Editorial

હજી ચૂંટણીની તારીખ પણ જાહેર નથી થઇ અને કોંગ્રેસના નેતાઓ મુખ્યમંત્રી કોણ તેના ઉપર ચર્ચા કરે છે

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં હજી ચૂંટણીની (Election) જાહેરાત થઇ નથી પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં (Congress) મુખ્યમંત્રીનો ઉમેદવાર નક્કી કરવાની હોડ જામી છે. ગુજરાતના (Gujarat) કોંગ્રેસના ટોપ કેડરના નેતાઓની હાલત લોટરી ખરીદનારા લોકો જેવી જ છે. જે લોકો લોટરી ખરીદે છે તેઓ છેલ્લે સુધી તેમની જ લોટરી લાગશે તેવા ખયાલી પુલાવ બનાવવા લાગે છે. એટલું જ નહીં પરંતુ લોટરી લાગશે જ તેમ વિચારીને ફ્લેટ, કાર ખરીદવાનું આયોજન કરી નાંખે છે. અને લોટરી લાગેને થોડા ગણા રૂપિયા બચી જાય તો પરિવારજનોને વિદેશ ટુરનો પણ વાયદો કરી દે છે.

ગુજરાતના કોંગ્રેસના નેતાઓની હાલત પણ લોટરી ખરીદનારાઓથી અલગ નથી. ગુજરાતમાં એક તરફ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. જયારે નારાજ ચાલતા હાર્દિક પટેલ હવે પોતે કોંગ્રેસમાં છે તેવું કહી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસમાં સીએમ પદની રેસના મામલે પાર્ટીના સીનિયર અગ્રણી ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યુ છે. સોલંકીએ કહ્યું હતું કે, હાર્દિક પટેલ કે નરેશ પટેલ મુખ્યમંત્રી બને તો, તેની સામે મને કોઈ વાંધો જ નથી, હકીકતમાં કોંગ્રેસનો મુખ્યમંત્રી બને તેનો મને આનંદ છે. સોલંકીએ કહ્યું હતું કે , હાર્દિક પટેલ વિશે કઇ પણ બોલવા હું સમર્થ નથી. બીજુ હાર્દિક પટેલને કે નરેશ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો મને કોઈ વાંધો જ નથી, કોંગ્રેસનો મુખ્યમંત્રી બને તેનો મને આનંદ રહેશે. અરે કોઈ જૈન, દલિત, બ્રાહ્મણ કે બક્ષી પંચનો સીએમ બને તો પણ મને વાંધો નથી. કોંગ્રેસના સીએમ બને તેમાં મને રસ છે.

સોલંકીએ વધુમાં કહ્યું હતું કે, જયારે જગદીશ ઠાકોર તથા સુખરામ રાઠવા એ નેતૃત્વ સંભાળ્યુ ત્યારે હું જ પહેલો નરેશ પટેલને મળવા ગયો હતો. એટલું જ નહી તેમને રાજનીતિમાં તથા કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. મને કોઈ હોદ્દો જોઈતો નથી. ટિકીટની વહેંચણી અંગે પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય લેશે. જો કે ગુજરાતમાં ચૂંટણી યોજાય તે પહેલા જ રાજનિતીમાં બહુ મોટી ઉથલ પાથલ થવાની છે. હવે વાત કરીએ કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવાના સપના જોતા બીજા એક મુરતિયાની તો તે છે નરેશ પટેલ. ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલે રાજનીતિમાં જોડાવવું કે કેમ? તે મુદ્દે હજુ અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને ખોડલ ધામમાં છેલ્લા બે દિવસથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં વડીલોએ એવો સૂર વ્યક્ત કર્યો છે કે, તમારે રાજનીતિમાં જવું જોઈએ નહીં.

બીજી તરફ ખોડલ ધામ સાથે સંકળાયેલા પાટીદાર સમાજના યુવકોએ એવો સૂર વ્યકત્ત કર્યો છે કે નરેશ પટેલે રાજનીતિમાં જોડાવવું જોઈએ. ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક બાદ નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીમાં કહ્યું હતું કે, હજુ સર્વેની કામગીરી ચાલી રહી છે, ચાલુ માસના અંત સુધીમાં હું મારો નિર્ણય જાહેર કરીશ. હવે નિર્ણય જાહેર કરવામાં બહુ સમય નહીં લાગે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે , પ્રશાંત કિશોર મારા મિત્ર છે. કોંગ્રેસમાં નહીં જોડાવવાનો નિર્ણય તેમનો અંગત નિર્ણય છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં નહીં જોડાવું એવું કહ્યું છે, પણ મારી સાથે તેઓ હંમેશાં રહેશે. હું રાજકારણમાં જોડાઇશ તો એ મારા સપોર્ટમાં જ રહેશે. જ્યારે વારંવાર રાજ્યના કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનાર હાર્દિક પટેલ પણ મુખ્યમંત્રી બનવાના સપના જોઇ રહ્યાં છે પરંતુ, તેઓ સીધો દાવો કરી રહ્યાં નથી. હા એક વખત ચોકક્સ એવું કહી ચૂક્યા છે કે, તેઓ ચૂંટણી ચોક્કસ જ લડશે. ગુજરાતમાં બે જ સબળ પક્ષ છે એક કોંગ્રેસ અને બીજો ભાજપ. આ બે પક્ષ સિવાય કોઇપણ પક્ષને ગુજરાતની જનતા સ્વીકારતી નથી. આમ આદમી પાર્ટી હવે પગપેસારો કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ સુરતની સ્થાનિક ચૂંટણી સિવાય તેમને કશે સફળતા મળી નથી તે પણ સનાતન સત્ય છે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે અને હાલની સ્થિતિની વાત કરીએ તો આગામી વિધાનસભાની ચૂંટણી માટે તેની પેઇજ કમિટી અને બુથલેવલ સુધીની તૈયારી થઇ ચૂકી છે તો કોંગ્રેસ હજી તાલુકા પ્રમુખ સુધી માંડ માંડ પહોંચી શકી છે. આ જોતા ભાજપની સ્થિતિ વધુ મજબૂત હોય તેમ માની શકાય. તેમ છતાં ભાજપમાં મુખ્યમંત્રી કોણ તેની ચર્ચા પણ ચાલતી નથી અને કોંગ્રેસ જાણે ચૂંટણી જીતી ગઇ હોય તેવું વર્તન કરી રહી છે. આવા નિવેદન કાર્યકર કે જિલ્લા કક્ષાના નેતા કરે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ પ્રદેશના નેતા કોંગ્રેસનો મુખ્યમંત્રી કોણ તેના ઉપર ચર્ચા કરી રહ્યાં છે. જે રીતે કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવાની હોડ લાગી છે તે જોતા તો એમ જ કહી શકાય કે, આ તમામ પાત્રો વર્ષો પહેલા આવેલી એક સિરિયલ મુંગેરીલાલ કે હસીન સપને જેવા જ છે.

Most Popular

To Top