Vadodara

જેણે સારા કામો કર્યા હશે તેને જ ટિકિટ મળશે: ગૃહમંત્રી

વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભા રાખવાના હોવાથી હવે ભારતીય જનતા પાર્ટીને અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાની જરૂર પડશે નહીં એટલું જ નહીં આ વખતની વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકનો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટી તોડીને 151થી વધુ બેઠક મેળવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે મધ્ય ગુજરાતના આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્રકારો સાથેની અનુપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે ટિકિટની ફાળવણી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે પરંતુ જે ઉમેદવાર જીતી શકે તેવા સક્ષમ હોય અને સારા કાર્યો કર્યા હોય તેવાને ટિકિટ આપવામાં આવશે.

વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ અત્યારથી કહે છે કે મને ટિકિટ જરૂરથી મળશે તે અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક ધારાસભ્યને પોતે કરેલા કાર્યોને ધ્યાનમાં રાખીને તેમને ટિકિટ મળશે તેવો વિશ્વાસ રાખી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 151 બેઠકનું લક્ષ રાખીને ચૂંટણી જીતવાની પૂર્વ તૈયારી કરી ચૂક્યું છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 25 ટકા નવા ઉમેદવારોને ટિકિટ ટિકિટ આપીને મેદાનમાં ઉતારશે. હાલના ધારાસભ્યોમાંથી 25 ટકાની ટિકિટ કાપી નવા ઉમેદવારોને તક આપવામાં આવશે.

ટિકિટની ફાળવણી અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ઉમેદવારોને ટિકિટ ફાળવણીમાં કોઈ ચોક્કસ ક્રાઈટેરિયા રાખવામાં આવશે નહીં જે જીતે એવા ઉમેદવારને ટિકિટ અપાશે તેમાં ભલે ઉમેદવાર વધુ ઉંમરના હોય કે પછી ત્રણથી ચાર વખત જીતેલા હોય તેવાને પણ ટિકિટ આપી શકાશે. જે જીતે એવા જ ઉમેદવારોને ભાજપ ટિકિટ આપશે. ગૃહમંત્રીએ ગુજરાતના હાલના રાજકારણ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે. વિપક્ષમાં કોણ રહેશે તે અંગે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ નક્કી કરવાનું કામ મતદારો કરશે પરંતુ જે રીતે હાલના રાજકારણમાં બદલાવ થઈ રહ્યો છે તે જોતા પણ કોંગ્રેસ જ વિપક્ષ તરીકે આવશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓ એરપોર્ટથી સીધા બેઠકના સ્થળે આવી પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ મધ્ય ગુજરાતના કાર્યકર્તા સાથે યોજાયેલ બેઠક માટે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વડોદરાની ખાનગી હોટલમાં મધ્ય ગુજરાતના વર્તમાન કાર્યકારો સાથે બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મધ્ય ગુજરાત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિવિધ હોદ્દા પરના પદાધિકારીઓ, ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ અને પૂર્વ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ અમિત શાહ વડોદરાની મુલાકાત લીધી હતી અને બાદમાં સમગ્ર બેઠક પૂર્ણ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ બેઠક પૂરી કરી તેમની સાથે રવાના થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરા આવ્યા અને 4 કલાક રોકાયા હતા તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ જોડાયા હતા. અમિત શાહ વડોદરામાં ચૂંટણીલક્ષી બેઠકો યોજી હતી. જેમાં મધ્ય ગુજરાતના ભાજપના સાંસદ, ધારાસભ્યો, પક્ષના પ્રમુખ અને પદાધિકારીઓ સાથે બેઠક વારા ફરતી યોજી હતી. વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ અને ભરૂચ જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક કરી ચર્ચા કરી માહિતી મેળવી હતી.

Most Popular

To Top