Dakshin Gujarat

પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોના બે સર્વે થયાં, ફોર્મ પણ ભરાયા છતાં આ કારણસર સરકાર વિરુદ્ધ દેખાવ

રાજપીપળા: ગુજરાત (Gujarat) વિધાનસભા ચૂંટણી (Election) પહેલાં નર્મદા (Narmada) જિલ્લાના નાંદોદ તાલુકાના ખેડૂતોને પાક નુકસાનીના વળતર મુદ્દે સરકાર વિરુદ્ધ દેખાવો કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. નાંદોદ તાલુકાના ખેડૂતોએ પાક નુકસાનીના યોગ્ય વળતર મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો.

આ બાબતે નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના ખેડૂત જસપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે કેળના પાકને મોટું નુકસાન ગયું હતું. 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 30 હજાર રૂપિયા વળતર આપવાનું નક્કી પણ થયું હતું. 2 સરવે થયા બાદ ફોર્મ પણ ભરાયાં હતાં. છતાં અમને નુકસાનીનું વળતર હજુ સુધી મળ્યું નથી. ગયા મહિને ફોર્મ ભરાયા બાદ યોગ્ય વળતર મળશે એવી બાંયધરી પણ આપવામાં આવી, પણ ગતરોજ એ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યાં હતાં. અધિકારીઓએ કારણ બતાવ્યું કે, જરૂરિયાત કરતાં વધારે અરજી આવી ગઇ છે અને ગ્રાન્ટ ઓછી છે.

  • 2 સરવે થયા બાદ ફોર્મ પણ ભરાયાં હતાં, છતાં નુકસાનીનું વળતર હજુ સુધી મળ્યું નથી
  • 30 હજાર રૂપિયાની જગ્યાએ 6 હજાર રૂપિયા જ સહાય આપવાનું જણાવાતાં ખેડૂતોમાં આક્રોશ

જસપાલસિંહ ગોહિલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આખા જિલ્લામાં ભાજપના એક નેતાના વિસ્તારનાં જ 18 ગામને સહાય આપવાનું નક્કી થયું છે. અને અમને 30 હજાર રૂપિયાની જગ્યાએ 6 હજાર રૂપિયા જ સહાય આપવાનું જણાવાયું છે. યોગ્ય સમયે વળતર ન મળતાં ખેડૂતો માથે હાથ મૂકી રડી રહ્યા છે. અમને એવું કહેવામાં આવે છે કે કેળની નુકસાનીનું વધુ વળતર ચૂકવવું પડે છે એટલે તમે કેળાની જગ્યાએ કપાસનું નુકસાન બતાવો તો તમને પ્રતિ હેક્ટર 6 હજાર રૂપિયા વળતર મળશે. અમે કેળાની ખેતી કરતા હોઈએ તો કપાસનું નુકસાન કેવી રીતે બતાવીએ? 6 હજાર વળતર સામે અમને કેળાની ખેતી પાછળ 6 હજાર તો ખર્ચ થઈ જાય છે. જો અમને યોગ્ય વળતર નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

Most Popular

To Top