National

1000 કરોડથી વધુના જમીન કૌભાંડ કેસમાં EDએ સંજય રાઉતની મોડી રાત્રે ધરપકડ કરી

મહારાષ્ટ્ર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સંજય રાઉતને (Sanjay Raut) કસ્ટડીમાં (Custody) લેવામાં આવ્યો છે. ED છેલ્લા 8 કલાકથી તેના ઘરે તપાસ કરી રહી હતી. ઈડીએ આ દરોડા (Raid) 1000 કરોડથી વધુના પાત્રા ચૉલ જમીન કૌભાંડ (Patra Chawl Case) સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પાડ્યા હતા. રવિવારે EDની ટીમ સવારે 7 વાગે ભાંડુપમાં રાઉતના ઘરે પહોંચી હતી.

EDની ટીમના દરોડા બાદ રાઉતના વકીલો પણ તેમના ઘરે પહોંચ્યા હતા. રાઉતના ઘરની બહાર ઘણા સમર્થકો પણ ભેગા થયા હતા. EDએ સંજય રાઉત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો. માહિતી અનુસાર, જ્યારે તેમને તપાસ એજન્સીએ તેમની સાથે ED ઑફિસમાં જવા માટે કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ વર્તમાન સાંસદ છે. તેમણે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ હવે ED તેમને કસ્ટડીમાં લઈને પોતાની સાથે લઈ જઈ શકે છે. દરોડા દરમિયાન, રાઉતે સ્પષ્ટતા કરી હતી કે એક જવાબદાર સાંસદ તરીકે તેમણે સંસદના સત્રમાં હાજરી આપવાની હતી અને તેથી તેઓ 20 અને 27 તારીખે ED સમક્ષ હાજર થયા ન હતા. તેણે એમ પણ કહ્યું કે તેણે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો છે અને જો તે દિવસે સમન્સ મોકલવામાં આવશે તો તે ED અધિકારીઓ સમક્ષ હાજર થશે. અગાઉ, 27 જુલાઈના રોજ, EDએ રાઉતને આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ રાઉત હાજર થયા ન હતા અને હાજરીમાંથી મુક્તિ માંગી હતી. પરંતુ તે પછી ઇડીએ તેને સ્વીકાર્યું ન હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ વહેલી સવારે તેમના ઘરે પહોંચી ગઈ છે. 8 કલાકથી EDની ટીમ રાઉતના પરિવાર સાથે પૂથપરછ કરી રહી છે. EDની ટીમ સવારે 7.30 વાગ્યે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી હતી. ટીમમાં લગભગ 10 થી 12 અધિકારીઓ છે. રાઉત ઉપરાંત તેના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી છે. રાવત સિવાય ટીમ તેના બે નજીકના મિત્રોના ઘરે પણ પહોંચી છે. મહારાષ્ટ્રમાં 1034 કરોડના પાત્રા ચૉલ જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની પૂછપરછ કરી રહી છે. તે જ સમયે, ED ઓફિસ પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

હું મરી જઈશ તો પણ શરણે નહિ આવું
આ દરમિયાન સંજય રાઉતનું ટ્વીટ સામે આવ્યું છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, મારે કોઈ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. હું આ વાત શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના શપથ લઈને કહી રહ્યો છું. બાળાસાહેબે આપણને લડતા શીખવ્યું છે. હું શિવસેના માટે લડતો રહીશ. તેમણે EDની કાર્યવાહીને ખોટી કાર્યવાહી ગણાવી હતી. ખોટા પુરાવા હોવાનું જણાવ્યું હતું. હું શિવસેના નહીં છોડું, ભલે હું મરી જઈશ, હું આત્મસમર્પણ નહીં કરું.

રાઉતના ઘરની બહાર હાજર સમર્થકો
સંજય રાઉતના ઘરે EDની ટીમના આવવાના સમાચાર મળતા જ મામલો સામે આવ્યો હતો. તેમના સમર્થકો પણ ઘરે પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, સંજય રાઉતના સમર્થકો તેમના આવાસ ‘મૈત્રી’ની બહાર ઉભા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. EDની ત્રણ ટીમોએ એક સાથે દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. એક ટીમ મુંબઈમાં રાઉતના ઘરે પહોંચી ગઈ છે, જ્યારે બે ટીમ રાઉતના અલગ-અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

શું છે પાત્રા ચૉલ કૌભાંડ
આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારના પાત્રા ચૉલ સાથે સંબંધિત છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો પ્લોટ છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપ છે કે રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચૉલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી હતી. એક કન્સ્ટ્રક્શન કંપનીને આ પ્લોટ પર 3000 ફ્લેટ બાંધવાનું કામ મળ્યું. જેમાંથી 672 ફ્લેટ અહીં પહેલાથી રહેતા રહેવાસીઓને આપવાના હતા. બાકીનો ભાગ મ્હાડા અને ઉક્ત કંપનીને આપવાનો હતો, પરંતુ વર્ષ 2011માં આ વિશાળ પ્લોટના ભાગો અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યા હતા.

કેવી રીતે કેસ પ્રકાશમાં આવ્યો
વાસ્તવમાં, વર્ષ 2020માં મહારાષ્ટ્રમાં સામે આવેલા પીએમસી બેંક કૌભાંડની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ પ્રવીણ રાઉતની કંસ્ટ્રક્શન કંપનીનું નામ સામે આવ્યું. ત્યારે જાણવા મળ્યું કે બિલ્ડર રાઉતની પત્નીના બેંક ખાતામાંથી સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને 55 લાખ રૂપિયાની લોન આપવામાં આવી હતી. આરોપ છે કે આ પૈસાથી સંજય રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. પ્રવીણ રાઉત ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર છે.મોડી રાત્રે EDએ સંજય રાઉતની ધરપકડ કરી હતી

Most Popular

To Top