‘સત્યભામા’ના પાત્રથી કરશે એન્ટ્રી
ગુજરાતનના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ જયના હવે બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. સંસ્કૃતિ જયના પોતાની પહેલી જ ફિલ્મમાં મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહી છે, જેના કારણે રાજકીય અને ફિલ્મી વર્તુળોમાં આ એન્ટ્રી ચર્ચાનો વિષય બની ગઈ છે.
માહિતી મુજબ સંસ્કૃતિ જયના ટૂંક સમયમાં આવનારી ભવ્ય પૌરાણિક ફિલ્મ “Krishnavataram Part-1: The Heart”માં સત્યભામાનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ વિશાળ સ્તરે તૈયાર થઈ રહી છે અને તેમાં આધ્યાત્મિકતા તથા આધુનિક સિનેમેટિક પ્રસ્તુતિનું સંયોજન જોવા મળશે. ફિલ્મને લઈને પહેલેથી જ દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે સંસ્કૃતિ જયના માત્ર અભિનેત્રી તરીકે જ નહીં પરંતુ આ ફિલ્મના પ્રોડક્શન સાથે પણ જોડાયેલી છે. ફિલ્મના સર્જનાત્મક અને વ્યવસ્થાપન બંને પાસાઓમાં તેઓ સક્રિય ભૂમિકા ભજવી રહી છે, જે તેમના ડેબ્યૂને વધુ ખાસ બનાવે છે.
ફિલ્મનું શૂટિંગ ગુજરાતના વિવિધ સ્થળોએ ભવ્ય સ્તરે કરવામાં આવ્યું છે. નિર્માતાઓ ફિલ્મને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તૈયારીમાં છે, જેથી ભારતીય પૌરાણિક વાર્તાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ફિલ્મના ટ્રેલરની રજૂઆત પણ ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા કાર્યક્રમોમાં કરવામાં આવી હોવાનું જાણવા મળે છે, જે પ્રોજેક્ટને વધુ વિશેષ બનાવે છે.
સંસ્કૃતિ જયના આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલની દીકરી છે. આનંદીબેન પટેલ ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી રહ્યા છે. રાજકારણ અને સંસ્કૃતિના વારસાને આગળ વધારતી સંસ્કૃતિ જયનાની આ બોલીવૂડ એન્ટ્રીને લઈને ગુજરાત સહિત દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને તેમની પહેલી જ ફિલ્મમાં સત્યભામા જેવા શક્તિશાળી પાત્રથી શરૂઆત કરવી તેમના ફિલ્મી કરિયરની મજબૂત શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.