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ અને ગુજરાતના SOTTO એકમ અને અંગદાન બાબતે જનજાગૃતિ માટે પ્રયાસરત અંગદાન ચેરિટેબલ સંસ્થાને ઇમર્જિંગ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રાઇવલ સેન્ટર, બ્રેઇનડેડ કમિટી માટે તેમજ સિવિલ હોસ્પિટલના જ આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર માટે એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષમાં 123 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 397 અંગો સફળતાપૂર્ણ રિટ્રાઇવ કરીને 377 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે.

બ્રેઇડેડ વ્યક્તિના સ્વજનોને અંગદાન માટે કાઉન્સેલિંગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે
બ્રેઇડેડ વ્યક્તિના પરિવારજનો, સ્વજનોને અંગદાન માટે સમજાવવા તેમની સંમતિ લેવા માટે કાઉન્સેલિંગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીએ આ ભૂમિકા ખૂબ જ બખૂબી નિભાવી છે, જેના પરિણામે દેશની અંગદાન ક્ષેત્રના મહત્ત્વના એકમ NOTTO દ્વારા બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર તરીકે તેમનું બહુમાન કરવામાં આવ્યું છે.

2019માં રાજ્યમાં SOTTOની સ્થાપના કરવામાં આવી
વર્ષ 2019માં રાજ્યમાં SOTTOની સ્થાપના કરવામાં આવી. સોટ્ટોની સ્થાપના બાદ કોરોનાકાળના બે વર્ષની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ SOTTOના કન્વિનર ડૉ. પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષમાં 1207 અંગદાન અને 3693 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. હાલ રાજ્યમાં કુલ રિટ્રાઇવલના 42 ટકા સરકારી સંસ્થામાં અને 68 ટકા ટ્રાન્સપ્લાન્ટ સરકારી સંસ્થામાં કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top