Madhya Gujarat

ફતેપુરામાં પીવાના પાણીની આયોજન વિનાની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખોટો ખર્ચ

સુખસર: ફતેપુરા તાલુકામાં આઝાદી બાદ  દાયકાઓથી પીવાના તથા સિંચાઇના પાણીની સુવિધા માટે સરકાર દ્વારા પ્રજાના કરોડો રૂપિયા ખર્ચ કરાઇ ચૂક્યા છે.તેમ છતાં થયેલ ખર્ચને નજર અંદાજ કરતા મોટાભાગનાં નાણા વ્યર્થ ગયા હોવાનું નજરે જોતાં જણાઇ આવે છે. વર્ષોવર્ષ પાણી માટેની સુવિધા ઉભી કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.જે પૈકી કેટલીક જગ્યાએ પાણીની ઉપલબ્ધી માટે કરાતો ખર્ચ આયોજન વિના થઇ રહ્યો હોવાનું પણ ઊડીને આંખે વળગે છે.ત્યારે ફતેપુરા તાલુકામા કેટલીક જગ્યાએ પાણી માટેના થતા આયોજન પ્રત્યે તાલુકા-જિલ્લા તંત્રો સહીત રાજ્ય સરકારે ધ્યાન આપવાની ખૂબજ જરૂરત જણાઈ રહી છે.

    બ ફતેપુરા તાલુકામાં વર્ષોથી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.જે પૈકી મોટા ભાગનો ખર્ચ વ્યર્થ ગયો હોવાનું જોવા મળે છે. જેમાં અગાઉ ભાણાસીમલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી ગામડે ગામડે પાઇપલાઇનનો તથા ટાંકીઓ બનાવવામાં આવેલ છે.જેમાંથી માત્ર ગણ્યાગાંઠયા ગામડાઓમાં હાલ આ યોજનાનું પાણી પહોંચી રહ્યું છે.અને આ યોજના નિષ્ફળ ગઇ છે.આ યોજના દ્વારા બનાવવામાં આવેલ પાણીની ટાંકીઓમાં અન્ય કોઈ યોજના હેઠળ વર્ષો પછી પણ ટીપુ પાણી પહોંચ્યું નથી.અને તેવા જ કેટલાક ગામડાઓમાં ફરીથી હાલ લાખો રૂપિયાનો ખર્ચ કરી વાસ્મો યોજના હેઠળ પાણીના ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવી રહ્યા છે.હાલ તો આ બનાવવામાં આવી રહેલ ટાંકાઓમા પાણી ક્યાંથી આવશે?તે પ્રશ્ન પ્રમુખ સ્થાને છે.જો તાલુકાના તમામ ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા આયોજન કરાતું હોય તો જે ગામડાઓમાં ભાણાસીમલ યોજનાના જે ટાંકા બનાવવામાં આવેલ છે અને તેમાં વર્ષો પછી પણ પાણી પહોંચ્યું નથી તેમાં પાણી પહોંચાડવા પ્રજાના નાણાથી સરકારે સાહસ કરવું જોઈએ. ભાણાસીમલ યોજના હેઠળ બનાવવામાં આવેલ કેટલાક ટાંકાઓને બાદ કરતા મોટાભાગના ટાંકાઓ સહીસલામત છે.જો તેમાં પાણી પહોંચાડી શકાતુ હોય ત્યારબાદ જ નવીન ટાંકાઓ કે ભૂગર્ભ ટાંકીઓ બનાવવા આયોજન કરવું જોઈએ.

Most Popular

To Top