Comments

સુપર કમ્પ્યુટરના યુગમાં શીખવાની જૂની રીતો છોડો હવે

સુપર કમ્પ્યુટરના કારણે ક્ષણ વારમાં લાખો કરોડોની ગણતરી શકય બની છે. એક સાથે અનેક પરિણામોનો સહસંબંધ સમજી શકાય છે. સૂર્યના ગોળામાં ઘટતા ચુંબકત્વ, તેથી તેના વધતા કદ અને વધતી ગરમીની માપણી શકય બની છે. એટલું જ નહીં પણ સૂર્યથી કરોડો માઈલના અંતરે આવેલ પૃથ્વી ઉપર પહોંચતી ગરમી ઉત્તર ધ્રુવના બરફને ઓગાળે છે, તો સૂર્યની વધતી ગરમીથી પૃથ્વી ઉપર દરિયાનાં પાણીમાં શા દરે વધારો થશે તેવી જટિલ ગણતરી પણ સુપર કમ્પ્યૂટર દ્વારા વિશ્વાસ રાખી શકાય તે પ્રમાણમાં મળે છે.

પરંતુ આવા સુપર કમ્પ્યુટરથી વધુ શકિતશાળી કમ્પ્યુટર માણસ પાસે છે. આ બાયો – કમ્પ્યુટર એટલે માણસનું મગજ. દરિયાની રેતીના એક કણ જેટલા મગજના એક જ કોષમાં ૨૦ લાખ એક્ષોલ્સ અને એક અબજ જેટલા સિનેપ્સીસ હોય છે, જે તમામ પરસ્પરના સંયોજનથી માહિતીની જાણકારી અને સંગ્રહનું કામ કરે છે. માણસના મગજની સંરચના કમ્પ્યુટરના મેટ્રિકસ પ્રકારની હોય છે. પરંતુ કમ્પ્યુટરમાં જ્યાં ડોટ્સ (કાળાં ટપકાં) આધારે આકારનો સંગ્રહ થાય છે ત્યારે માણસના મગજમાં ન્યુરોન્સની મદદથી માહિતીનો સંગ્રહ થાય છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના મસ્તિષ્ક વિભાગના સંશોધન અનુસાર બાળકના જન્મ સમયે મગજ ૧૦૦ અબજથી વધુ ન્યુરોન્સ ધરાવતું હોય છે અને શરીર જેમ- જેમ ભાવાત્મક જોડાણો વધારતું જાય છે તેમ – તેમ તેના મગજમાં ન્યુરોન્સનું પ્રમાણ પણ વધતું જાય છે. આમ ૬ થી ૮ રતલના માનવ મસ્તિષ્કમાં વિદ્યુતપ્રવાહની આપ-લે કરતાં ન્યુરોન્સની સરખામણી રાત્રિના અંધકારમાં દેખાતી આકાશ ગંગા સાથે કરી શકાય.

કમ્પ્યુટરની શકિત વિશાળ છે, તો માનવ મસ્તિષ્કની શકિત તો અમાપ છે. આમ છતાં મા-બાપ કહેતાં હોય છે કે, ‘‘અમારું બાળક મંદબુધ્ધિનું છે.’’ શિક્ષક કહે છે કે વિદ્યાર્થી ભણવામાં નબળો છે. તેમ ઉપરી અધિકારી પોતાના કર્મચારીને બુધ્ધુ – નોન્સેન્સ જેવાં ઉપનામો પહેરાવતો હોય છે. કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રીની પદ્ધતિ ન જળવાય તો સ્ક્રિન ઉપર ડેટા આવતા નથી. તેમ સ્ક્રિન ઉપરના ડેટાને ‘કન્ટ્રોલ એસ’ કરી હાર્ડ ડિસ્કમાં સેવ કરતાં ન આવડે તો સ્ક્રિન ઉપરનો ડેટા ઊડી જાય છે, જતો રહે છે.

આથી કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર માટે સર્વ પ્રથમ માંગ એ રહે છે કે વ્યકિત પોતે કમ્પ્યુટરનો ઉપયોગ જાણતો હોવો જોઈએ. તેમ બાળકનાં માતા પિતા કે શિક્ષક બનનાર, પછી પોતાને કર્મચારીનાં અધિકારી ગણાવતી વ્યકિતએ સામેના માણસના મસ્તિષ્કનો કેવી રીતે ઉપયોગ કરવો, તે શીખવું જરૂરી બને છે. ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ તેવી કહેવત ઘણો સમય પ્રચલિત રહી, પણ મસ્તિષ્ક અંગેના વિકસતા વિજ્ઞાને જૂની કહેવતને વાહિયાત બનાવી છે.

સાથોસાથ પ્રતિપાદિત કર્યું છે કે પુરુષના મગજમાં ૧૫ હજાર કિલોમીટરના રેસાઓ હોય છે, તો સ્ત્રીઓના મગજમાં ૧૮ હજાર કિલોમીટર લાંબા રેસા પથરાયેલા હોય છે. અમેરિકાની નૅશનલ રિચર્સ ઈન્સ્ટિટ્યુટના અહેવાલ અનુસાર પુરુષ કરતાં સ્ત્રીઓમાં મગજની સ્થિતિસ્થાપકતા, સમાયોજનાની ક્ષમતા, શીખવાની પ્રક્રિયાની ગતિ દોઢ ગણી વધારે હોય છે, કારણ પુરુષ કરતાં સ્ત્રીઓનું મગજ સંવેદનપ્રક્રિયાને વધુ ઝડપથી પ્રતિપાદિત કરે છે.

પુસ્તકમાં છાપેલી માહિતીને સમજ્યા વિના પણ ગોખી શકાય છે. અને માહિતી યાદ રાખી ત્રણ કલાકના સમયમાં ફરી કાગળ ઉપર લખી શકનાર વિદ્યાર્થીની અક્કલને હોશિયાર કહેવામાં આવે છે. સવાલ જવાબની સ્પર્ધા (કિવઝ કોન્ટેસ્ટ)માં ઈતિહાસ, ભૂગોળ, રમત-ગમત, સિનેજગત કે પછી વિજ્ઞાન-ગણિતના ચપોચપ ઉત્તર દેનારને ઈન્ટેલિજન્ટ કહેવામાં આવે છે. પણ ખેતરના ઊંડા કૂવામાં ઘેટું પડી ગયું હોય તો તેને સહીસલામત રીતે બહાર કાઢનાર ખેડૂતના દીકરાને કોઈ બુદ્ધિવાન કહેતું નથી.

તેમ ૫૦૦ માણસના જમણવાર માટેની દાળમાં ભૂલથી બે વખત મીઠું પડી ગયું હોય તો આવી ખારી દાળને ફરી સામાન્ય બનાવી સમય સાચવનાર રસોઈયાને કોઈ ઈન્ટેલિજેન્ટ કહેતું નથી. ઘર-વર- બાળકો ઉપરાંત વ્યવહારુ જવાબદારી બજાવનાર સ્ત્રીને ‘હાઉસ વાઈફ’ કહેવામાં આવે છે, જ્યારે નોકરિયાત રહી બે પૈસા લાવનાર પુરુષ હસબંડનો દરજ્જો ભોગવે છે. સમાજમાં પ્રવર્તમાન આવા ખોટા ખ્યાલોના કારણે આપણે મનુષ્યના જીવનને અને મગજને સમજી શકયા નથી.

ઈમોશનલ ઈન્ટેલિજેન્સી ઉપર કામ કરતા ડૉ. વિનોદકુમાર શનવાલે, દિલ્હીની શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ વિદ્યાર્થીઓ અને દિલ્હી આસપાસનાં ગામડાંઓનાં ૨૦૦ બાળકોના તુલનાત્મક અભ્યાસ ઉપરથી પ્રતિપાદિત કર્યું છે કે ગ્રામીણ બાળકોમાં ફંકશનલ આઈ – કયુ અથવા તો ઈમોશનલ કવૉશન ઊંચો હોય છે. વૈજ્ઞાનિક સંશોધનથી આજે સ્પષ્ટ થયું છે કે માણસ પોતાના આઈ – કયુને લીધે સફળ રહે છે, પણ વ્યકિતની મહાનતા તો ઈ-કયુ દ્વારા જ હાંસલ થાય છે.

ભારતીય વૈજ્ઞાનિકો મગજનાં રહસ્યો ઉકેલવામાં આગેકૂચ કરી રહ્યા છે, પણ વૈદિક સમયે ધ્યાનની ઉત્કૃષ્ટ અવસ્થામાં પહોંચી ભારતનાં ઋષિ-મુનિઓએ બ્રહ્માંડની રચના નિહાળી તેમ શરીરરચના અંગે સામવેદમાં લખ્યું છે અને ચરક સંહિતામાં મહર્ષિ ચરકે પોતાની અનુભૂતિ દર્શાવી છે. જે અનુસાર માનવ મસ્તિષ્કનો કોષ લીલા નાળિયેર સાથે સરખાવી શકાય. જેમ પ્રાણવાયુ અને પ્રોટીનનું વહન કરતા બાહ્ય રેસાની અંદર બીજા ત્રણ સ્તર હોય છે અને કોષ સાથે જોડાયેલા ન્યુરોન્સની સરખામણી ચરક સંહિતાએ નાળિયેરના ફળનાં મધ્ય ભાગે રહેલ પાણી સાથે કરી છે.

મહર્ષિ મહેશ યોગી દ્વારા સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાપિત ન્યુરો સેન્ટરના તાજેતરનાં સંશોધનોથી ભારતીય વેદવિજ્ઞાનની રજૂઆતને પુષ્ટિ મળી છે. જે પાણીથી નાળિયેરનું ફળ બને છે. પાણી નાળિયેર ફળના રેસાની અંદર કાચલી તૈયાર કરે છે અને તેથી વધુ અંદર કોપરું તૈયાર કરે છે. આ નાળિયેરના ફળમાં રહેલ કાચલી અને કોપરું એટલે મસ્તિષ્કના કોષની હાર્ડ – ડિસ્ક અને નાળિયેરનું પાણી એટલે મસ્તિષ્કના કોષોનો જળવિદ્યુતપ્રવાહ – ન્યુરોન્સ. એક કહેવતમાં કહેવાયું છે કે, ‘જયાં ન પહોંચે રવિ (સૂર્ય) ત્યાં પહોંચે અનુભવી.’ આ અનુભવ એટલે વ્યકિતએ જાતે કરેલું કામ, વ્યકિતની સંવેદનાઓ સાથે જોડાયેલ પ્રવૃત્તિ અને આવી સંવેદનશીલ કામગીરી જ માનવ મસ્તિષ્કનાં ન્યુરોન્સ, હાર્ડ-ડિસ્કમાં કાયમી સ્મૃતિ તરીકે ઘટનાનો સંગ્રહ કરે છે.

કમ્પ્યુટરની યાદદાસ્ત એક નિશ્ચિત ક્રમમાં હોય છે. આથી કમ્પ્યુટરનાં કી- બોર્ડ દ્વારા કમ્પ્યુટરને અંગ્રેજી અક્ષર ‘એફ’ ટાઈપ કરીએ તો કમ્પ્યુટર ‘એફ’ અક્ષર સાથે જોડાયેલ તમામ બાબતો સ્ક્રિન પર મૂકે છે. પણ માણસના મગજની યાદદાસ્ત માહિતીના ગ્રહણ સમયે જોડાયેલ સંવેદનાની તીવ્રતાના આધારે તાજી થતી હોય છે અને આથી જ બાળક પાસે ૩+૭ +૨ ×૧૬ જેવી રજૂઆત કરીએ છીએ ત્યારે બાળકનાં મસ્તિષ્કમાં કોઈ ભાવ, લાગણી કે ન્યુરોન્સની આપ-લે થતી નથી. પણ એ જ બાળકને કહીએ, ‘“એક મો… ટું ઝાડ હતું. તેના પર કાળો વાંદરો રહેતો હતો. વાંદરો હુપ… કરે ને ઝાડ હલાવે.’’ તો બાળકના અનુભવમાં અગાઉ જે વૃક્ષ વાંદરો – કાળો રંગ – વાંદરાના અવાજની સંવેદનાઓ જોડાયેલ છે તે તમામના સહયોગથી બાળક માટેની માહિતી તેની હાર્ડ ડિસ્કમાં સંગ્રહિત થઈ જશે.

મસ્તિષ્કની આ પ્રકારની સંરચનાના કારણે આજકાલ બાળકો ટી.વી. પર જોયેલું ફિલ્મનું ગીત એક જ વખતમાં આખેઆખું યાદ કરી લે છે અને પુસ્તકની કવિતા આખું વર્ષ ભણવા છતાં ભુલાઈ જાય છે. દિલ્હી સ્થિત તાલીમ સંસ્થા NCRTના પારંપારિક શિક્ષણ અંગેના સંશોધનથી પુરવાર થયું છે કે શાળાઓમાં બાળકને વર્ગસમયમાં ૭૦ ટકા સૂચના અપાય છે. ર0 ટકા નિદર્શન અપાય છે અને માત્ર ૧૦ ટકા પ્રત્યક્ષ રીતે કામનો અનુભવ આપવામાં આવે છે અને આ પ્રકારની જ્ઞાનની આપ-લેની પ્રક્રિયાથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની માત્ર ૧૦ ટકા મગજશકિતનો ઉપયોગ થાય છે અને ૯૦ ટકા શકિત વણવપરાયેલી પડી રહે છે. આ વિષયે એડિનબર્ગ યુનિવર્સિટીનાં અધ્યાપકોએ ૫૦૦૦થી વધુ શ્રમિકો, વિદ્યાર્થીઓ, કલાકારોના અભ્યાસના આધારે તારવ્યું છે કે, ‘‘વ્યકિત પોતે કાર્યાન્વિત બને તો તેના મસ્તિષ્કનો ૪૭ થી પર ટકા ઉપયોગ થાય છે અને મેળવેલ માહિતી, જ્ઞાન, આવડત લાંબો સમય સુધી માનવશરીર અને મગજ સાથે જોડાયેલાં રહે છે. ઉદાહરણ રૂપે ‘‘પાણીમાં તરવાનું કૌશલ.’’

લાખો પ્રકાશવર્ષના અંતરે તારાઓ આકાશમાં સ્થિર થયા હોય છે, પરંતુ રાત્રિના અંધકારમાં પૃથ્વી ઉપરથી તારાઓનો સમૂહ નિશ્ચિત આકારમાં દેખાય છે. તેમ મગજમાં સ્મૃતિ તરીકે સ્થિર થયેલ બાબતો પણ જળ – વિદ્યુત રૂપે ચમકતી રહે છે.
આ ટમટમતા ઉજાસના સમૂહને ‘માઈન્ડ મેપ’ કહે છે. ફૂલ-પાંદડીનાં ચિત્રોવાળા હાથરૂમાલમાં કોઈ ડાઘ પડ્યો હોય તો તે પણ રૂમાલની ભાતનો ભાગ બને છે. તેમ સોટી વાગે સં… સમ ને વિદ્યા આવે રે.. જેમની પદ્ધતિથી મળતું જ્ઞાન પણ મગજ ઝડપથી સ્થાયી કરી લે છે.

પણ આ પ્રકારની યાદદાસ્ત ફૂલ પાંદડીનાં રૂમાલના ડાઘ સમાન હોઈ મા-બાપ, શિક્ષક કે અધિકારીઓએ જ્ઞાનની આપ-લેની પ્રક્રિયા સમયે આનંદદાયી, સ્વસ્થ અને ભાવનાત્મક વાતાવરણનો આશ્રય લેવો જોઈએ. જેમ કમ્પ્યુટર ગમે તેટલું કિંમતી હોય કે તેની ગમે તેટલી ઉચ્ચ ક્ષમતા હોવા છતાં તેને કી-બોર્ડ અને માઉસના ઉપયોગથી જ કાર્યાન્વિત કરવું પડે છે, તેમ માણસનું મગજ સંવેદનશીલ માહોલમાં પ્રત્યક્ષ કાર્યાનુભવથી જ કાર્યાન્વિત થાય છે.

મસ્તિષ્ક વિજ્ઞાનની વિકસતી ક્ષિતિજો દ્વારા આપણી સમજ વિકસી છે. તો હવે મા-બાપે પોતાના યુવાન છોકરાઓને કલાકો સુધી બેસાડી ભાષણ દેતા રહેવાની આદત બદલવી પડશે. શિક્ષકોએ તીખી નજર ને કડક અવાજે ૪૫ મિનિટ બોલ – બોલ કરવાની રીત સુધારવી પડશે. તેમ જ કર્મચારીઓ વધુ કાર્યક્ષમ બને, સક્રિય રહે અને કંપની માટે નફો કમાઈ આપે તેવું ઈચ્છતી કંપનીઓએ પોતાના અધિકારીઓને હાયર ઍન્ડ ફાયર ની પદ્ધતિ છોડવા કહેવું પડશે.
ડો.નાનક ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top