ગુજરાત હાઈકોર્ટનો નકલી ઓર્ડર બનાવી અઢી લાખ ખંખેરી લીધાં

આણંદ : આણંદમાં કોરોના કાળ દરમિયાન રેમડેસીવરના વેપલાના કૌભાંડમાં વડોદરા પોલીસે ધરપકડ કરેલા વેપારીને પેરોલ પર છોડાવવા અમદાવાદના ગઠિયાએ રૂ.અઢી લાખ પડાવી હાઈકોર્ટનો બોગસ ઓર્ડર આપી દીધો હતો. આણંદ શહેરના 80 ફુટના રોડ પર આવેલી સંતરામ પાર્ક સોસાયટીમાં રહેતા જતીન મહેશભાઈ પટેલની જૈમન એન્ટરપ્રાઇઝ નામની દુકાન આવેલી છે. એક વર્ષ પહેલા કોરોનાની બીજી લહેર દરમિયાન નકલી રેમડેસીવરના વેપલામાં જતીન પટેલની વડોદરા પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. જતીન જેલમાં હતો તે દરમિયાન કોર્ટમાંથી જામીન મળતાં નહતાં. આ દરમિયાન જેલમાંથી જ કોઈએ તેને આશીષ પ્રબોધ શાહ (રહે.દેવળ એપાર્ટમેન્ટ, વાસણા, અમદાવાદ)નું નામ આપ્યું હતું અને આ આશિષ શાહ સારા સારા વકીલોના સંપર્કમાં છે અને તે જામીનની વ્યવસ્થા કરી આપશે, તેવી વાત જાણવા મળી હતી.

આથી, જતીને પિતા મહેશને ફોન કરી આશીષ શાહનો મોબાઇલ નંબર આપ્યો હતો અને જામીન બાબતે વાત કરી હતી. મહેશભાઈએ ફોન કરી આશીષ શાહને જામીન અંગે વાત કરી હતી. જોકે, તે સમયે આશીષ શાહે જામીનના બદલામાં પેરોલ પર છોડાવી દેવાની વાત કરી હતી. જે પેટે રૂ. અઢી લાખ નક્કી કર્યાં હતાં. આ વાતચીત બાદ મહેશભાઈને વડોદરા કોર્ટમાં આશીષે બોલાવ્યાં હતાં. જ્યાં વાતચીત બાદ આણંદ આવીને રૂ. અઢી લાખ આશિષને પેરોલના કામ માટે આપ્યાં હતાં. બાદ 18મી નવેમ્બર,2021ના રોજ આશીષે ગુજરાત હાઈકોર્ટના હુકમની પીડીએફ ફાઇલ મોકલી આપી હતી. મહેશભાઈએ તુરંત પ્રીન્ટ કઢાવી વડોદરા મધ્યસ્થ જેલ પર પહોંચ્યાં હતાં. અલબત્ત, જેલ પર ફરજના અધિકારીએ જણાવ્યું કે, હજુ સુધી ગુજરાત હાઈકોર્ટમાંથી તેનો આ ઓર્ડર અંગેનો કોઇ મેઇલ આવ્યો નથી. જેથી મેઇલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરીશું. આથી, મહેશભાઈ પરત આવી હુકમ અંગે તપાસ કરતાં હાઈકોર્ટનો હુકમ બનાવટી હોવાનું જાણવા મળતાં ચોંકી ગયાં હતાં. અલબત્ત જતીન પટેલ 29મી ડિસેમ્બર,21ના રોજ જેલમાંથી મુક્ત થઇ ઘરે આવ્યો હતો. આ સમયે તેના પિતા મહેશભાઈએ આશિષ શાહે કરેલી છેતરપિંડી અંગે વાત કરી હતી. આથી, જતીન પટેલે એસઓજીમાં આશીષ શાહ સામે ફરિયાદ આપી હતી.

Most Popular

To Top