Anand

આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિન્દ બાપનાની બદલી, આર.એન. ડોડિયાની નિમણૂક

પ્રતિનિધિ આણંદ તા 13

ગાંધીનગર ખાતે ઉદ્યોગ વિભાગમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી આર.એન. ડોડિયાની આણંદ મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વહીવટી બદલી આદેશ અનુસાર તેમની સેવાઓ અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગને સોંપવામાં આવી છે.
હાલ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી મિલિન્દ બાપનાની બદલી કરીને તેમને અરવલ્લી-મોડાસાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓએ આણંદ શહેરમાં વિવિધ વિકાસકાર્યો અને વહીવટી કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રાજ્ય સરકારના આ વહીવટી ફેરફારથી આણંદ મહાનગરપાલિકામાં હવે નવા કમિશનર તરીકે આર.એન. ડોડિયા જવાબદારી સંભાળશે. શહેરના વિકાસકાર્યો, સ્વચ્છતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને લઈને નવી કામગીરીને ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top