મિત્રના મોત નો આઘાત સહન ન કરી શક્યો મિત્ર, બીજા જ દિવસે જીવન સમાપ્ત કર્યું
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં દિલ દ્રવી દેતી ઘટના, બંને મિત્રો ઉજ્જૈનથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે થયો અકસ્માત
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ગાઢ મિત્રતાનું દુઃખદ અંત લાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માર્ગ અકસ્માતમાં એક મિત્રના મોત બાદ બીજા મિત્રે ભારે માનસિક આઘાતને કારણે બીજા જ દિવસે પોતાનું જીવન સમાપ્ત કરી લીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઝાબુઆ જિલ્લાના ફૂલદાનવાડી ગામના રહેવાસી બે મિત્રો નર્વે સિંહ (ઉંમર આશરે 29 વર્ષ) અને કાંતિ (ઉંમર આશરે 28 વર્ષ) બાઈક પર ઉજ્જૈનથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઇન્દોર–અમદાવાદ હાઇવે પર તેમની બાઈકનો બીજી બાઈક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે નર્વે સિંહનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કાંતિ બચી ગયો હતો.
મિત્રના અચાનક થયેલા મોતથી કાંતિ ખૂબ જ આઘાતમાં આવી ગયો હતો. પોલીસ અનુસાર, મિત્રના મોતથી વ્યથિત થઈ તેણે ઘટનાના થોડા સમય બાદ પરિવારજનોને એક વિડિયો સંદેશ મોકલ્યો હતો, જેમાં તેણે પોતાના મિત્રના મોતનો ઉલ્લેખ કરીને પરિવારને પરેશાન ન કરવાની વિનંતી કરી હતી. બીજા જ દિવસે ઇન્દોર–અમદાવાદ હાઇવે નજીકના વિસ્તારમાં તેણે પોતાનું જીવન સમાપ્ત કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં સામેલ બીજી બાઈક પર સવાર બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને બનાવ અંગે ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. આ દુઃખદ ઘટનાથી બંને મિત્રોના પરિવારજનો તેમજ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બંને મિત્રો વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી અને તેઓ લાંબા સમયથી સાથે રહેતા અને કામકાજ કરતા હતા.