National

હરિયાણા: નૂહમાં હિંસા પછી ફરીવાર ગેરકાયદેસરનાં બાંધકામો પર બુલડોઝર ચલાવાયું

પંજાબ: હરિયાણાના (Haryana) નૂહમાં (Nooh) હિંસાને (Violence) કારણે વાતાવરણમાં તણાવ છે. ત્યારે જિલ્લા પ્રશાસને ફરી એકવાર ગેરકાયદે બાંધકામો (Illegal constructions) પર બુલડોઝર (Bulldozer) ફેરવી દીધું છે. શનિવારે અહીં SHKM સરકારી મેડિકલ કોલેજ પાસે ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી છે. શનિવારે સવારે નૂહ વહીવટીતંત્રની ટીમ નલહર મંદિરના માર્ગ પર સ્થિત હોસ્પિટલની સામે પહોંચી અને ત્યાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાનું કામ શરૂ કર્યું. શહેરમાં બુલડોઝરની સતત કાર્યવાહીના કારણે ગેરકાયદે બાંધકામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આ કાર્યવાહી ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર (NUH) દ્વારા કરવામાં આવી રહી છે. 40 જેટલી દુકાનો ગેરકાયદેસર છે તેને તોડી પાડવામાં આવી રહી છે. આ એ જ જગ્યા છે જ્યાં 31 જુલાઈએ હિંસા ફાટી નીકળ્યા બાદ વાહનો સળગાવવામાં આવ્યા હતા અને પથ્થરમારો થયો હતો. પ્રશાસન સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે નાઈ ગાંવ, સિંગર, બિસરુ, ડુડોલી પિંગવા, ફિરજોપુર જેવા વિસ્તારોમાં ગેરકાયદે અતિક્રમણ હટાવવામાં આવશે. નૂહના એસડીએમ અશ્વિની કુમારે જણાવ્યું કે સીએમના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી છે.

સ્થળ પર હાજર અધિકારીઓના જણાવ્યા મુજબ ગેરકાયદેસર કબજાની જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. આ પહેલા શુક્રવારે સ્થાનિક વહીવટીતંત્રે ચાર જગ્યાએ બુલડોઝર ચલાવીને ગેરકાયદે બાંધકામો દૂર કર્યા હતા. ગુરુવારે નુહના તાવડુમાં બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

31મી જુલાઈએ મેવાત-નુહમાં હિંસા થઈ હતી
હરિયાણાના નૂહ-મેવાતમાં 31 જુલાઈએ બ્રિજ મંડળ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થયો હતો. જોત જોતામાં આ વિવાદ બે સમુદાયો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગયો. સેંકડો કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હિંસામાં 2 હોમગાર્ડ સહિત 6 લોકોના મોત થયા હતા. પોલીસે હિંસાના આરોપીઓ સામે કાર્યવાહી તેજ કરી છે. આ હિંસા માત્ર નૂહ પૂરતી સિમિત ન હતી. નુહ ઉપરાંત ફરીદાબાદમાં 3, ગુરુગ્રામમાં 23, પલવલમાં 18, રેવાડીમાં 3 FIR નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા 2300 વીડિયોની ઓળખ કરી છે. પોલીસનું માનવું છે કે આ વીડિયોએ હિંસા ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

યોજના હેઠળ હિંસા થઈ: અનિલ વિજ
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કહે છે,આની પાછળ મોટો ગેમ પ્લાન છે. લોકો હાથમાં લાકડીઓ લઈને મંદિરોની બાજુમાં આવેલી ટેકરીઓ પર ચઢી ગયા અને એન્ટ્રી પોઈન્ટ પર ભેગા થયા, આ બધું પૂર્વ આયોજિત આયોજન વિના શક્ય નહોતું. ગોળીઓ ચલાવવામાં આવી, આગ ચાંપવામાં આવી, કેટલાક લોકોએ હથિયારોની પણ વ્યવસ્થા કરી હતી. સંપૂર્ણ તપાસ વિના અમે નિષ્કર્ષ પર જઈશું નહીં. પરિસ્થિતિ સુધર્યા બાદ ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

Most Popular

To Top