પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે હાથ ધરેલા ઓપરેશન સિંદૂરને લઈને પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ નિવૃત્ત અનિલ ચૌહાણે મહત્વના ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને મોટો પાઠ ભણાવવાનો નિર્ણય એક જ બેઠકમાં અચાનક લેવામાં આવ્યો નહોતો, પરંતુ 23 એપ્રિલથી 29 એપ્રિલ 2025 દરમિયાન સતત બેઠકો, ગુપ્તચર માહિતી અને સૈન્ય તૈયારીઓના આકલન બાદ કાર્યવાહીનું સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું હતું. 29 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં પાકિસ્તાનને એવી કાર્યવાહીથી જવાબ આપવાનો નિર્ણય લેવાયો હતો, જેની તેણે કલ્પના પણ ન કરી હોય.
29 એપ્રિલની બેઠકમાં થયો મોટો નિર્ણય
જનરલ અનિલ ચૌહાણના જણાવ્યા પ્રમાણે 29 એપ્રિલની બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત તત્કાલીન રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય સેનાના વડાઓ હાજર હતા. બેઠકનો મુખ્ય મુદ્દો એ હતો કે પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપવો.ચૌહાણના જણાવ્યા પ્રમાણે બેઠકમાં સ્પષ્ટ થયું કે ભારત સરહદ પારથી થતા આતંકવાદને સહન નહીં કરે અને તેને રોકવા માટે કડક કાર્યવાહી જરૂરી છે. તેમણે કહ્યું કે કાર્યવાહી એવી હોવી જોઈએ કે પાકિસ્તાનને મોટો અને સ્પષ્ટ સંદેશ મળે. આ દરમિયાન “વિચારથી પરે” એટલે કે અણધારી કાર્યવાહી જેવા વિચારો પર પણ ચર્ચા થઈ હતી.
PM મોદીએ સેનાને આપી હતી સંપૂર્ણ છૂટ
પૂર્વ CDSએ જણાવ્યું કે વડાપ્રધાને સૈન્ય નેતૃત્વને કાર્યવાહી માટે રાજકીય દબાણ હેઠળ ઝડપથી નિર્ણય લેવાની ફરજ પાડી નહોતી. તેના બદલે સેનાને પોતાના સમય અને ઓપરેશનલ જરૂરિયાત પ્રમાણે નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી હતી.
પરંતુ તેની સાથે બે બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો,પ્રથમ, કાર્યવાહી માનવીય અથવા ટેક્નિકલ કારણોસર નિષ્ફળ ન થવી જોઈએ અને બીજું, ઓપરેશન સફળ થયું હોવાના મજબૂત પુરાવા ભારત પાસે હોવા જોઈએ. એટલે કે માત્ર હુમલો કરવો જ નહીં, પરંતુ તેના પરિણામોના વિશ્વસનીય પુરાવા મેળવવા પણ આયોજનનો મહત્વનો ભાગ હતો.
મધરાતે હુમલો કરવાનો નિર્ણય કેમ લેવાયો?
ઓપરેશનની સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંથી એક હતી હુમલાનો સમય. શરૂઆતમાં સૈન્ય નેતૃત્વ સામે પ્રશ્ન હતો કે રાત્રિના ઘોર અંધકારમાં ચોક્કસ લક્ષ્યોને નિશાન બનાવીને સફળતાપૂર્વક કાર્યવાહી કરી શકાશે કે નહીં અને સાથે તેના પુરાવા પણ મેળવી શકાશે કે નહીં.પરંતુ ભારતીય સેનાની વધેલી ટેક્નિકલ અને ઓપરેશનલ ક્ષમતાઓ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારબાદ રાત્રિના સમયે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણય પાછળ બે મહત્વના કારણો હતા,એક તરફ અચાનક હુમલાનો લાભ અને બીજી તરફ સામાન્ય નાગરિકોને નુકસાન થવાની શક્યતા ઘટાડવી.
બહાવલપુરને ટાર્ગેટ લિસ્ટમાં શા માટે સામેલ કરાયું?
જનરલ ચૌહાણના જણાવ્યા પ્રમાણે 29 એપ્રિલની બેઠકમાં બહાવલપુરને પણ લક્ષ્યોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયમાં તત્કાલીન રક્ષામંત્રી રાજનાથ સિંહે ખાસ ભાર મૂક્યો હતો. વડાપ્રધાન તરફથી “કંઈક મોટું કરવાની” દિશા સ્પષ્ટ થયા બાદ બહાવલપુર જેવા મહત્વપૂર્ણ લક્ષ્યને પણ ઓપરેશનના આયોજનમાં સામેલ કરવામાં આવ્યું હતું.
બહાવલપુરનું લક્ષ્ય અન્ય કેટલાક આતંકી ઠેકાણાઓની સરખામણીમાં ઘણું દૂર હતું. તેથી ત્યાં સુધી પહોંચવા માટે ડ્રોન અથવા લોેઇટરિંગ મ્યુનિશન પૂરતા ન હોઈ શકે, એવી સૈન્ય ગણતરી હતી. પરિણામે એર પાવરનો ઉપયોગ કરવો વધુ યોગ્ય વિકલ્પ બન્યો હતો.
નવ આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી
ભારતીય સેનાએ 7 મે 2025ની વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ઓપરેશનમાં કુલ નવ આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.આ લક્ષ્યોમાં મુરીદકે સ્થિત મરકઝ तैयબા અને બહાવલપુર સ્થિત મરકઝ સુભાનલ્લાહનો પણ સમાવેશ થતો હતો, જેને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકી માળખા તરીકે ઓળખવામાં આવ્યા હતા.
23થી 29 એપ્રિલ વચ્ચે સતત બેઠકો
પૂર્વ CDSના જણાવ્યા પ્રમાણે ઓપરેશન સિંદૂર માટે 23 એપ્રિલથી જ સૈન્ય અને સુરક્ષા તંત્રમાં સતત ચર્ચા અને આયોજન શરૂ થઈ ગયું હતું. ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીની ચારથી પાંચ મહત્વપૂર્ણ બેઠકો થઈ હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે પણ અનેક બેઠકો યોજાઈ હતી.આ બેઠકોમાં સૌથી મુશ્કેલ કામ હતું ચોક્કસ આતંકી લક્ષ્યોની ઓળખ કરવી. કારણ કે ભારત તરફથી કાર્યવાહી થવાની સંભાવના અંગે પાકિસ્તાન અને આતંકી સંગઠનો સતર્ક થઈ ગયા હતા. કેટલાક આતંકી ઠેકાણા ખાલી કરી દેવામાં આવ્યા હતા, કેટલાક સ્થળોએ ફરી કબજો કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક આતંકી માળખાઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.આથી ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને સૈન્ય ગુપ્તચર તંત્ર સતત માહિતીનું વિશ્લેષણ કરી રહ્યું હતું કે કયા લક્ષ્યો ખરેખર સક્રિય છે અને ક્યાં કાર્યવાહી કરવાથી મહત્તમ અસર થઈ શકે.
ઓપરેશન સિંદૂર હજુ પણ ‘જારી’ હોવાનો દાવો
જનરલ અનિલ ચૌહાણે એક મહત્વપૂર્ણ વાત એ પણ કહી કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે, જોકે તેના મુખ્ય ભાગો પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે સૈન્ય સ્તરે એલર્ટની સ્થિતિ, હુમલાનો સમય અને હુમલાનો દિવસ જેવા નિર્ણયો સતત મળતી માહિતી અને પરિસ્થિતિના આકલનના આધારે લેવામાં આવ્યા હતા.તેમણે જણાવ્યું કે 23 એપ્રિલથી આશરે 6 મે સુધી મળેલી ગુપ્તચર માહિતી અને સૈન્ય આકલનનો ઉપયોગ કરીને ઓપરેશનનું અંતિમ આયોજન કરવામાં આવ્યું હતું. સૈન્ય નેતૃત્વને સ્પષ્ટ રાજકીય દિશાની જરૂર હોય છે અને 29 એપ્રિલની બેઠકમાં આ દિશા સ્પષ્ટ રીતે મળી ગઈ હતી.
‘કોઈ પણ સેના 100 ટકા તૈયાર હોતી નથી’
પૂર્વ CDSએ સૈન્યની તૈયારીઓ અંગે પણ મહત્વની વાત કરી. તેમના જણાવ્યા પ્રમાણે દુનિયાની કોઈ પણ સેના દરેક સમયે 100 ટકા તૈયાર હોતી નથી. સશસ્ત્ર દળોમાં કેટલીક ને કેટલીક ખામીઓ રહેતી હોય છે અને દુશ્મન અંગેનું આકલન પણ ક્યારેય સંપૂર્ણ હોઈ શકતું નથી.તેમણે કહ્યું કે સૈન્ય માટે તૈયારી અને દુશ્મનની ક્ષમતાનું મૂલ્યાંકન એક સતત પ્રક્રિયા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ભારતીય સુરક્ષા અને સૈન્ય તંત્ર સતત મળતી નવી માહિતી પ્રમાણે પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કરતું રહ્યું હતું.
પહલગામ હુમલા બાદ ભારતનો કડક સંદેશ
ઓપરેશન સિંદૂરની સમગ્ર કહાની પરથી સ્પષ્ટ થાય છે કે પહલગામ હુમલા બાદ ભારતે માત્ર પ્રતિકાત્મક જવાબ આપવાનો નિર્ણય લીધો નહોતો. સરકાર અને સૈન્ય નેતૃત્વ વચ્ચે થયેલી બેઠકોમાં ચોક્કસ લક્ષ્યો, યોગ્ય સમય, ટેક્નિકલ ક્ષમતા, નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન અને કાર્યવાહીનો વિશ્વસનીય પુરાવો,આ તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.જો કે પૂર્વ CDS જનરલ અનિલ ચૌહાણના આ ખુલાસાઓથી પહેલીવાર ઓપરેશન સિંદૂરના આયોજનના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ જાહેર થયા છે. જોકે ઓપરેશન સાથે જોડાયેલી અનેક સૈન્ય વિગતો હજુ પણ જાહેર કરવામાં આવી નથી.