Business

નળકાંઠાના 32 જેટલા ‘નો સોર્સ વિલેજ’ ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાયા

ગાંધીનગર: નળકાંઠાના ૩ર જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની (Water) સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ, હવેથી આ ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજૂઆત ધ્યાને લઈને આ સમસ્યાના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય પગલા લેવા ભલામણ કરી હતી, જેના પગલે રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમારે જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. તદઅનુસાર, આ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠાના આ બધા જ ‘નો સોર્સ વિલેજ’ ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયના પરિણામ સ્વરૂપે હવે નળકાંઠાના સિંચાઇ વંચિત ૧૧ ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧પ હેક્ટર જમીન વિસ્તારને પણ સિંચાઇ માટે નર્મદા જળ મળતા થશે. રાજ્ય સરકારે તાજેતરમાં જ ફતેવાડી-ખારીકટ યોજનાઓના પિયત વિસ્તારના ૧૧૧ ગામોને નર્મદા યોજના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરેલો છે. આ ૧૧૧ ગામોમાં નળકાંઠાના ૨૧ ગામોનો પણ સમાવેશ થઇ ગયો છે. નળકાંઠાના કુલ ૩ર ગામોમાંથી પિયત વિસ્તારથી બાકાત રહી ગયેલા ૧૧ ગામોને પણ હવે નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Most Popular

To Top