Gujarat

ભાજપ અને આર.એસ.એસ. અનામત હટાવવાના પ્રયત્નો કરી રહ્યા છે: ભરતસિંહ સોલંકી

અમદાવાદ : રાજ્યની ભાજપ (BJP) સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) ઓબીસી (OBC) અનામત કાઢી નાખવાની વાત કરી રહી છે, ભાજપ અને આરએસએસ સહિતની તેની ભગીની સંસ્થાઓ અનામત હટાવવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે, તેવું પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સિનિયર અગ્રણી ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું.

અમદાવાદમાં શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં ભરતસિંહ સોલંકી કહ્યું હતું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (ઓબીસી)ના લોકો માટે માંડલ કમિશને 27 ટકા જગ્યા અનામત રાખવાનું સૂચવેલ હોવા છતાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં 10 ટકા અનામત જગ્યા રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી, જે પુરતી ન હતી. રાજ્ય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (ઓબીસી)ના લોકો માટેની આ 10 ટકા અનામતની જોગવાઈમાં વધારો કરીને 27 ટકા કરવાની જ્યારે તાતી જરૂર હતી ત્યારે આ ગરીબ અને પછાત વર્ગના વિકાસને રુંધવા માટે જે 10 ટકા અનામત હતી તે પણ નાબૂદ કરીને આ પછાત વર્ગના લોકોને ન ભરી શકાય તેવું નુકસાન આ સરકાર દ્વારા થઇ રહ્યું છે. જે ખુબ જ દુઃખદ છે.

રાજ્યની કુલ વસ્તીના 52 ટકાથી વધુ વસ્તી ધરાવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (ઓબીસી)ની 146 થી વધુ જાતિઓના લોકોના વિકાસ માટે આઝાદી પછી દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય દરજ્જો અને સમાનતાની ખાતરી ભારતના સંવિધાને આપી છે. જેના ભાગરૂપે ગ્રામ પંચાયત – તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં થતી ચૂંટણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવા શુભ આશયથી વસ્તીના ધોરણે 10 ટકા અનામત જગ્યાનો લાભ આપવામાં આવેલ હતો.

કોંગ્રેસની માંગ છે કે, રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરુ કરી ત્રણ માસમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવામાં આવે. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્થાનિક સ્વરાજની સંખ્યાઓ અને અન્ય આર્થિક સામાજીક જગ્યાએ OBC અનામતની સમીક્ષા કરી નિર્ણય કરવામાં આવે.
ભરતસિંહ સોલંકીએ વધુમાં કહ્યું હતુ કે ભાજપ હંમેશા ચૂંટણી આવે ત્યારે મોટા ભાગની જાહેરાતો કરે છે પરંતુ ચૂંટણી પતી ગયા પછી તેનો અમલ કરતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોરશોરથી કહે છે કે હું પછાતવર્ગનો છું અને ઓ.બી.સી. વર્ગનો છું અને ગુજરાતમાંથી કેન્દ્રમાં ત્રણ મંત્રીઓ પણ ઓ.બી.સી. સમાજના છે તે આવકાર દાયક બાબત છે, પરંતુ ઓ.બી.સી. સમાજને આટલો હળહળ તો અન્યાય થાય, 27 વર્ષથી અન્યાય થાય છે અને હજુય એ અન્યાયને આગળ વધવાની શક્યતા દર્શાવાઈ રહી હોય ત્યારે તેઓએ પણ ઉપરોક્ત ઓ.બી.સી. સમાજની ન્યાયીક હિતની વાતને સમર્થન કરવું જોઈએ.

Most Popular

To Top