Madhya Gujarat

ડાકોર મંદિર ગ્રહણના પગલે 25મીએ બંધ રહેશે

નડિયાદ: સૂર્યગ્રહણને પગલે આગામી તારીખ 25 મી ઓક્ટોબરના રોજ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડારાયજી મંદિર સમગ્ર દિવસ દરમિયાન બંધ રહેશે. મોડી સાંજે પોણા આઠ વાગ્યાને અરસામાં મંદિર, ખુલી મંગળા આરતી થશે. જે બાદ નિત્યક્રમ મુજબની સેવા-પુજા બાદ મોડી રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં મંદિર બંધ થશે. દિવાળીના અને બેસતાવર્ષના વચ્ચેના પડતર દિવસે એટલે કે, આગામી તારીખ 25 મી ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ સમગ્ર ગુજરાત રાજ્યમાં દેખાનાર છે. ત્યારે ગ્રહણના વેધ સમય દરમિયાન મંદિર બંધ રાખવાની પરંપરાને ધ્યાનમાં રાખી વિવિધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરના મેનેજર અને સેવક આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવેલાં સમય મુજબ તારીખ 25 મી ઓક્ટોબરના રોજ સવારે નિત્યક્રમ મુજબ મંદિર ખુલશે નહીં. ગ્રહણને કારણે સમગ્ર દિવસ દરમિયાન મંદિર બંધ જ રહેશે. ગ્રહણનો વેધ પૂર્ણ થયાં બાદ મોડી સાંજે સાડા સાત વાગ્યા બાદ મંદિર ખુલશે અને પોણા આઠ વાગ્યાના અરસામાં મંગળા આરતી થશે.  આ દર્શન રાત્રીના નવ વાગ્યા સુધી ખુલ્લાં રહેશે.

9 થી 9-30 વાગ્યાના સમયગાળા દરમિયાન ઠાકોરજી ત્રણેય ભોગ એકસાથે આરોગવા બિરાજશે, જે દરમિયાન મંદિર બંધ રહેશે. જે બાદ રાત્રીના 9 થી 10 વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેશે. રાત્રીના 10 થી 10-30 વાગ્યા દરમિયાન ઠાકોરજી બંધ બારણે રાજભોગ આરોગવા બિરાજશે. ત્યારબાદ 10-30 થી 11 વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેશે. ત્યારબાદ ઠાકોરજી પોઢી જશે.

15 મિનીટ બાદ એટલે કે, રાત્રીના 11-15 વાગ્યે મંદિર ખુલી ઉત્થાપન આરતી થશે. આ દર્શન રાત્રીના 11-45 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે. રાત્રીના 11-45 થી 12-10 દરમિયાન ઠાકોરજી બંધ બારણે શયનભોગ આરોગવા બિરાજશે. આ સમયગાળા દરમિયાન મંદિર બંધ રહેશે. જે બાદ 12-10 થી 12-30 દરમિયાન દર્શન ખુલ્લા રહેશે. મોડી રાત્રે 12-30 થી 1-15 વાગ્યા દરમિયાન ઠાકોરજી બંધ બારણે સખડીભોગ આરોગવા બિરાજશે. જે બાદ 1-15 વાગ્યે દર્શન ખુલશે. આ દર્શન માત્ર 15 થી 20 મિનીટ ખુલ્લાં રહ્યાં બાદ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે.

Most Popular

To Top