National

મોંઘવારીના મુદ્દે કોંગ્રેસનું સંસદ બહાર હલ્લાબોલ: પ્રિયંકા ગાંધી બેરિકેટ કૂદયા, રાહુલની અટકાયત

નવી દિલ્હી (New Delhi): એકતરફ મોંઘવારીને (Inflation) કાબુમાં લેવાના હેતુથી રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટ વધાર્યો છે તો બીજી તરફ વિરોધ પક્ષ મોંઘવારી મામલે સરકારને ઘેરવા કોંગ્રેસે (Congress) દેશવ્યાપી આંદોલન (Protest) છેડ્યું છે. ખુદ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) જેવા દિગ્ગજ નેતાઓ કાળાં કપડાં પહેરી સંસદ (Indian Parliament) પહોંચ્યા છે અને સરકારની નીતિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા છે. સંસદ બહાર મામલો તંગ બની ગયો છે. કોંગ્રેસીઓ પીએમના નિવાસસ્થાનનો પણ ઘેરાવ કરવાના છે. દરમિયાન રાહુલ ગાંધીને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહેલા કોંગ્રેસના સાંસદોને પોલીસે અટકાવી દીધા છે.

કસ્ટડીમાં લેવામાં આવેલા રાહુલ ગાંધીએ પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, અમે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે અમને રોક્યા. કેટલાય સાંસદોની અટકાયત કરવામાં આવી છે. તેઓને ખરાબ રીતે ખેંચવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો. આ અગાઉ કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એઆઈસીસી હેડક્વાર્ટર ખાતે એકઠા થયા હતા. 

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ રાજ્યસભાના સાંસદો કાળા કુર્તા અને પાઘડી પહેરીને સંસદ પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો રોડથી સંસદ સુધી વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સામેલ છે. તે સરકાર સામે વિરોધ પણ કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર છોડી દીધું છે. તેમની સાથે અન્ય મોટા નેતાઓ પણ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું, મોંઘવારી હદ વટાવી ગઈ છે. આ માટે સરકારે કંઈક કરવું પડશે. એટલા માટે અમે લડી રહ્યા છીએ. 

આ વિરોધ મોંઘવારી અને અગ્નિપથ સામે છેઃ પી ચિદમ્બરમ
કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે, એક વાત સ્પષ્ટ છે કે આ દેશના લોકો પર જે હુમલા થઈ રહ્યા છે તેની સામે અમે લડી રહ્યા છીએ. આ લડાઈ લાંબી છે અને અમે લડતા રહીશું. કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ પોલીસે કલમ 144નો હવાલો આપીને રોકી દીધી છે. અમે તમામ સાંસદોની ધરપકડ કરીશું. અમે લોકોને બેરોજગારી અને મોંઘવારીમાંથી રાહત આપીશું.  કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું કે, આ વિરોધ મોંઘવારી અને અગ્નિપથને લઈને છે. મોંઘવારી દરેકને અસર કરે છે. એક રાજકીય પક્ષ તરીકે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, અમે લોકોના બોજ અને ડરની ફરિયાદોને અવાજ આપવા માટે બંધાયેલા છીએ. તે જ અમે કરી રહ્યા છીએ. 

તેલંગાણા-બિહાર, આસામમાં પણ કોંગ્રેસનો વિરોધ
દિલ્હીની જેમ આખાય દેશમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ કરાયા છે. દિલ્હીની જેમ જ બિહાર અને તેલંગાણામાં પણ કોંગ્રેસનો વિરોધ શરૂ થયો છે. હૈદરાબાદમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કાર્યકરોએ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. આસામના ગુવાહાટીમાં પણ કોંગ્રેસનો વિરોધ શરૂ થયો છે. મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ રાજભવન સુધી કૂચ કરી હતી.

હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ
મોંઘવારી સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે શુક્રવારે લોકસભાની કાર્યવાહી સભા શરૂ થયાના લગભગ 25 મિનિટ બાદ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ હંગામો કરી રહેલા સભ્યોને કહ્યું કે તેમનું વર્તન યોગ્ય નથી.

Most Popular

To Top