Comments

ગાંધી આજના સમયમાં ખરેખર કેટલા પ્રસ્તુત છે? ગાંધીના રસ્તે ચાલીએ તો શું થાય?

નિયતિ તમને કયાં લઈ જશે તેની તમને કયારેય કલ્પના હોતી નથી. મોટા ભાગના કિસ્સામાં આપણી કલ્પના બહારની ઘટનાઓ જ ઘટતી હોય છે. આખી જિંદગી મેં પોલીટીકલ અને ક્રાઈમ રીપોર્ટીંગ કર્યા પછી મને કયારેય સ્વપ્ન પણ ન્હોતું આવું કે હું ગાંધીજી સ્થાપિત નવજીવન સંસ્થાનો હિસ્સો બનીશ. 2015 ની વાત છે જયારે મને મારા મિત્ર અને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ કહ્યું, મને લાગે છે કે તારે અમારી સાથે કામ કરવું જોઈએ. મને વિચાર આવ્યો કે આ મજાક કરે છે કે પછી મને અને મારા કામને ઓળખતો નથી.

મેં મનમાં કહ્યું, હું અને ગાંધી અરે, અમારે તો દૂર દૂર સુધી  કોઈ સંબંધ નથી. મને રાજનેતાઓની રમત અને ગુંડાઓની બંદૂકની ભાષા સમજાય, પણ ગાંધીની સરળતા સમજવાની બીમારીથી હું બહુ જ દૂર છું. મેં ત્યારે તેને કોઈ જવાબ આપ્યો નહીં. થોડા દિવસ પછી મને મારો મિત્ર ઉર્વીશ કોઠારી મળી ગયો. તે જાણતો હતો કે મને નવજીવન ટ્રસ્ટ તરફથી પ્રસ્તાવ મળ્યો છે, તેણે મને પૂછયું, શું વિચાર્યું નવજીવન સાથે જોડાવા અંગે, હું તેની સામે જોઈ રહ્યો. મેં તેને સામો સવાલ  કરતાં પૂછયું, ઉર્વિશ તને લાગે છે કે હું કોઈ ગાંધી સંસ્થામાં કામ કરી શકું, તેણે પોતાની સ્ટાઈલ પ્રમાણે સહજતાથી કહ્યું, વાંક તારો નથી. તું રોજ ગાંધીનું જ કામ કરતો હોવા છતાં તું માને છે કે તું ગાંધીથી દૂર છે, કારણ ગાંધીવાદી લોકોએ ગાંધીને એટલો મહાન બનાવી દીધો કે તારા મારા જેવા અનેકોને લાગ્યું કે આ મહાન માણસની નજીક પણ આપણે જઈ શકીએ નહીં.

ગાંધી તો આપણા જેવો નિર્બળ માણસ હતો. તે જેવો છે તેવો દેખાતો હતો.બીજા કોઈ સાથે કામ કરવા કરતાં ગાંધી સાથે કામ કરવું સહેલું છે. જયાં સુધી તારો અને ગાંધીનો સંબંધ છે ત્યાં સુધી તમારી નિસ્બત એક છે કે લોકોના જીવનમાં સારું થાય. બહુ વિચાર કર્યા પછી થોડાક કમને હું નવજીવન સાથે જોડાઈ ગયો. જો કે વિવેક દેસાઈએ મને કહ્યું, આવતી કાલે તને એવું લાગે કે આ કામની મઝા આવતી નથી તો તું તારી દુનિયામાં પાછો જઈ શકે છે. તે વાતને સાત વર્ષ થઈ ગયાં. મને મારી જૂની દુનિયામાં પાછા ફરવાનો વિચાર આજ સુધી આવ્યો નથી.

નવજીવન ટ્રસ્ટના ભાગ રૂપે મારે સાબરમતી જેલના કેદીઓને ભણાવવાનું અને તેમના પ્રશ્ન ઉકેલવાનું કામ આવ્યું. મને ત્યાં ઘણા નવા મિત્રો મળ્યા, આમ તો હું એવા ભ્રમમાં ત્યાં ગયો કે મારે તેમને બદલવાના છે, પણ કયારે અને કેવી રીતે થયું તેની મને ખબર નથી. એક માણસ તરીકે સારો માણસ થવામાં તેઓ મને બોલ્યા વગર સહાયભૂત થયા. અહિંયા મને મિલન મળી ગયો. મિલન ઠક્કર મૂળ અમદાવાદનો જ વતની, પણ તેની નિયતિ તેને સાબરમતી જેલ લઈ આવી. તે મારી પાસે પત્રકારત્વ ભણતો હતો. પહેલી બેંચ ઉપર જ બેસે, ખૂબ ચર્ચા કરે અને પ્રશ્ન પૂછે. મિલન જેલમાં ઓડિયો બુક બનાવવાનું કામ પણ કરતો હતો. ઓડીયો બુક બનાવતી વખતે તેણે ઓડિયો બુક બનાવવાના ભાગરૂપે ગાંધીને વાંચ્યા. તેના મનમાં પણ સવાલ ઊઠયો કે હાલના સમયમાં ગાંધીની  સત્ય અને અહિંસાની વાત કેટલી પ્રસ્તુત છે. મિલનને ટ્રાયલ કોર્ટ દ્વારા દસ વર્ષની સજા કરવામાં આવી હતી, તે જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો.

મિલન ઠક્કરે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી અને પોતાનો પક્ષ જાતે મૂકતાં કહ્યું, સાહેબ મેં કોઈ અજાણતાં ભૂલ કરી નથી. મારે શ્રીમંત થવું હતું એટલે મેં ઈરાદાપૂર્વક ગુનો આચર્યો હતો. મને તેની ગંભીરતા, તેનાં પરિણામો અને કાયદાની જોગવાઈની ખબર હતી. મિલન અક્ષરશ: હાઈકોર્ટના જસ્ટીસ ભટ્ટ સાહેબ સામે સાચું બોલી રહ્યો હતો. હાઈકોર્ટમાં સન્નાટો હતો, કારણ અહિંયા આવનાર તમામ એવું કહેતા હોય છે કે તેમણે કંઈ ખોટું કર્યું જ નથી, પણ એક માણસ પોતાના ગુનાનો એકરાર કરી રહ્યો હતો. મિલને અંતમાં એટલું જ કહ્યું, મારી ભૂલ છે, પણ મારી ઉંમર અને ઘરે વૃધ્ધ માતા પિતા છે તે બાબત આપ સાહેબ ધ્યાન ઉપર લો એટલી જ વિનંતી. હાઈકોર્ટ જજ શું નિર્ણય કરશે બધાની નજર હતી. જસ્ટીસ ભટ્ટે ચુકાદો આપતાં નોંધ્યું કે કોઈ માણસ સાચું બોલે તો તેની કિંમત થવી જોઈએ. મિલન ઠક્કરની રજૂઆત સાંભળ્યા પછી તેની બાકી રહેલી પાંચ વર્ષની સજા માફ કરવાનો હુકમ કરવામાં આવે છે. જેલમાં રહેલા મિલને ગાંધી ઉપર વિશ્વાસ મૂકયો અને તેના વિશ્વાસનો વિજય થયો.

હું મારું સદ્દભાગ્ય સમજું છું કે આજે મિલન ઠક્કર મારી સાથે નવજીવન ટ્રસ્ટમાં કામ કરે છે. આવી અનેક ઘટનાઓએ મને શીખવ્યું કે ગાંધીના રસ્તે ચાલવું બહુ સહેલું છે, કારણ ગાંધી તો જીવવાનો વિષય છે. ગાંધીમાં આસ્થા હોય તો ખાદી પહેરવાની પણ જરૂર નથી. ગાંધી તો બીજાની નિસ્બત કરતા હતા. આપણને પણ કોઈ માટે નિસ્બત છે તો આપણે પણ ગાંધી થઈ શકીએ, જયારે વાત હિંસા અને અહિંસાની આવે ત્યારે અનેકો એવું માને છે ગાંધીની અહિંસાની વાત ખોટી છે, પરંતુ નવજીવનના ટ્રસ્ટી કપીલ દવે  કહે છે ગાંધી અહિંસાની વાત કરતા તે કાયરતા ન્હોતી. ગુજરાત પોલીસમાં ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા તરત ભટ્ટ કહે છે કે હિંસા આપણા નસ નસમાં છે, પણ એક માણસ અહિંસાના નામે દેશની એંસી ટકા જનતા ઉપર એવું જાદુ કરે દેશનો મોટો હિસ્સો મારવા નહીં પણ માર ખાવા માટે તૈયાર થઈ જાય. આ કોઈ નાનીસૂની ઘટના નથી. આવી અનેક ઘટનાઓ પછી એટલું જ કહીશ કે ગાંધી તો સ્વાનુભવનો વિષય જ છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top