SURAT

સિગરેટ પીવાના મામલે વરાછામાં યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા

સુરત(Surat) : વરાછામાં (Varacha) પાનના ગલ્લાવાળાની જાહેરમાં હત્યા (Murder) કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. રવિવારની રાત્રે સિગરેટ પીવાને લઈ થયેલા ઝઘડામાં ચપ્પુના ઘા મારી પાનના ગલ્લા વાળાની હત્યા કરાતા ચર્ચાનો વિષય બન્યો હતો. અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના ઘનશ્યામ નગરમાં એમ્બ્રોઈડરીના કારખાના નજીક થઈ હતી. હત્યાની જાણ બાદ વરાછા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલ હત્યારાઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. તપાસમાં પાનના ગલ્લા પર રાત્રિના સમયે સિગરેટ પીવા જેવી સામાન્ય બાબતમાં હત્યા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્થાનિક લોકોએ કહ્યું કે, સિગરેટ ન પીવા બાબતે ચાલેલી વાત અને જૂની અદાવતના મુદ્દે મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. મરનારનું નામ બોબી યાદવ (ઉં.વ. 30) હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરો અજાણ્યા ઈસમો હોવાનું અને બોબીને ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ નાસી ગયાં હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત બોબીને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ તપાસ ચાલુ છે.

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘનશ્યામ નગરમાં રવિવારે રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં મર્ડરની ઘટના બની છે. બે દિવસ અગાઉ આરોપીઓ અને મૃતક વચ્ચે સિગારેટ પીવા બાબતે ઝઘડો થયો હતો. મૃતકની દુકાન બહાર આરોપી સિગારેટ પીતા હતા તે મુદ્દે બબાલ થઈ હતી. સંદીપ રમેશ બાગલ તેથા તેનો ભાઈ અજય બાગલે નામના આરોપીએ દરમિયાન રવિવારે બીજા 8 જેટલાં સાગરિતોને લઈ આવી ફરિયાદી અને મૃતક સાથે મારામારી કરી હતી. પેટમાં છરી મારતા બોબી યાદવનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

Most Popular

To Top