Charchapatra

અખંડ ભારતના ગપગોળા

તંત્રી શ્રી તા. 19/6ના ગુજરાતમિત્રમા ચર્ચાપત્રી K.T.સોનીએ અખંડ ભારતનો લોલીપોપ પકડાવતું જ્યોતિષ આધારિત ચર્ચાપત્ર લખ્યું છે. પહેલું તો એ કે જ્યોતિષ એ બ્રાહ્મણોએ ઉભા કરેલા પાખંડ સિવાય બીજુ કંઇ નથી. વળી, એ સિધ્ધિ નરેન્દ્ર મોદી જ મેળવશે એમ નામ સહિત ગપગોળો ગબડાવ્યો છે. આવું જ બયાન થોડાં સમય પહેલા મોહન ભાગવતજીએ આપેલું. જેની સામે પ્રશ્નો કરતું ઉત્તમ ચર્ચાપત્ર પ્રેમ સુમેસરાએ લખેલું. અખંડ ભારત નિર્માણ સામે અનેક પ્રશ્નો છે. જેમ કે મોદીજીમાં જો એવી ત્રેવડ હોય તો પહેલા પાકિસ્તાન દબોચી ગયું છે એ POK તો છોડાવી કબ્જો કરી બતાવો.

વળી પાક. અણુબોંબ સંપન્ન રાષ્ટ્ર છે. બકરીનું બચ્ચું નથી કે મોદી 2 હાથ પહોળા કરીને ગજવે ઘાલી દે. ચીન જેવો શક્તિશાળી ખેપાની દેશ એમાં મોદીને સફળ થવા દે એ શકય જ નથી. ઉપરાંત, મોદીજી દેશના 22 કરોડ મુસ્લિમોને સાચવી નથી શકતા તો બીજા 20 કરોડ મુસ્લિમોનું તેઓ શું કરશે? (પાક + બાંગ્લાદેશ) અને એ 20 કરોડ મુસ્લિમો ચુપચાપ ભારતના હિંદુત્વવાદીઓનું આધિપત્ય સ્વીકારશે? ના, તો મોદીમાં એમને વશ કરવાની ત્રેવડ છે?

140 કરોડ ભારતીયો તો સચવાતા નથી, ત્યાં બીજા 20 કરોડ નવી વિરાટ સમસ્યાઓ લાવશે તો એનું શું કરશો અને ત્યાંના આજના નેતાઓ તમારી વણજોઇતી ગુલામી સ્વીકારે ખરા? અખંડ ભારત ઊભું કરી કરશો શું? અહીં ડગલે ને પગલે ચોર – લૂંટારાઓનું તો રાજ છે. શું દુનિયા આ નથી જાણતી? જ્યોતિષના નામે ગપગોળા છોડવા સહેલા છે. વાસ્તવિકતાઓ કઠીન છે. કોઇ માણસ બાપ મટીને દીકરો બનવા તૈયાર ન થાય. મુંગેરીલાલ જેવા સપના જોવાનું બંધ કરી, ચીનનો સામનો કરવાની તૈયારી કરો. નહીં તો હવેલી લેવા જતાં ગુજરાત(પૂર્વાંચલ) ખોવાનો વારો આવશે! તાકાત હોય તો પહેલા POK કબજે કરી બતાવો ભાઇ! અમે રાહ જોઇશું!
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top