Dakshin Gujarat

દેડિયાપાડાનો યુવક અને પાનસર ગામની યુવતી સિંગલોટી ગામે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર

ડેડીયાપાડા: દેડિયાપાડાના બંગલા ફળિયાનો યુવક (Boy) અને દેડિયાપાડા તાલુકાના પાનસર ગામની યુવતીએ (Girl) કોઈ અગમ્ય કારણોસર દેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામના જંગલમાં જઈને યુવતીની ઓઢણીનો ગાળિયો બનાવી એક સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના સામે આવતા જ યુવક અને યુવતીના આત્મહત્યા કરેલ ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર ડેડીયાપાડા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

  • સિંગલોટી ગામે યુવક-યુવતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર
  • દેડિયાપાડાનો યુવક અને પાનસરની યુવતીએ નાની સિંગલોટી ગામે સાગના ઝાડ પર એક સાથે ઓઢણી વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડાના બંગલા ફળિયાનો ૨૦ વર્ષિય તડવી મયુરભાઈ રમેશભાઈ દેડિયાપાડાના બજારમાં લારી પર મોબાઈલનો સામાન વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેને પાનસર ગામની ૨૦ વર્ષિય યુવતી સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. દરમિયાન ૯-મી ફેબ્રુઆરીએ દેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામના જંગલમાં બંને પ્રેમી પંખીડાની લાશ સાગના ઝાડની પર લટકતી મળી આવી હતી. યુવતીની ગુલાબી ઓઢણીના બંને છેડાનો ગાળિયો બનાવી બંને પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

મરનાર યુવક યુવતીના અપમૃત્યુની જાણ ઘરના સભ્યોને થતા તેઓ નાની સિંગલોટી ગામના જંગલ ખાતે દોડી ગયા હતા. આ બાબતે દેડિયાપાડા પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી આવી મૃતકોના શબને દેડિયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતાં. પોલીસે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બંને પ્રેમી પંખીડાના આપઘાતના કારણ માટે એવી અટકળ કરાઈ રહી છે કે બંને પ્રેમી જોડા આદિવાસી હતાં પણ છોકરો તડવી હોય અને છોકરી વસાવા હોય બંનેની અટક જુદી-જુદી હોવાથી બંને વચ્ચે બેટી વ્યવહાર એટલે કે આંતરજ્ઞાતિ લગ્નો સામાજીક બંધનોના કારણે કરી શકાય નહી તેવી ચર્ચા હતી. આ કારણસર બંને પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વાત ચર્ચાઈ રહી છે.

Most Popular

To Top