National

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું નિધન

મુંબઈ (Mumbai): મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ મુખ્યમંત્રી (ExCM) અને શિવસેનાના (ShivSena) સિનિયર નેતા મનોહર જોશીનું નિધન (ManoharJoshiPassedaway) થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ જ્યારે 86 વર્ષીય મનોહર જોશીની તબિયત બગડવા લાગી ત્યારે તેમના પરિવારજનો તેમને તરત જ હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા હતા. આઈસીયુમાં ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. શુક્રવારે સવારે 3.02 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મનોહર જોશીના પાર્થિવ દેહને તેમના હાલના નિવાસ સ્થાન રૂપારેલ કોલેજ, માટુંગા વેસ્ટ ખાતે સવારે 11 થી 2 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમની અંતિમયાત્રા બપોરે 2 વાગ્યે શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર દાદર સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

પીએમ મોદીએ પણ મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. X પર પોસ્ટ કરતી વખતે વડાપ્રધાને લખ્યું, ‘હું શ્રી મનોહર જોશી જીના નિધનથી દુઃખી છું. તેઓ એક અનુભવી નેતા હતા જેમણે વર્ષો સુધી જાહેર સેવામાં સેવા આપી હતી. મ્યુનિસિપલ, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યની પ્રગતિ માટે અથાક પ્રયાસો કર્યા હતા. તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. લોકસભાના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અમારી સંસદીય પ્રક્રિયાઓને વધુ ગતિશીલ અને સહભાગી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ‘ઓમ શાંતિ.’

મનોહર જોશી શિવસેનાના પહેલા મુખ્યમંત્રી હતા
મનોહર જોશી, મૂળ બીડ, મહારાષ્ટ્રના, રાયગઢ જિલ્લાના નાંદવી ગામમાં 2 ડિસેમ્બર 1937ના રોજ જન્મ્યા હતા. મુંબઈની પ્રસિદ્ધ વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ (VJTI)માંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યા બાદ તેઓ RSSમાં જોડાયા અને પછી શિવસેનામાં જોડાયા.

70ના દાયકામાં પ્રથમ વખત કાઉન્સિલર તરીકે અને પછી વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા. 1995માં જ્યારે શિવસેના પહેલીવાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવી ત્યારે તેણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. શિવસેનાને સત્તાની કમાન મળી ગઈ હતી અને બાળ ઠાકરેએ તેમના સૌથી વિશ્વાસુ મનોહર જોશીને મુખ્ય પ્રધાન તરીકેનો તાજ પહેરાવ્યો હતો. આ રીતે જોશીએ શિવસેનાના પ્રથમ મુખ્ય પ્રધાન બનવાનું બિરુદ મેળવ્યું હતું.

મનોહર જોશી 14 માર્ચ, 1995ના રોજ મુખ્યમંત્રી બન્યા અને 31 જાન્યુઆરી, 1999 સુધી આ પદ પર રહ્યા. આ રીતે મનોહર જોશીએ 3 વર્ષ અને 323 દિવસ માટે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

Most Popular

To Top