Gujarat

ઘર આંગણે યોજનાઓનો લાભ પહોંચાડવા દાદાનો નવો અભિગમ

રાજ્યની પ્રજાને સરકારની યોજનાઓનો લાભ ઘર આંગણે જ મળી રહે તે માટે સ્થાનિક લોકોની રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ અંતર્ગત તા. ૨૨ ઓક્ટોબર-ર૦ર૧થી પ જાન્યુઆરી-ર૦રર સુધીમાં રપ૦૦ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.

સરકારના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-૯થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. આ સેવાસેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે. આવા સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ ૬થી ૮ ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં ૪ થી ૧૦ સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં ૪ થી પ વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં ર થી ૩ સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે.

સેવાસેતુ યોજાશે તે કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. એટલું જ નહિ, સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો-રજૂઆતકર્તાઓ માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવાર-નવાર પોતાના જાહેર કાર્યક્રમોમાં એવી નેમ પણ વ્યક્ત કરેલી છે કે સામાન્ય-અદના માનવીને ઓછામાં ઓછી તકલીફ પડે, સરળતાએ યોજનાકીય લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે. તાજેતરમાં જ તેમણે બોટાદમાં એક સમારંભમાં કહ્યું હતું કે, અધિકારીઓએ લોકોને ધક્કા ખવડાવવાનું બંધ કરી દેવું જોઈએ. ખાસ ઉલ્લેખનીય રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના ૬ સફળ તબક્કાઓના આયોજનથી ર.૩૦ કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી છે.

Most Popular

To Top