Dakshin Gujarat

નર્મદા ડેમ ઓવરફ્લો થવાની માત્ર બે મીટર દૂર, જાણો સપાટી ક્યાં પહોંચી ?

ભરૂચ: (Bharuch) ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર (Sardar Sarovar) નર્મદા ડેમના (Narmada Dam) દરવાજા છેલ્લા ૨૦ દિવસથી ખુલ્લા છે. જો કે, ઉપરવાસમાંથી હવે માત્ર ૭૦.૯૯૭ ક્યુસેક પાણીની આવક થતી હોવાથી ડેમના ૫ દરવાજા જ ખુલ્લા રાખવામાં આવ્યા છે.મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારે વરસાદના (Heavy Rain) કારણે નર્મદા ડેમના 30 દરવાજા પૈકી પ્રથમ ૧૩ બાદમાં ૧૫ અને પછી ૨૩ દરવાજા ખોલાયા હતા. ઉપરવાસની સ્થિતિને ધ્યાને લઈ દરવાજા બંધ કરવા અને ખોલવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. જે બાદ ૧૦ દરવાજા ખોલી પાણી ઠલવાતું હતું. હવે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક ૭૦,૯૯૧ ક્યુસેક અને તેની સામે કુલ જાવક ૭૦,૬૯૧ ક્યુસેક થઈ રહી છે.

  • ડેમના ૫ દરવાજા ૩૦ સેમી ખોલી ૧૦ હજાર ક્યુસેક નદીમાં પાણી છોડાઈ રહ્યું છે
  • ૪૨,૯૪૩ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ છે. અત્યારે ડેમની સપાટી ૧૩૬.૬૮ મીટર

ઉપરવાસમાંથી પાણીની આવક ઓક્ટોબરના પહેલાં વીક સુધી ચાલશે

હાલ ડેમના ૫ દરવાજા ૩૦ સેમી ખોલી ૧૦ હજાર ક્યુસેક નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે રિવર બેડ પાવર હાઉસ થકી ૪૨,૯૪૩ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ છે. અત્યારે ડેમની સપાટી ૧૩૬.૬૮ મીટર છે.બે વર્ષ બાદ નર્મદા ડેમ ફરી આ વર્ષે તેની સર્વોચ્ચ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી ભરાશે. હાલ તમામ મદાર મધ્યપ્રદેશનામોન્સૂન ઉપર છે. મધ્યપ્રદેશમાં મોન્સૂનની સિઝન અને ઉપરવાસમાંથી પાણીની આવક ઓક્ટોબરના પહેલાં વીક સુધી ચાલશે. હજી નર્મદા કંટ્રોલ ઓથોરિટી કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ડેમને સંપૂર્ણ ભરવાનો કોઈ નિર્ણય નક્કી કર્યા નથી.

૨૦ દિવસથી ડેમના દરવાજા ખુલ્લા

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નર્મદા ડેમને સર્વોચ્ચ સપાટી સુધી છલોછલ ભરી નર્મદા નીરનાં વધામણાં આપી જન્મદિનની ભેટ અપાઈ હતી. હવે આ વખતે વડાપ્રધાનના આ ૧૭ સપ્ટેમ્બરે ૭૨મા જન્મદિવસે નર્મદા ડેમને સંપૂર્ણ ભરવામાં આવે છે કે નહીં તેની અટકળો પણ તેજ થઈ ગઈ છે. ડેમની ઊંચાઈ વધારવી અને પ્રોજેક્ટ પૂર્ણ કરવો એ PM નરેન્દ્ર મોદી ગુજરાતના CM હતા, ત્યારથી તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જેને લઈ બે વર્ષ બાદ ફરી તેમના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ પહોંચવાની અટકળો તેજ બની ગઈ છે.

Most Popular

To Top