Comments

વિપક્ષી એકતા: વક્રતા કે વાસ્તવિકતા?

2024ની લોકસભા ચૂંટણી માટે BJP સામે 23 જૂને પટનામાં વિપક્ષી નેતાઓની એક સમાન મંચ નક્કી કરવા બેઠક મળી ત્યારે કોઈને ખરેખર મોટા નિર્ણયોની અપેક્ષા નહોતી. કારણ કે લોકસભાની ચૂંટણી પર નેતાઓની આ પહેલી બેઠક હતી અને ઘણું ખરું કામકાજ કરવું પડ્યું હતું. જો કે, તે અચંબો એ વાતે હતો કે પટણામાં વાજતેગાજતે થયેલા આ મેળાવડામાં વિપક્ષ ભાજપ સામે કેવી રીતે લડશે તે અંગેના વિચારો કે કન્વીનરની ઔપચારિક જાહેરાત પણ કરાઈ નહીં. અમને એટલું કહેવામાં આવ્યું કે જુલાઈમાં ચર્ચાઓનો આગામી રાઉન્ડ કોંગ્રેસ શિમલામાં રાખશે.

શું આમ એટલા માટે છે કે ભાજપને વૈચારિક સ્તરે ઘેરવામાં ઘણી સમસ્યાઓ છે? સીટ-વહેંચણી પર કામ કરવા એકસાથે જોડાવું, કે પછી રાષ્ટ્રીય મંચ પર મોટી ભૂમિકા માટે પક્ષના નેતાઓની મહત્ત્વાકાંક્ષાઓ સાથે સમાધાન કરવું વધુ મુશ્કેલ છે. જો કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ પક્ષ સાથે જોડાઈ શકે છે. આ બધા વચ્ચે મુખ્ય ત્રણ અવરોધો દેખાઈ રહ્યા છે. પહેલું છે વોટિંગ બૂથ પર ભાજપની મજબૂત પકડ. 2019માં, ભાજપે 50% કરતાં વધારે વોટ શેર સાથે 224 બેઠકો જીતી હતી. 2014માં આ સંખ્યા 136 હતી. ફક્ત 48 સીટ પર ભાજપના ઉમેદવારો કરતાં બીજા અને ત્રીજા ક્રમનાં ઉમેદવારોનો સંયુક્ત વોટ શેર વધારે હતો. મતલબ કે માત્ર વિપક્ષી પાર્ટીઓના ભેગા થવાથી ભાજપનું મતગણિત બદલાશે નહીં.

વિપક્ષે મોદી સામે સ્વીકૃત અને વિશ્વસનીય વિકલ્પ શોધવો પડશે અને લોકોને ભાજપથી દૂર રાખવા માટે સખત મહેનત કરવી પડશે. ભૂતકાળના અનુભવો મુજબની વાસ્તવિકતા એ છે કે પક્ષો અથવા નેતાઓના એક સાથે થવાથી તેમના મતદારો સાથે નથી થતા. જો સાચે ભાજપ સામે કોમન કેન્ડિડેટ ઊભો રાખવામાં આવે તો વિપક્ષની જીતની કોઈ ગેરંટી નહીં હોય. સમય જતાં પાર્ટી માટે તેમના વિચાર બદલાય તે સ્વાભાવિક છે, પરંતુ મતદારો એટલા હોંશિયાર છે કે હોદ્દાની બઢતી-ચઢતીથી ‘તકસાધુ’ઓને ઓળખી જશે. બીજું, જ્યાં ભાજપે ભવ્ય જીત મેળવી એ 224 બેઠકો પર હરાવવા માટે વિપક્ષને એક નક્કર કથનની જરૂર પડશે જે વૈચારિક રીતે સુસંગત, વ્યાવહારિક અને લોકમાં પ્રચલિત હોય.

2019માં વિપક્ષનો ઉત્તર પ્રદેશનો અનુભવ સરળતાથી ભૂલી શકાય તેમ નથી. સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP) અભૂતપૂર્વ રીતે ગઠબંધનમાં જોડાયા પણ તેમની મુખ્ય વિચારધારાના વિરોધાભાસને કારણે પહેલાંની માફક અલગ થયા. આ વખતે પણ ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યોમાં મુખ્ય વિપક્ષે હજુ સુધી ભાજપ સામે જીતની ચાવી શોધવી બાકી છે. ત્રીજો અવરોધ સ્થાનિક અને રાષ્ટ્રીય પાર્ટીનો ભૌગોલિક વિસ્તાર. 2019માં ભાજપની 303 બેઠકોમાંથી ઓછામાં ઓછી 124 બેઠકો એવાં રાજ્યોમાંથી આવી હતી જ્યાં વિપક્ષી પાર્ટીઓ જ મોટા ભાગે એકબીજા સામે હરીફાઈમાં હોય અને ત્યાં વિપક્ષી એકતા હાંસલ કરવી મુશ્કેલ હશે.

ઉદાહરણ તરીકે, પશ્ચિમ બંગાળ, જ્યાં તૃણમૂલ કોંગ્રેસ માત્ર ભાજપ સાથે જ નહીં, પરંતુ કોંગ્રેસ અને લેફ્ટીસ્ટ સાથે પણ સ્પર્ધામાં છે. યુપીમાં, જ્યાં ચાર મુખ્ય પક્ષો ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસ મેદાનમાં છે. આ વિસ્તારોમાં જ વિપક્ષી છાવણીમાં અંદરોઅંદર વિરોધાભાસ છે. દિલ્હી અને પંજાબ પર દાવો કરવા લડતી વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેવી રીતે એકસાથે આવશે? કેરળમાં સત્તાના મુખ્ય દાવેદાર હોવા છતાં લેફ્ટીસ્ટ અને કોંગ્રેસ કઈ રીતે સમાધાન કરશે? છેવટે વિપક્ષી એકતાનો અર્થ સીમિત રહી જશે, જ્યારે 160 જેટલી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ સીધી હરીફાઈમાં હતા અને તે જગ્યાએ કોઈ ફેરફાર જ ન થાય તો. જ્યાં સુધી કોંગ્રેસ નક્કર લડત નહીં આપી શકે ત્યાં સુધી ભાજપ 2024 તરફ આગળ વધતું રહેશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વર્ષના અંત સુધીમાં આપણને આગળનો માર્ગ જણાવી શકે છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસની તાજેતરમાં મળેલી જીતની એકતાના પ્રયાસો પર મિશ્ર અસર કરી છે. કેટલાક પ્રાદેશિક પક્ષો જેમ કે તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ હવે ભાજપ કરતાં કોંગ્રેસ સામે વધુ ભય અનુભવે છે. કર્ણાટકમાં કોંગ્રેસે આ જ કર્યું, એક સમય બાદ જ્યાં મોટા ભાગના સમુદાયો ભાજપ અને જનતા દળ (સેક્યુલર)થી દૂર થઈ ગયા. ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી અને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કૉંગ્રેસ જેવી પાર્ટીઓ ઈચ્છે છે કે કૉંગ્રેસ મેદાન (મતવિસ્તાર) ખાલી કરે અથવા ભાજપ સામેની તમામ સીટ પર કોમન કેન્ડિડેટનું ગીત ધીરે ગાય. જનતા દળ (U)ના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર જેઓ એકતાના પ્રયાસમાં મોખરે છે, તેમની પણ લોકપ્રિયતા કે વિશ્વસનીયતાનું મૂલ્ય નથી. તેઓ ખુદ લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર નિર્ભર છે.

આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધીથી નાખુશ છે. જેને સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો તે બ્યુરોક્રસી પર દિલ્હી સરકારની સત્તાઓ મર્યાદિત કરવાના વટહુકમ મુદ્દે કેન્દ્રીય AAPને સંસદમાં સમર્થન આપવા કોંગ્રેસ ખુલ્લેઆમ તૈયાર નથી. આખરે તો દરેક જગ્યાએ કોંગ્રેસ પર પ્રહાર કરીને AAP પ્રસિદ્ધિ મેળવી પણ હવે પોતાની સત્તા બચાવવા માટે તેમની મદદ માંગે છે. વિપક્ષે એ ન ભૂલવું જોઈએ કે ભ્રષ્ટાચારના ઠોસ આરોપો ધરાવતા નેતાઓને બચાવવાના પ્રયાસો સામે બિનસાંપ્રદાયિકતા અથવા સંઘવાદના નામે જનતાના મત નહીં મળે. તેઓ સરકારના અતિરેક પર આંગળી ઉઠાવી શકે છે. પરંતુ વિરોધ પક્ષોએ પણ આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને જનતાનો વિશ્વાસ જીતવા માટે સુધારાવાદી પગલાં લેવા નહિંતર, મોદી મતદારોને સહેલાઈથી સમજાવી દેશે કે આ ભ્રષ્ટાચારના આરોપીઓની એકતા માત્ર છે!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top