National

ભારતીય નૌસેનાએ 23 પાકિસ્તાનીઓ સહિત ઇરાની જહાજને બચાવ્યું

નવી દિલ્હી: ભારતીય નૌકાદળે (Indian Navy) ફરી એકવાર ચાંચિયાઓનો (સમુદ્રી લુટેરાઓનો) (Pirates) સામનો કર્યો હતો. તેમજ આ લુટેરાઓ સાથેની જડપ દરમિયાન ઈરાની માછીમારીના જહાજને બચાવી લીધું હતું. આ સાથે નેવીએ 23 પાકિસ્તાની ક્રૂને (Pakistani crew) પણ સુરક્ષિત રીતે બચાવ્યા હતા.

સમગ્ર મામલે નેવીએ જણાવ્યું હતું કે અમારી નિષ્ણાત ટીમ આ વિસ્તારની તપાસ કરશે. જેથી આ વિસ્તાર માછીમારી અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બની શકે. ગુરુવારે જ આ જહાજને ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું. ત્યારબાદ નેવીએ તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ઈરાની માછીમારીના જહાજને 23 પાકિસ્તાની ક્રૂ સહિત સુરક્ષિત રીતે બચાવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન 12 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું.

ચાંચિયાઓને આત્મસમર્પણ કરવાની ફરજ પડી
નૌકાદળ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર INS સુમેધાએ શુક્રવારે વહેલી સવારે FV ‘અલ કંબર’ને અટકાવ્યું હતું અને બાદમાં મિસાઇલ ફ્રિગેટ INS ત્રિશુલ ઓપરેશનમાં જોડાયું હતું. 12 કલાકથી વધુ ચાલેલા આ ઓપરેશન બાદ ચાંચિયાઓને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.

જહાજમાં નવ જેટલા લૂટારા સવાર હતા. ઘટના સમયે ઈરાની જહાજ સોકોત્રાના દક્ષિણ પશ્ચિમમાં 90 nm દૂર હતું. ભારતીય નૌસેનાએ કહ્યું કે અમે દરિયાઈ સુરક્ષા માટે રાષ્ટ્રીયતાની ચિંતા કરતા નથી. તેમજ અમે કોઇ પણ દેશ હોય તેમને બચાવવાના પ્રયાસ કર્યા હતા. અમે દરિયાઈ સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.

હિંદ મહાસાગરની સુરક્ષા માટે પ્રતિબદ્ધ
તાજેતરમાં 23 માર્ચે નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે કહ્યું હતું કે ભારતીય નૌકાદળ સુરક્ષિત હિંદ મહાસાગર ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા 100 દિવસમાં નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલા એન્ટી-પાયરસી ઓપરેશન્સને ટાંકીને તેમણે કહ્યું હતું કે અમે દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એન્ટી-પાયરસી, મિસાઈલ વિરોધી અને ડ્રોન વિરોધી ઓપરેશન હાથ ધર્યા છે. અમે ઓપરેશન સંકલ્પ દ્વારા 45 ભારતીયો અને 65 વિદેશી નાગરિકો સહિત 110 લોકોના જીવ બચાવ્યા છે.

ભારત મહાન શક્તિ બનવાના માર્ગે છે
નૌ સેનાના કર્મચારી એડમિરલ કુમારે વધુમાં કહ્યું કે ભારત એક મહાન શક્તિ બનવાના માર્ગ પર છે. મહાન શક્તિ સાથે બનવાની સાથે જ નૌ સેના પર મોટી જવાબદારી આવે છે. ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ, જાળવણી, પ્રોત્સાહન અને નૌસેના બળને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

Most Popular

To Top