Gujarat

અમદાવાદના વસ્ત્રાલમાં મેટ્રો રેલના રૂટ ઉપર મોતનો ભૂવો પડ્યો, તંત્ર સામે અનેક સવાલો

અમદાવાદ: રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યા બાદ રસ્તાઓની (Road) બિસ્માર હાલતના સમાચાર સામે આવી રહ્યા છે. ધોધમાર વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો ભુવાનગરી બની ગયા છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક મોટો ભૂવો પડ્યો છે જે સમગ્ર ઘટનાના લાઈવ (Live) દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં (Vastral) વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો રેલના રૂટ ઉપર એક મોટો ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે.

માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો પિલર નંબર 129 પાસે મસ મોટો ભૂવો પડ્યો છે. હાલ એક મહિના પહેલા જ રોડની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે હવે મસ મોટો ભૂવો પડતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રોડ પર પડતા ભૂવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોએ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.

વસ્ત્રાલ રોડ પર ભૂવા પડ્યાના વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં આપણે જોઈ શકે તેમ રોડ બેસી ગયા બાદ ધીરે ધીરે નીચે બેસે ગયો હતો. અને માત્ર પાંચ સેકન્ડમાં જ ભૂવો પડી ગયો હતો. આખો ભૂવો પાણીથી ભરાઈ ગયો હતો. શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે. પરંતુ હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કોઈ કામગીરી કરી નથી માત્ર બેરીકેડ જ લગાવ્યા છે. એક માહિતી અનુસાર રોડ પર પડતા ભૂવા રોડ વિભાગમાં નહીં પરંતુ એન્જિનિયરિંગ વિભાગમાં આવે છે. કારણ કે પાણી અને ડ્રેનેડ લાઈન નબળી હોવાના કારણે રોડ પર ભૂવા પડે છે. પરંતુ ભૂવા પડવા પાછળનું કારણ રોડ વિભાગ પણ જવાબદાર ગણાય છે. કારણ કે રોડ બનાવવાની કામગીરી ગુણવત્તા યોગ્ય ના હોવાથી રોડ બેસી કે તૂટી જતાં હોય છે.

સૂત્રો પાસેથી માહિતી મળતા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કુલ 25 જેટલા ભૂવા પડ્યા છે. આશ્રમરોડ પર વલ્લભ સદન પાસે ચાર રસ્તા પર, ગુજરાત કોલેજ રોડ પર ચાર રસ્તા પાસે, કર્ણાવતી ક્લબની સામે વગેરે જગ્યા પર મસ મોટા ભૂવા પડ્યા છે. જોકે તંત્ર દ્વારા હજી સુધી તાત્કાલિક રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી નથી. અમદાવાદ શહેરોમાં અનેક વિસ્તારમાં ભૂવા પડ્યા છે ભૂવાના કારણે ઘણી જગ્યા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને વરસાદી પાણી ભરાય એવી સ્થિતિમાં આ ઘાતકી ખાડા જીવલેણ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top