SURAT

સુરતની શાળામાં મુસ્લિમ શિક્ષક 12 વર્ષથી બાળકોને ભણાવે છે ભગવદ ગીતા!

સુરત: ગુજરાત સરકારે થોડા દિવસ પહેલાં રાજ્યની શાળાઓમાં ધો.6થી 12ના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. જોકે, સુરતમાં એક એવી શાળા છે જ્યાં છેલ્લાં 12 વર્ષથી બાળકોને ભગવદ ગીતા ભણાવવામાં આવે છે. સુખદ આશ્ચર્યની વાત એ છે કે વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ શીખવાડનાર શિક્ષક મુસ્લિમ છે. આ શિક્ષક બાળકોને ભગવદ ગીતા ભણાવવાની સાથે સાથે પારિવારિક મૂલ્યોનું પણ જ્ઞાન આપી રહ્યાં છે.

આ સ્કૂલ સુરત જિલ્લાના આદિવાસી વસતી ધરાવતા માંગરોળ તાલુકાના ઝાખરડા ગામમાં આવેલી છે. આ પ્રાથમિક શાળા છે. શાળામાં મોહમ્મદ સઈદ ઈસ્માઈલ શાહ નામના મુસ્લિમ શિક્ષક છેલ્લાં 12 વર્ષથી બાળકોને ભણાવે છે. હિન્દુ-મુસ્લિમ,ધર્મ-જાતિના વેરઝેરથી દૂર રાખી બાળકોના કૂમળાં મનમાં સર્વધર્મ સમભાવની ભાવનાની જ્યોત પ્રગટાવવાની તપસ્યા આ મુસ્લિમ શિક્ષક છેલ્લાં 12 વર્ષથી કરી રહ્યાં છે. શાળામાં ભણવા આવતા ગામના હિન્દુ બાળકોને મુસ્લિમ શિક્ષક મોહમ્મદ સઈદ શાહ ભગવત ગીતા શીખવાડે છે તો બીજી તરફ મુસ્લિમ બાળકોને કુરાન-એ-શરીફની આયત પઢાવે છે. એક શિક્ષક તરીકે, ધર્મથી ઉપર ઊઠીને દરેક બાળકમાં સારા સંસ્કારના બીજ રોપવાનો તેમનો સંનિષ્ઠ પ્રયાસ છે.

ઝાખરડા ગામમાં જ્યાં આ શાળા આવેલી છે ત્યાં ધોરણ 1 થી ધોરણ 8 સુધીના બાળકો અભ્યાસ માટે આવે છે. આ ગામમાં હિન્દુ-મુસ્લિમ સમાજની સમાન વસતી છે. આ નાની શાળામાં હિન્દુ મુસ્લિમ સમાજના 71 બાળકો અભ્યાસ માટે આવે છે. શિક્ષકો બંને ધર્મના બાળકોને ભણાવે છે, સાથે જ દેશ અને દુનિયાની ઘણી ભાષાઓ પણ શીખવવામાં આવે છે.

ગીતા-કુરાન ઉપરાંત દેશ દુનિયાની અનેક ભાખા શીખવાડાય છે
એવું નથી કે આ શાળામાં પાઠ્યપુસ્તકો, ભગવદ ગીતા અને કુરાન શીખવાડવામાં આવે છે. આ શાળામાં અનોખી શિક્ષણ પદ્ધતિથી બાળકોને તેમના રસના વિષયો અને ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે. શાળામાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ચાઈનીઝ, રોમન, તમિલ, ઉર્દૂ પણ ભણાવવામાં આવે છે.

બાળકો રોજ રાત્રે ભગવદ ગીતા વાંચે છે
શાળામાં ભગવદ ગીતાના પાઠ વાંચી જવાથી વાત અટકી જતી નથી. મુસ્લિમ શિક્ષકે બાળકોમાં એવા સંસ્કારના બીજ રોપ્યા છે કે બાળકો રાત્રે જમ્યા બાદ રોજ ભગવદ ગીતાનું એક પાનું વાંચે છે. ઉપરાંત દર રવિવારે ગામમાં ઘર નક્કી કર્યા પછી, બાળકો પ્રાર્થના કરવા જાય છે, ત્યાં પણ તે ભગવદ ગીતાના બે પાના વાંચે છે.

શિક્ષણ સાથે સંસ્કાર પણ જરૂરી
હવે કહેવાય છે કે શિક્ષકનો કોઈ ધર્મ કે જાતિ હોતો નથી અને તે વાત સુરતના શિક્ષક શાહ મોહમ્મદ સઈદ ઈસ્માઈલે સાબિત કરી બતાવી છે. શિક્ષક શાહ મોહમ્મદ સઈદ ઈસ્માઈલ કહે છે કે હું ઝાખરડા પ્રાથમિક શાળામાં છેલ્લા 12 વર્ષથી ભણાવું છું. અહીં બાળકોને શિક્ષીત કરવા સાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે. ભગવદ ગીતા લાવી દરેક બાળકને શિક્ષણ તો અપાયું જ છે. જ્યારે બાળકો રવિવારે પણ શાળાએ આવે છે, ત્યારે અમે ગામના એક ઘરે જઈને ભગવદ્ ગીતાના બે પાના વાંચીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, જેથી બાળકોની સાથે સાથે, સંસ્કાર સ્થાનિક લોકો સુધી પહોંચે. છેલ્લા 12 વર્ષથી ભગવદ ગીતા શીખવવાનું વલણ છે.

Most Popular

To Top