Gujarat

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરાશે, સાથે કરી આ મોટી જાહેરાત

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) રવિવારે પડેલા કમોસમી વરસાદને (Heavy Rain) કારણે ઘણી તારાજી સર્જાઇ છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદ વરસ્યો હતો. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. પરંતુ કમોસમી વરસાદ સાથે પૂરઝડપે પવન અને વીજળી પડવાને કારણે સમગ્ર ગુજરાતમાં આશરે 20 લોકોના મોત (Death) નિપજ્યા છે. એટલું જ નહિ માવઠાની માઠી અસર તો ખેડૂતો (Farmers) પર થઇ છે.  શિયાળાની ઋતુમાં ભારે પવન સાથે વરસાદથી સૌથી વધુ નુકશાન ખેડૂતોનું થયું છે. એવામાં સરકારે પણ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.

ગુજરાતમાં કમોસમી વરસાદવને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને જોતા રાજ્ય સરકારે તેમના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય કૃષિમંત્રી રાઘવ પટેલે ખેડૂતોના પાકને થયેલી નુકસાનીને ધ્યાનમાં રાખતા કહ્યું કે સરકાર આ અંગે એક સર્વે કરશે કે કેટલા ખેડૂતોને અને કયા પાકને કેટલું નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સર્વેની શરૂઆત ઝડપથી કરવામાં આવશે. જો કે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્થિતિની જાણકારી મેળવી છે. તેમજ સંપૂર્ણ સહકાર કરવાનો આશ્વાસન આપ્યો છે. તેમ છતાં સરકાર નુકસાનીના સર્વે બાદ ખેડૂતો માટે સહાય જાહાર કરી શકે છે.

ભાજપના ધારાસભ્ય લવિંગ ઠાકોર દ્વારા ખેડૂતોના પાકની સામે વળતરની માંગણી કરાતો પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખેડૂતોની આર્થિક સહાય કરવાની માંગ કરી છે.

જ્યારે બીજી તરફ કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદની સાથે વીજળી પડવાથી રાજ્યમાં લગભગ 20 લોકોનાં મૃત્યુ થયા છે. તેથી રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની આર્થિક મદદ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.


Most Popular

To Top